Amreli : કિશોરને ફાડી ખાનાર સિંહણને પાંજરે પૂરવા વન વિભાગની કવાયત
આ ગંભીર ઘટનાની જાણ થતા જ અમરેલી વનવિભાગની ટીમ સહિત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. હોકાર પડકારા કરવા છતાં સિંહણે કિશોરનો મૃતદેહ તેના મોંમાંથી છોડ્યો નહોતો.
અમરેલીના (Amreli) રાજુલાના વાવડી ગામની સીમમાં સિંહણે (Lioness) 15 વર્ષના કિશોરને ફાડી ખાવાની ઘટનાથી લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. આ ઘટના બાદ વન વિભાગ દોડતું થયું હતું અને મૃત કિશોરની તપાસ હાથ ધરી હતી. તેમજ સિંહણને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી હતી. ઘટનાની ગંભીરતા એવી હતી કે કિશોરનો શિકાર કર્યા બાદ સિંહણે મૃત કિશોરનો મૃતદેહ પણ છોડ્યો નહોતો. ત્યાર બાદ વન વિભાગે ભારે જહેમત બાદ સિંહણના મોઢામાંથી કિશોરના મૃતદેહને છોડાવ્યો હતો. હાલ તો વનવિભાગની (Forest Department) ટીમે પોલીસની મદદથી પાંજરા ગોઠવી સિંહણને પકડવા કવાયત શરૂ કરી હતી. નોંધનીય છે કે હાલમાં વનવિભાગના કર્મચારીઓ હડતાળ ઉપર હોવાથી SRP જવાનોને બોલાવવામાં આવ્યા હતા.
પ્રાથમિક વિગતો એવી પ્રાપ્ત થઈ છે કે આ ગંભીર ઘટનાની જાણ થતા જ અમરેલી વનવિભાગની ટીમ સહિત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. અને હોકાર પડકારા કરવા છતાં સિંહણે કિશોરનો મૃતદેહ તેના મોંમાંથી છોડ્યો નહોતો અને તે સિંહણ અન્ય લોકોને પણ નુકસાન કરે તેવી શક્યતા હતા આથી તંત્રએ દ્વારા જેસીબી મશીન મંગાવવામાં આવ્યું હતું અને ભારે જહેમત બાદ કિશોરનો મૃતદેહ સિંહણના મોઢામાંથી છોડાવ્યો હતો. આ ઘટનામાં હવે વન વિભાગ દ્વારા સિંહણની તપાસ કરીને તે માનવભક્ષી બની છેકે નહીં તેની ચકાસણી કરવામાં આવશે.
જૂલાઇ મહિનામાં બની હતી આવી ઘટના
અમરેલીના જ બાબરકોટમાં જૂલાઇ મહિનામાં આ પ્રકારની ઘટના બની હતી જેમાં સિંહણે એક પછી એક 6 જણને બચકું ભરતા વન વિભાગે આ સિંહણને અસ્થિર મગજની જાહેર કરી હતી અને બાદમાં આ સિંહણનુ બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે થયું હતું. અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ નજીક 2 દિવસ પહેલા સિંહણે હાહાકાર મચાવ્યો હતો હતો. એક જ દિવસમાં સવારે તથા સાંજે ગ્રામજનો પર હુમલા કર્યા હતા તેથી ગ્રામજનો ભયના ઓથાર હેઠળ જીવતા હતા. એક સાથે 6 લોકો ઉપર હુમલા કર્યા હતા અને અફડા તફડી મચાવી હતી. 23 કલાક સુધી વનવિભાગના અધિકારીઓના કાફલા સાથે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.