પતિ-પત્ની વચ્ચે હવે પોલિટીક્સનો પોઈન્ટ ઉછળ્યો, ભરતસિંહ સોલંકીએ કહ્યુ કે, ચૂંટણી આવતા જ મારી વાતને તોડી મરોડીને રજુ કરાય છે, હું હિન્દુ ધર્મનો રક્ષક
ભરતસિંહ સોલંકીએ જણાવ્યુ કે, કોંગ્રેસમાં જોડાયો ત્યાંરથી મારા 30 વર્ષના જાહેર જીવનમાં ભ્રષ્ટાચાર અને તકરાર કે અન્ય કોઈ વિવાદો થયા નથી. પણ ચૂંટણી આવતા જ વાતોને તોડી મરોડીને દર્શાવાય છે.
કોંગ્રેસના (Congress) દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki) પત્ની સાથેના સંબંધોને લઇને છેલ્લા થોડા દિવસથી ચર્ચામાં છે. ભરતસિંહ સોલંકી પોતાના વ્યક્તિગત જીવનને લઈ હાલ વિવાદોમાં છે. બે દિવસ પહેલા ભરતસિંહ સોલંકીનો અન્ય યુવતી સાથેનો વીડિયો વાયરલ થયો હતો. જેને લઇને ભરતસિંહ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો કર્યો છે. ભરતસિંહ સોલંકીએ ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા વાતને તોડી મરોડીને રજુ કરાતી હોવાનું જણાવ્યુ છે.
30 વર્ષમાં કોઇ વિવાદમાં નથી સપડાયો
ભરતસિંહ સોલંકીએ જણાવ્યુ કે, કોંગ્રેસમાં જોડાયો ત્યાંરથી મારા 30 વર્ષના જાહેર જીવનમાં ભ્રષ્ટાચાર અને તકરાર કે અન્ય કોઈ વિવાદો થયા નથી. પણ ચૂંટણી આવતા જ હવે ક્યારેક રામ મંદિરના મુદ્દે તો ક્યારેક આવા વાયરલ વીડિયો દ્વારા વાતને તોડી મરોડીને વિવાદો ઉભા કરવામાં આવે છે. તેમણે કહ્યુ કે મારુ માનવુ હતુ કે ઘરની વાત ઘરમાં જ રહે તો સારુ છે. બહાર વાત ન જાય એનો મારો આગ્રહ હતો, પણ આ રીતે વાત સામે આવી. મારે કોઈ પર્સનલ એસોસીનેશન કરવું નથી એના પુરાવા મારે કોર્ટમાં રજૂ કરવા છે.
”રામનું મંદિર થાય તો ભરતને આનંદ થાય જ ”
બીજી તરફ ભરતસિંહ સોલંકીએ તેમના રામ મંદિરના નિવેદનને લઇને થયેલા વિવાદ પર જણાવ્યુ કે, રામનું મંદિર થાય તો ભરતને આનંદ થાય જ અને આવુ હું 25 વર્ષથી કહેતો આવ્યો છુ. પણ તે દિવસે મારા નિવેદનનું ખોટુ અર્થઘટન થયુ. રામ મંદિરમાં સૌની ભાગીદારી છે. પણ એ માટે થયેલા ખોટા કામ પર આંગળી ચિંધવાનો તો અમારો અધિકાર છે. ભરતસિંહે કહ્યુ કે અમે હિન્દુ ધર્મના સાચા હિમાયતી અને રક્ષક છીએ. દરેક વાતને રાજકીય રંગ આપવામાં આવે છે. આ દેશમાં અનેક પરિવારોના લગ્ન જીવનમાં તકલીફો છે.
ભરતસિંહે કહ્યુ કે, જ્યારે મને કોરોના થયો હતો ત્યારે મારી પત્નીએ મારા પિતાને ફોન કરીને કહ્યું હતું કે ભરત હવે નહિ જીવે. હું પથારીમાં હતો ત્યારે મને પૂછ્યું કે મારું શું, પ્રોપર્ટીનું શું. હું ઑક્સિજન પર હતો ત્યારે તે મારી પાસે પ્રોપર્ટી માગતી હતી.
મહત્વનું છે કે બે દિવસ પહેલા વાયરલ વીડિયોમાં ભરતસિંહ અન્ય યુવતી સાથે દેખાતા તેમની પત્નીએ વિરોધ કરી ઝપાઝપી કરી હતી. ભરતસિંહના પત્નીએ આરોપ લગાવ્યો હતો કે તેના પતીનું અન્ય યુવતી સાથે ઘણા સમયથી અફેર છે. આ ઘટના બાદ ભરતસિંહ સામે સમાજ અને રાજકીય રીતે વિરોધ થઇ રહ્યો હતો. જેને લઇ ભરતસિંહ સોલંકી આજે મીડિયા સમક્ષ પ્રથમવાર ખુલાસો કર્યો.