
અમદાવાદના સરખેજ વોર્ડમાં મતદાન પ્રક્રિયા દરમિયાન ડાયમંડ રાહેલ સ્કૂલ ખાતે ભારે હોબાળો અને તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી જતાં પરિસ્થિતિ વણસી હતી, જેને કારણે મતદાન પ્રક્રિયામાં વિક્ષેપ પડ્યો હતો. કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરાયેલા આક્ષેપો અનુસાર, ભાજપના કાર્યકરોએ ડાયમંડ રાહેલ સ્કૂલમાં આવેલા બૂથ નંબર 69, 70, 71 અને 72 પર કોંગ્રેસના બૂથ મેનેજમેન્ટ માટે રાખેલા ટેબલ પર તોડફોડ કરી હતી. તેમણે કોંગ્રેસ દ્વારા રાખવામાં આવેલી મતદાર યાદી સહિતની ચૂંટણી સામગ્રી ફાડી નાખી હતી અને ટેબલને ઊંધું પાડી દીધું હતું.
કોંગ્રેસના કાર્યકરોએ એવો પણ આરોપ લગાવ્યો કે ભાજપના કાર્યકરોએ તેમને ધમકાવ્યા અને મતદારોને પણ ડરાવી-ધમકાવીને મતદાન ન કરવા દબાણ કર્યું હતું. કેટલાક મતદારોને બોગસ વોટિંગ માટે લાવવામાં આવ્યા હોવાનો અને તેમની સાથે સખત ઝઘડા કરવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન જાતિવાદી શબ્દોનો ઉપયોગ થયો હોવાનું પણ કોંગ્રેસે જણાવ્યું હતું.
કોંગ્રેસના એક કાર્યકરના જણાવ્યા મુજબ, ભાજપના મહિલા ઉમેદવાર જેઠીબેન ડાંગરના પતિ, પુરુષ ઉમેદવાર ત્રિપાઠી, જોલી નામના એક વ્યક્તિ અને અન્ય દસ-બાર જેટલા લોકો દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ લોકો બૂથ પર જઈને કોંગ્રેસ તરફી મતદાન કરતા મુસ્લિમ મતદારોને ધમકાવ્યા હતા અને તેમને બૂથ પરથી કાઢી મૂકવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા મતદારોને પણ ધમકાવીને પાછા મોકલવામાં આવ્યા હોવાનું કહેવાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે વેજલપુરના દલિત હરિજન સમુદાયના મતદારોને અપમાનજનક શબ્દો કહેવામાં આવ્યા.
ઘટના સમયે પોલીસને ચારથી પાંચ વાર ફોન કરવામાં આવ્યા હોવા છતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ન હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો અને પોલીસની નિષ્ક્રિયતા પર પ્રશ્નાર્થ ઉઠાવ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તોડફોડ કરતા કેટલાક લોકો જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સરખેજ વોર્ડમાં કોંગ્રેસના બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે, જેના કારણે બાકીની બે બેઠકો પર કટોકટીનો જંગ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના કાર્યકરોનો દાવો છે કે કોંગ્રેસ તરફી મતદાન ન થાય તે માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ પ્રયાસો કરવામાં આવ્યા હતા.
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video