Pravasi Gujarati Parv 2022 : જાતિવાદ, કુટુંબવાદ, તુષ્ટિકરણ…….દેશમાંથી આ 3 દુષણો ખતમ કર્યા : અમિત શાહ
Pravasi Gujarati Parv 2022 : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કાર્યક્રમમાં વર્ચ્યુલી ઉપસ્થિતિમાં સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં અમિત શાહે ગુજરાતી પ્રજાના ખમીર, શાંતિપ્રિય સ્વભાવ અને વિકાસની ગાથાને વર્ણવી હતી.

ગુજરાતી સાહસ અને ગૌરવની ઉજવણી કરવા માટે TV9 નેટવર્ક અને એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકા એટલે કે AIANA ગુજરાતમાં (gujarat) ત્રણ દિવસીય ‘પ્રવાસી ગુજરાતી પર્વ–2022’ની (Pravasi Gujarati Parv 2022) શરૂઆત થઇ છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહએ (Amit Shah) ‘પ્રવાસી ગુજરાતી પર્વ’નો વર્ચ્યુલી પ્રારંભ કરાવ્યો છે.
ગૃહપ્રધાન અમિત શાહે ઉદ્ધાટન નિમિતે શું કહ્યું
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વર્ચ્યુલી કાર્યક્રમમાં હાજરી આપી, આ નિમિતે તેમણે સૌ-પ્રથમ આ કાર્યક્રમમાં રૂબરુ હાજરી આપવા ન બદલ દિલગીરી વ્યક્ત કરી હતી. તેમણે આ નિમિતે TV9 અને AIANAના આ કાર્યક્રમ બદલ શુભકામનાઓ પાઠવી હતી. તેમણે આઝાદીના અમૃત વર્ષને યાદને કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સિદ્ધિઓને વર્ણવી હતી. અમિત શાહે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિતે દેશનું નામ સમગ્ર વિશ્વમાં ગુંજતું કર્યું છે. આ સાથે આઝાદીના 100 વર્ષની ઉજવણી નિમિતે દેશવાસીઓને સંકલ્પ કરીને ભારતને વિકાસમાં અગ્રેસર કરવાનો અમિત શાહે અનુરોધ કર્યો હતો.
સમગ્ર વિશ્વમાં ગુજરાતી શાંતિ પ્રિય પ્રજા તરીકે રહી, વિકાસમાં અગ્રેસર રહ્યા ગુજરાતી : અમિત શાહ
આ પ્રવાસી ગુજરાતી પર્વ નિમિતે અમિત શાહે જણાવ્યું કે ગુજરાતી પ્રજા સમગ્ર વિશ્વમાં શાંતિ પ્રિય પ્રજા તરીકે ઓળખ ઉભી કરી છે. આ સાથે ગુજરાતી પ્રજાએ વિકાસના નવા આયામો સમગ્ર વિશ્વમાં સ્થાપિત કર્યા છે. ગુજરાતીઓ જે પણ દેશમાં ગયા ત્યાં પ્રવાસી ગુજરાતીઓએ ગૌરવ અપાવવાનું કામ કર્યું છે. અને, વિશ્વના વિકાસમાં ગુજરાતીનો હંમેશા આગળ પડતો ફાળો રહ્યો છે. અમિત શાહે પ્રવાસી ગુજરાતી પર્વની ઉજવણીમાં જણાવ્યું કે ગુજરાતી પ્રજા હંમેશા વિકાસ કાર્યોમાં અગ્રેસર રહ્યા છે. આપણી ગુજરાતી પ્રજાએ વિશ્વભરમાં વિકાસના દરેક આયામો સિદ્ધ કર્યા છે. અને, દેશ અને દુનિયાને વિકાસનો નવો રાહ ચિંધ્યો છે.
ગુજરાતે છેલ્લા 20 વર્ષમાં કર્ફયૂ જોયો નથી : અમિત શાહ
આ સાથે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ઉમેર્યું કે નરેન્દ્ર મોદીના શાસન તળે ગુજરાત રાજયમાં છેલ્લા 20 વર્ષમાં શાંતિનો અનુભવ થઇ રહ્યો છે. છેલ્લા 20 વર્ષના મોદી શાસનને કારણે ગુજરાત જેવા શાંતિપ્રિય રાજયએ કર્ફ્યૂનો માહોલ જોયો નથી. આ સાથે અમિત શાહે કહ્યું કે, પહેલા છાશવારે કર્ફયૂ થતા, હવે ગુજરાત કર્ફયૂમુક્ત રાજ્ય બન્યું છે. તેમણે કહ્યું કે, પહેલાની સરકારે આપણી સંસ્કૃતિને કયારેય પ્રધાન્ય આપ્યું ન હતું.
અયોધ્યા મંદિર 2024 પહેલા બની જશે : અમિત શાહ
આ સાથે રામજન્મભૂમિ વિવાદ નિમિતે શાહે કહ્યું કે મોદીના શાસનમાં આ વિવાદનો પણ શાંતિપૂર્ણ ઉકેલ લાવી દેવાયો છે. અનેક વર્ષોથી વિવાદીત પ્રશ્નને ઉકેલીને મોદી શાસને આજે મંદિર નિર્માણનું કાર્ય પણ આરંભી દીધું છે. અને, 2024 પહેલા અયોધ્યામાં રામમંદિરનું નિર્માણકાર્ય પૂર્ણ થશે તેમ શાહે કહ્યું.
મોદીશાસનમાં ભારતની અર્થવ્યવસ્થા અગ્રણી હરોળમાં પહોંચી : શાહ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આ નિમિતે કોંગ્રેસ પર નિશાન સાધવાનું પણ ચુક્યા ન હતા. અમિત શાહે જણાવ્યું કે કોંગ્રેસના શાસનમાં દેશનો વિકાસ કયારેય આગળ વધ્યો ન હતો. પરંતુ ભાજપના શાસનમાં ભારતની અર્થવ્યવસ્થા મજબૂત બની છે. અને, ભાજપના શાસનમાં ભારતનું અર્થતંત્ર પાંચમા સ્થાને પહોંચી ગયું છે. અને, આગામી સમયમાં પણ ભારત અર્થવ્યવસ્થામાં અગ્રેસર રહેશે તેવો આશાવાદ સેવ્યો હતો. અમિત શાહે કહ્યું કે,PM મોદીના નેતૃત્વમાં ભારતની અર્થવ્યવસ્થા 11 માંથી 5મા નંબરે પહોંચી ગઇ છે. તો પાછલા 10 વર્ષમાં ભારત નિકાસમાં પ્રથમ નંબરે છે, જેમાં ગુજરાતનો 30 ટકા ફાળો છે.
ગુજરાતે દેશમાં પરિવર્તનની શરૂઆત કરી છે : અમિત શાહ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પોતાના પ્રવચનના અંતિમ સંબોધનમાં જણાવ્યું કે ગુજરાતે દેશના પરિવર્તનની શરૂઆત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વમાં ગુજરાતનું નામ ગુંજતું કર્યું છે. અને, ગુજરાતે દેશ અને વિશ્વના વિકાસમાં આગવી ઓળખ મેળવી હોવાનું જણાવ્યું હતું.
‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત…’ દુનિયાભરમાં વિવિધ ક્ષેત્રોમાં ટોચ પર પહોંચેલા ગૌરવવંતા ગુજરાતીઓ (Gujarati) હવે એક છત હેઠળ એકઠા થઇ રહ્યા છે. આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં ભારતની સાથે 20થી વધુ દેશો અને ભારતના 18 રાજ્યોના અંદાજે 2,500 ગુજરાતીઓ સામેલ થશે.
ગગનમાં ગુજરાતનું નામ ગુંજતું કરનારા ગુજરાતીઓની ગાથા
તો TV9 નેટવર્કના મેનેજિંગ ડિરેક્ટર અને CEO બરૂન દાસ સ્વાગત ઉદ્દબોધન કર્યું. આ મંચના માધ્યમથી દેશ અને વિદેશમાં અનેક સિદ્ધીઓ મેળનારા ભારતના ટોચના નીતિધારકો અને રાજ્યના વૈશ્વિક રાજદૂતો પણ સામેલ થશે. પ્રવાસી ગુજરાતી પર્વમાં ઉદ્યોગપતિઓથી લઇને ઉદ્યમીઓ, ફિલ્મ જગતથી માંડીને રમત જગત, રાજકારણથી લઇને અર્થકારણ એમ તમામ ક્ષેત્રોની દિગ્ગજ હસ્તીઓ એક સાથે હાજર રહેશે. જે ગુજરાત માટે અનન્ય, વિરલ અને યાદગાર ઘટના બની રહેશે. ‘પ્રવાસી ગુજરાતી પર્વ’માં 200થી વધુ દિગ્ગજ હસ્તીઓ, 30 જેટલા બિઝનેસ ટાયકૂન્સ અને 80થી વધુ વક્તાઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત 30 મેગા કોન્કલેવ (Conclave) અને કોન્ફરન્સિસ તેમજ 50 જેટલા કલાકારો સાથેના મલ્ટિમીડિયા શોનું (multimedia show) પણ આયોજન કરવામાં આવ્યું છે.