ભાજપ તારી ચાલ નીરાળી, વોટ મળ્યા બાદ પ્રજા બિચારી. વચન આપી ભાજપ ફરે, પ્રજાનો કરે વિશ્વાસઘાત. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ભાજપ સરકાર વિરૂદ્ધ આ પોસ્ટર લાગ્યા છે. નારણપુરા વિસ્તારમાં રોડ કપાતની નોટિસ બાદ પોસ્ટર વોર શરૂ થયું છે. રોડ કપાતની નોટિસ બાદ સ્થાનિકોએ સોસાયટી બહાર ભાજપ સરકાર વિરૂદ્ધ પોસ્ટર લગાવી રોષ ઠાલવ્યો છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે ચૂંટણી પહેલા ભાજપના નેતાઓ કોઇ કપાત નહીં થાય તેવા વચનો આપતા હતા પરંતુ ચૂંટણી જીત્યા બાદ ભાજપ સરકાર અને નેતાનો રંગ બદલાયો છે.નારણપુરા ક્રોસિંગથી લઈ નારણપુરા ગામ સુધીની સોસાયટીઓને નોટિસ આપી છે. આ ઉપરાંત દુકાનોને પણ નોટિસ આપવામાં આવી છે. કપાતની નોટિસ મળતાં સ્થાનિકોમાં આક્રોશ છે. લોકોના કહેવા મુજબ, ઈલેકશન પહેલા નેતાઓએ રોડ રસ્તાનું કટિંગ નહીં આવે તેવા વચનો આપ્યા હતા.
તો આ તરફ નારણપુરાના ભાજપના ધારાસભ્ય જીતુ ભગતે સ્થાનિકોના આક્રોશ મુદ્દે લુલો જવાબ આપ્યો છે. તેમણે કહ્યુ કે દુકાનદારો રોડ પર પાર્કિંગ કરાવે છે. અને તેના કારણે પાર્કિંગ સહિતની સમસ્યાઓ થઈ રહી છે. જ્યારે નારણપુરા ક્રોસિંગથી લઇ અને વાડજ તરફનો તો પહોળો કરવા તેઓએ કહ્યું કે ભાજપની સરકાર પ્રજાની સાથે જ છે . આ ઉપરાંત તેમને આક્ષેપ લગાવ્યો કે કેટલાક વિરોધી માનસિકતા ધરાવતા લોકોને કારણે આવેશમાં આવીને સ્થાનિકો આ પ્રકારનું કાર્ય કરી રહ્યા છે.
વિધાનસભાની ચૂંટણી પહેલા રોડ કપાત નહીં આવે તેવા વચન આપ્યા બાદ ભાજપના નેતાઓ ફરી ગયા હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ છે.સ્થાનિકોએ આજે ભેગા મળીને ભાજપના ધારાસભ્ય જીતુ ભગત અને કોર્પોરેટરોને રજૂઆત કરી છે.આગામી દિવસોમાં જો રોડ કપાત કરવામાં આવશે તો સ્થાનિકો દ્વારા આગામી કાર્યક્રમો કરી અને વિરોધ નોંધાવશે.
Published On - 1:26 pm, Mon, 13 February 23