અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષ નેતાનો આરોપ, શહેરમાં ડ્રેનેજ અને ડિસિલ્ટિંગ પાછળ કરોડોનો ભ્રષ્ટાચાર
Ahmedabad Municipal Corporation: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નેતા શહેઝાદ ખાન પઠાણે આક્ષેપ કર્યો છે કે કોર્પોરેશનના વહીવટીતંત્ર દ્વારા સ્ટ્રોમ વોટર, ડ્રેનેજ અને ડિસિલ્ટિંગ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે છતા શહેરના દરેક વોર્ડમાં નર્કાગારની સ્થિતિ સર્જાય છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ (AMC)ના વહીવટી તંત્ર સામે ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર અને ડિસિલ્ટિંગને લઈને વિપક્ષના નેતાએ ગંભીર આક્ષેપ કર્યા છે. વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ (Shehzad Khan Pathan)નો આક્ષેપ છે કે કોર્પોરેશન દ્વારા દર વર્ષે ડ્રેનેજ (Drainage) અને ડિસિલ્ટિંગના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. કોર્પોરેશનના વહીવટીતંત્રના પાપે દર વર્ષે શહેરના દરેક વોર્ડમાં નર્કાગારની પરિસ્થિતિ સર્જાય છે. શહેરમાં ગટરો સાફ ન થવાના કારણે તમામ ગટરો ઉભરાવા લાગે છે અને આ ગટરના પાણીને કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે.
વિપક્ષના નેતાએ પ્રહાર કર્યો કે ભાજપના કોર્પોરેશનમાં બેસેલા ભાજપના સત્તાધિશો પાસે આયોજનના અભાવે દર ચોમાસે આ સમસ્યા સર્જાય છે. તેમનુ કહેવુ છે કે ચોમાસુ શરૂ થાય એ પહેલા ડિસિલ્ટિંગની કામગીરી થવી જોઈએ પરંતુ તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે અગાઉ કોઈ ડિસિલ્ટિંગ ન થયુ. જેના કારણે અમદાવાદના તમામ ઝોનના દરેક વોર્ડમાં પાણી ભરાવાની સમસ્યા વકરી ગઈ છે.
શહેરમાં ડિસિલ્ટિંગ પાછળ વર્ષે 34 કરોડ 56 લાખનો કરાય છે ખર્ચ
અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા 48 વોર્ડમાં વોર્ડ દીઠ આશરે 15 અને મોટા વોર્ડ દીઠ આશરે 20 જેટલી મંડળીઓ કાર્યરત છે ફક્ત ડિસિલ્ટિંગ પાછળ જ દર મહિના 40 હજાર પ્રતિ મંડળી લેખે 48 વોર્ડમાં આશરે 2 કરોડ 88 લાખ અને વાર્ષિક 34 કરોડ 56 લાખનો ખર્ચ કરવામાં આવે છે. એપ્રિલ 2001થી ડ્રેનેજ લાઈનની સફાઈ માટે મશીનો ભાડે લેવા અને સીસીટીવી દ્વારા કરવામાં આવતા ડિસિલ્ટિંગ પાછળ 57 કરોડ રૂપિયાનો ખર્ચ સહિત આશરે કુલ 91 કરોડ 56 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતા અમદાવાદના તમામ વોર્ડની સ્થિતિ ચિંતાજનક છે.
કામગીરી માત્ર કાગળ પર રહી જાય છે – શહેઝાદ ખાન પઠાણ
શહેઝાદખાન પઠાણે જણાવ્યુ કે શહેરના દરેક વોર્ડમાં ડિસિલ્ટિંગની ફરિયાદો ઘણી વધી છે જેનુ કારણ છે ડિસિલ્ટિંગ થતું જ નથી. અધુરામાં પુરુ જે પણ દરખાસ્તો આવે છે અને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તે ફક્ત પેપર પર જ થાય છે તેનો કોઈ અમલ કરવામાં આવતો નથી. આ તમામ કામોમાં કરોડો રૂપિચાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. જેમાં સહન જનતાને કરવુ પડે છે. હાલમાં ઓગષ્ટ મહિનામાં કામગીરીના નામે કરોડો રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવ્યો છે તેને જોતા વર્ષના અંત સુધીમાં કેટલા કરોડોની દરખાસ્ત આવશે તે વિચારવા જેવુ છે. શહેઝાદ પઠાણે ચીમકી ઉચ્ચારી કે જો શહેરમાં ડ્રેનેજની અને ડિસિલ્ટિંગની સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ જલદ આંદોલન આપશે જેની જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રહેશે.