અમદાવાદમાં ફટાકડા વેચતા માત્ર 200 વેપારી પાસે જ છે ફાયર NOC, જાણો વેપારીઓએ કઇ બાબતોનું ધ્યાન રાખવું છે જરુરી ?
દિવાળી (Diwali 2022) આવતા શહેરમાં ફટાકડાની દુકાનો શરૂ થઈ જતી હોય છે. તંબુ લાગી જતા હોય છે. હાટડીઓ શરૂ થઈ જતી હોય છે. જોકે તેમાંથી કેટલી કાયદેસર અને કેટલી ગેરકાયદેસર છે તે સવાલ ઉભો થતો હોય છે.
દિવાળીના (Diwali 2022) તહેવારની શરુઆત થઇ ગઇ છે. લોકોએ એકાદશીથી જ ફટાકડા (Firecrackers) ફોડવાની શરુઆત કરી દીધી છે. આ વર્ષે અમદાવાદમાં (Ahmedabad) અનેક વિસ્તારોમાં ફટાકડા વેચાણ માટેના ટેન્ટ લાગેલા જોવા મળી રહ્યા છે. જો કે તમને જાણીને નવાઇ લાગશે કે મોટાભાગના વેપારીઓ ફાયર NOC વગર શહેરમાં ફટાકડાનું વેચાણ કરી રહ્યા છે. આ વર્ષે માત્ર 200 લોકોને ફટાકડાનું વેચાણ કરવા ફાયર NOC મળી છે. બાકીના લોકો ગેરકાયદે ફટકડાનું વેચાણ કરી રહ્યા છે. એટલે કે જો ભુલથી પણ આગ લાગી તો તેના પર તાત્કાલિક કાબુ મેળવવા માટે NOC વિના વેચતા વેપારીઓ પાસે કોઇ જ વિકલ્પ નથી.
દિવાળી આવતા શહેરમાં ફટાકડાની દુકાનો શરૂ થઈ જતી હોય છે. તંબુ લાગી જતા હોય છે. હાટડીઓ શરૂ થઈ જતી હોય છે. જોકે તેમાંથી કેટલી કાયદેસર અને કેટલી ગેરકાયદેસર છે તે સવાલ ઉભો થતો હોય છે. કેમ કે આમાંથી જ કેટલીક હાટડીઓ, તંબુ અને દુકાનની બેદરકારી મોટી દુર્ઘટના નોતરી શકે છે. જે ના બને તે માટે AMCમાંથી ફાયર NOC અને પોલીસ મંજૂરી ફરજીયાત કરાઈ છે. જોકે તમને જાણીને નવાઈ લાગશે કે હજારોની સંખ્યામાં ચાલતી દુકાન, તંબુ અને હાટડીઓમાંથી 200 ઉપર એ જ ફાયર NOC માટે મંજૂરી આપી છે. તો બાકીની પ્રક્રિયા ચાલુ હોવાનું અધિકારીએ નિવેદન આપ્યું.
ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરની વાત માનીએ તો છેલ્લા બે વર્ષ કોરોનાને કારણે દુકાનો ઓછી લાગી હતી. જોકે આ વર્ષે માહોલ જામતા લોકોએ ખરીદી માટે દોટ મૂકી છે. તો તે ભીડને પહોંચી વળવા લોકોએ દુકાનો પણ ખોલી છે. જેના કારણે દર વર્ષની સરખાણીએ આ વર્ષે 25 અરજી વધુ આવી. એટલે કે દર વર્ષે 150 જેટલી જ અરજી ફાયર વિભાગમાં આવતી હતી. જેની સામે આ વર્ષે સંખ્યા વધી છે. જોકે શહેરમાં હજારોની સંખ્યામાં ચાલતી દુકાન, તંબુ અને હાટડીઓ સામે આ સંખ્યા નહિવત સંખ્યા ગણી શકાય. તેમ છતાં તંત્ર આંખ કાન આડા હાથ કરીને બેસી રહી મોટી ઘટના બનવાની રાહ જોતું હોય તેવુ લાગી રહ્યું છે. કેમ કે અગાઉના વર્ષોમાં શહેરમાં ફટાકડાના કારણે આગ લાગી હોવાનું સામે આવી ચૂક્યું છે. જેમાં કેટલાકે જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે કેટલીક બાબતો પર ધ્યાન રાખવાનું સૂચન પણ કર્યું.
કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું ?
- પહેલા તો ફાયર NOC લેવી
- સેફટીના સાધનો રાખવા
- રેતી અને પાણીની ડોલ ભરી રાખવી
- ખુલ્લા વાયર ન રાખવા
- પતરાની દુકાન બનાવવી
- નક્કી કરેલા જથ્થા કરતા વધુ જથ્થો ન રાખવો
- દુકાન,તંબુ કે હાટડીઓ પાસે ફટાકડા ન ફોડવા
- દીવા-બતી કરો ત્યારે ધ્યાન રાખવું
આવી વિવિધ બાબતોનું લોકોએ ધ્યાન રાખવું પડશે. જેથી ફટાકડાની દુકાન. તંબુ કે હાટડીઓમાં આગની ઘટનાઓ ન બને અને કોઈએ જીવ ગુમાવવાનો વારો ન આવે. સાથે જ જે લોકો મંજૂરી વગર વેચાણ કરી રહ્યા છે તેઓ સામે પણ કાર્યવાહીની માંગ ઉઠી છે. જેથી કરી તેઓની બેદરકારી લોકોને ભારે ન પડે. ત્યારે સવાલ એ થાય છે કે તે સમય ક્યારે આવશે અને ક્યારે શહેરમાં તમામ લોકો ફર NOC લઈને વેચાણ કરતા થશે.