વરસાદ બાદ અમદાવાદમાં ભૂવા રાજ ! રસ્તાઓ ધોવાતા વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓ, પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી

અમદાવાદ (Ahmedabad) શહેરના સૌથી વ્યસ્ત ગણાતા સિવિલ મેઘાણીનગરના રસ્તા પર દરરોજ હજારો વાહનો અને સૌથી વધુ એમ્બ્યુલન્સ પસાર થાય છે. મેઘાણીનગર વિસ્તારમાં વરસાદે વિરામ તો લઇ લીધો પણ લોકોની મુશ્કેલી સહેજ પણ ઓછી થઇ નથી.

વરસાદ બાદ અમદાવાદમાં ભૂવા રાજ ! રસ્તાઓ ધોવાતા વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓ, પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી
અમદાવાદમાં પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી
| Edited By: | Updated on: Jul 15, 2022 | 1:43 PM

અમદાવાદમાં (Ahmedabad) 10 જુલાઇના રોજ ખાબકેલા ધોધમાર વરસાદ (Rain) બાદ લોકોને ભારે હાલાકી સહન કરવી પડી રહી છે. અમદાવાદ શહેરમાં પડેલા વરસાદે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રિ મોન્સૂન પ્લાનની (Pre-monsoon plan) પોલ ખુલી પાડી દીધી છે. કારણકે આ વરસાદમાં રસ્તાઓ ધોવાઈ ગયા છે અને રસ્તામાં મોટા ખાડાઓ અને ભૂવાઓ પડી ગયા છે. જેના કારણે અનેક વાહનચાલકોના વાહનો ખરાબ થઇ ગયા છે. તો ઘણા અકસ્માત થવાની અને વાહનચાલકોને ઇજા પહોંચી હોવાની ઘટનાઓ પણ સામે આવી છે.

વરસાદને કારણે અનેક રસ્તાઓ ધોવાયા

અમદાવાદમાં પ્રથમ વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રિ મોન્સૂન પ્લાનની પોલ ખોલી દીધી છે. રવિવારે પડેલા મુશળધાર વરસાદ બાદ લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આખુ શહેર જળતરબોળ થઇ ગયું હતું. લોકોના ઘરો અને વાહનો પાણીમાં ગરકાવ થયા. હજુ તો તેમાંથી શહેર બહાર આવવાનું પ્રયાસ કરી રહ્યું છે. ત્યાં વરસાદના કારણે શહેરના અનેક રસ્તા ધોવાયા. જે રસ્તા ધોવાતા અને રસ્તા પર ખાડા પડતા લોકોનું વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે.

મેઘાણીનગરમાં વાહનચાલકો પરેશાન

અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા સિવિલ મેઘાણીનગરના રસ્તા પર દરરોજ હજારો વાહનો અને સૌથી વધુ એમ્બ્યુલન્સ પસાર થાય છે. મેઘાણીનગર વિસ્તારમાં વરસાદે વિરામ તો લઇ લીધો પણ લોકોની મુશ્કેલી સહેજ પણ ઓછી થઇ નથી. ખખડધજ રસ્તા હોવાના કારણે અકસ્માતનો ભય લોકોને સતાવી રહ્યો છે. ખૂબજ સાવચેતીથી રસ્તો પસાર કરવો પડી રહ્યો છે. આ જ રસ્તા પર શહેર પોલીસ કમિશનરનો બંગલો પણ આવેલો છે. તો પણ આ વિસ્તારમાં ભુવો પડી ચૂક્યો છે. ત્યારે સ્થાનિક સવાલ કરી રહ્યા છે કે કરોડો રૂપિયાના કોર્પોરેશનના બજેટની રકમ આખરે જાય છે ક્યાં ?

આ પણ વાંચો

સ્થાનિકોએ ઠાલવ્યો રોષ

સ્થાનિકોના આક્ષેપ છે કે, 2017માં આકાશ કંપની દ્વારા રસ્તો બનાવ્યો પણ હલકી ગુણવત્તાનો બનાવતા તેને બ્લેક લિસ્ટ કરાયો. જે બાદ તે વિસ્તારમાં રસ્તો બન્યો નથી. તેમાં પણ વરસાદના કારણે તે રસ્તો વધુ ધોવાઈ રહ્યો છે. જેના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ ખરાબ રસ્તાના કારણે લોકોના વાહનો અને શરીરને પણ નુકસાન થતાં હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે.

એટલું જ નહીં એ જ રસ્તા પર મેન્ટલ બારી ત્રણ રસ્તા પર ભૂવો પડ્યો છે. તેમજ રામેશ્વર ચાર રસ્તા પર પણ ભુવો પડ્યો છે. જે ભૂવાઓને AMC દ્વારા કોર્ડન કરી દેવાયા છે. જેથી અંદર કોઈ પડે નહીં. પણ તેજ ભૂવાના કારણે લોકોની સમસ્યામાં વધારો થયો છે. કેમ કે એક તરફ રસ્તો ખરાબ અને બીજી તરફ ભુવા જેથી જવું તો ક્યાં જવું તેવી પરિસ્થિતિ સ્થાનિકો માટે સર્જાઈ છે.

પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, હળવો વરસાદ હોય કે ભારે વરસાદ હોય ભૂવો પડવાનો સિલસિલો સતત ચાલુ જ છે. આખરે ક્યારે સ્વચ્છ સુરક્ષિત રસ્તા શહેરીજનોને મળશે તે કહેવું મુશ્કેલ લાગી રહ્યું છે.

Published On - 1:35 pm, Fri, 15 July 22