અમદાવાદના તબીબોએ ઈતિહાસ રચ્યો, ત્રણ વર્ષની બાળકીના શરીરમાંથી ત્રણ કિલોની ગાંઠની સફળ સર્જરી કરી ઈન્ડિયા બુક ઓક રેકોર્ડ્સમાં નોંધાવી સિદ્ધિ
અમદાવાદમાં એપોલો સીબીસીસી કેન્સર કેર (Applo CBCC Cancer Care) ખાતે સિનિયર સર્જિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ નીતિન સિંઘલની આગેવાની હેઠળ ડૉક્ટર્સની ટીમે જટિલ સર્જરી પાર પાડી છે. બાળકમાં કિડનની સૌથી વજનદાર ગાંઠને સર્જરીથી દૂર કરી રેકોર્ડ સર્જ્યો છે અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યુ છે.
અમદાવાદના એપોલો સીબીસીસી કેન્સર કેર (Applo CBCC Cancer Care) ખાતે સિનિયર સર્જિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. નીતિન સિંઘલની આગેવાની હેઠળની ડોક્ટર્સની ટીમે એક બાળકની કિડનીની ગાંઠની અતિ જટિલ સર્જરી પાર પાડી છે. બાળકની કિડનીમાં રહેલી સૌથી વજનદાર ગાંઠને શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરી રેકોર્ડ સર્જ્યો છે અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ (India Book Of Records)માં સ્થાન આપવામાં આવ્યુ છે. આ ડૉક્ટર્સે ત્રણ વર્ષની બાળકીની ડાબી કિડનીમાંથી 3.1 કિલો વજનની મોટી વિલ્મ્સની ગાંઠને (Tumor in Kidney) સફળતાપૂર્વક દૂર કરી હતી. આ ગાંઠ દૂર થતા બાળકને નવુ જીવન મળ્યુ છે. આ જીવન રક્ષક સર્જરી બાદ ઈન્ડિયા બુક ઓક રેકોર્ડ્સમાં આ સિદ્ધિ નોંધવામાં આવી છે. ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સની ટીમ સર્જરી અંગે સંપૂર્ણ વિગત મેળવી તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ તબીબોના સન્માનની ફાઈનલ મંજૂરી આપવામાં આવી હતી.
આ સમગ્ર સર્જરી અંગે ડૉ નીતિન સિંઘલે જણાવ્યુ હતુ કે, “અમારા માટે આ એક ખૂબ જ પડકારજનક સર્જરી હતી, પરંતુ સદભાગ્યે, અમે તેને સફળતાપૂર્વક પાર પાડી શક્યા. સર્જરીના દોઢ વર્ષ બાદ બાળક અન્ય બાળકોની જેમ સામાન્ય જીવન જીવી રહ્યું છે.”
2-3 સપ્તાહમાં જ ગાંઠ વિકાસ પામી
કેસની વિગતો મુજબ, જ્યારે બાળકીનાં માતાપિતાએ 2-3 અઠવાડિયાના ગાળામાં તેના પેટના કદમાં મોટો વધારો જોયો ત્યારે તેઓ તેને હૉસ્પિટલ લઈ આવ્યાં. સિનિયર પીડિયાટ્રિશિયન ડૉ.પુષ્કર શ્રીવાસ્તવની સલાહ લેતાં તેમને કન્સલ્ટન્ટ પીડિયાટ્રિક ઓન્કોલોજીસ્ટ ડૉ.હેમંત મેઘાણીને રિફર કરવામાં આવ્યા હતા. ડૉ.મેઘાણીએ બાળકીની તપાસ કરી તો તેમને એક દુર્લભ સ્થિતિ જોવા મળી, જેમાં ઘોડાની નાળ આકારની કિડની એટલે કે એવી સ્થિતિ જેમા બંને કિડની એકરૂપ થઈ જાય છે. જેમાંથી એક મોટો જથ્થો પેદા થઈ રહ્યો હતો. આ ગઠ્ઠો લગભગ પેટના પોલાણ પર કબજો કરી રહ્યો હતો અને ડાયફ્રેમને ધક્કો મારી રહ્યો હતો. જેમાં બાળકને શ્વાસ લેવામાં ગંભીર મુશ્કેલી આવી રહી હતી.
ગાંઠની બાયોપ્સી શક્ય ન હોવાથી ઈમરજન્સી સર્જરી કરાઈ
આ કેસની ચર્ચા મલ્ટીડિસિપ્લીનરી ટ્યુમર બોર્ડ સાથે કરવામાં આવી હતી. સામાન્ય સંજોગોમાં આવા વિશાળ ગઠ્ઠાનું નિદાન બાયોપ્સી દ્વારા કરવામાં આવે છે અને અનુક્રમે કિમોથેરાપી દ્વારા તેવી સારવાર કરવામાં આવે છે પરંતુ આ અભિગમ સાથે અનેક જોખમો હોવાથી આ કિસ્સામાં એક અપવાદ તરીકે ઈમરજન્સી સર્જરીનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પડકારજનક શસ્ત્રક્રિયા ડૉ નીતિન સિંઘલ અને તેમની ટીમે કરી કરી હતી. જેમા એનેસ્થેટિસ્ટ ડૉ અંકિત ચૌહાણ અને બાળરોગ સર્જન ડૉ કીર્તિ પ્રજાપતિએ પણ સહયોગ કર્યો હતો. આ ઘણી જટિલ સર્જરી હતી અને તબીબોને આ સર્જરી પાર પાડતા ચાર કલાકનો સમય લાગ્યો હતો પરંતુ આ તબીબોની કુશળતા અને સુઝબુઝને કારણે એક જીવનને બચાવી શકાયુ હતુ.
ડૉ સિંઘલે જણાવ્યુ હતુ કે આ કેસ પીડિયાટ્રિક ટ્યુમરના સંબંધમાં આપણા સમાજમાં જાગૃતિના અભાવને દર્શાવે છે. જેની યોગ્ય રીતે અને સમયસર સારવાર કરવામાં આવે તો તેની ચિકિત્સા સારી રીતે થતી હોય છે. હકીકતમાં તે જાણવુ રસપ્રદ રહેશે કે આ પ્રકારે બાળકોના વયજૂથમાં આવી ગાંઠમાં પુખ્ત ગાંઠ કરતા વધુ સારી રીતે અસ્તિત્વ ટકાવી રાખવાની સંભાવના રહેલી છે.