ગુજરાત જ્ઞાન ગુરુ- G3Q મેગા ફિનાલે ક્વિઝને વર્લ્ડ બુક ઓફ લંડનમાં મળ્યુ સ્થાન
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ- G3Q મેગા ફિનાલે ક્વિઝને વર્લ્ડ બુક ઓફ લંડનમાં સ્થાન મળ્યુ છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ કે પીએમ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં રાજ્ય સરકારની તમામ યોજનાઓનો લાભ સાચા લાભાર્થીઓને મળી રહ્યો છે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ- G3Q મેગા ફિનાલે ક્વિઝને વર્લ્ડ બુક ઓફ લંડનમાં સ્થાન મળ્યુ છે. આ તકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) અમદાવાદ (Ahmedabad)ના ટ્રાન્સસ્ટેડિયા ખાતે ‘ગુજરાત જ્ઞાન ગુરુ – G3Q મેગા ફિનાલે ક્વિઝ’ પ્રસંગે જણાવ્યું હતુ કે, રાજ્ય સરકારની કામગીરી જેમ કે સરકાર કેવી રીતે કામ કરી રહી છે, સરકાર ક્યાં કામ કરી રહી છે, કઈ યોજનાઓ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે તેની માહિતી ગુજરાતની જનતા સુધી પહોંચાડવાનું કામ આ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝે (Gnan Guru Quiz) કર્યું છે. મુખ્યમંત્રી એ સમગ્ર ક્વિઝનું આયોજન કરવા બદલ શિક્ષણ વિભાગનો આભાર પણ વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે પીએમ મોદીનો હરહંમેશથી પ્રયાસ રહ્યો છે કે દરેક વ્યક્તિ સરકારની સાથે જોડાયેલી રહે અને તેનું ઉત્તમ ઉદાહરણ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝે પૂરું પાડ્યું છે. પીએમ મોદીએ છેવાડાના માનવીને સરકારી યોજનાનો લાભ મળે તેવા પ્રયાસો કર્યા છે. આજે તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં રાજ્ય સરકારની તમામ યોજનાઓનો લાભ સાચા લાભાર્થીઓને મળી રહ્યો છે. એટલું જ નહીં સરકારની યોજનાનો લાભ લાભાર્થીઓને તેમના ઘર સુધી પણ પહોંચાડવામાં આવી રહ્યો છે એમ મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાત આવનારા સમયમાં ડબલ સ્પીડે આગળ વધશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. આ અવસરે સીએમએ રાજ્યની જનતાને દિવાળીની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આ પ્રસંગે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, આ ક્વિઝ શરૂ કરી ત્યારે કોઇને વિશ્વાસ નહોતો કે આ ક્વિઝને આટલી મોટી સફળતા મળશે. આ ક્વિઝને ‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન’માં સ્થાન પ્રાપ્ત થયું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણા અને માર્ગદર્શન થકી આ ક્વિઝ વિશ્વની સૌથી મોટી ક્વિઝ બની છે. શિક્ષણ વિભાગ માટે આ ગૌરવની વાત છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં 27 લાખથી વધુએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને 25 લાખથી વધુ લોકો આ ક્વિઝ રમ્યા છે. એટલું જ નહીં 1 લાખ 25 હજારથી વધુ લોકો આ ક્વિઝમાં વિજેતા પણ બન્યા છે. આ વિજેતાઓને રૂપિયા 25 કરોડથી વધુના ઇનામો પણ અપાયા હતા.આમ, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ થકી યુવાનોને પ્લેટફોર્મ આપવાનું કામ મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે કર્યું છે એમ શિક્ષણમંત્રીએ જણાવ્યુ હતુ.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિજેતાઓની ઘોષણા, ઈનામી રકમના ચેક, પ્રમાણપત્ર અને ટ્રોફી વિતરણ તથા GSIRF2022ના Five Star પ્રાપ્ત કરનાર યુનિવર્સિટી અને સંસ્થાઓને પ્રમાણપત્ર વિતરણ પણ કરવામાં આવ્યા હતા. આ ક્વિઝમાં અત્યાર સુધી ગુજરાતના કુલ 27.72 લાખથી વધુ પ્રજાજનોની ભાગીદારી નોંધાતા દેશના શિક્ષણ ઇતિહાસમાં પણ અનોખી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. રાજયના યુવાનો અને વિદ્યાર્થીઓને જોડતા આ અભિયાન અંતર્ગત ગુજરાતની યુવાશક્તિના જ્ઞાનનો ખજાના અને જિજ્ઞાસા સંતોષતી ગુજરાત જ્ઞાન ગુરુ Quiz – G3Qનું આયોજન જુલાઇ મહિનાથી કરવામાં આવ્યું છે.