Breaking News : ગુજરાતમાં ભારે વરસાદને પગલે CM ની હાજરીમાં ઉચ્ચ સ્તરીય બેઠક, અમદાવાદમાં આર્મી તૈનાત

ગુજરાતમાં ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રી નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ. દક્ષિણ ગુજરાત અને અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ છે.

Breaking News : ગુજરાતમાં ભારે વરસાદને પગલે CM ની હાજરીમાં ઉચ્ચ સ્તરીય બેઠક, અમદાવાદમાં આર્મી તૈનાત
| Edited By: | Updated on: Jul 24, 2026 | 12:20 PM

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદને કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સક્રિય બની છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં દક્ષિણ ગુજરાત અને અમદાવાદની વર્તમાન પરિસ્થિતિ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી.

સુરત અને દક્ષિણ ગુજરાતમાં 41 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે અમદાવાદમાં માત્ર 5-6 ઇંચ વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે સતત મોનીટરીંગ ચાલી રહ્યું છે, જેમાં વરસાદની સ્થિતિ, રેસ્ક્યુ કામગીરી અને NDRFની તૈનાતી જેવા મુદ્દાઓ પર દેખરેખ રાખવામાં આવી રહી છે. એક કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે.

વહેલી સવારે પોલીસ વિભાગની મહત્વપૂર્ણ બેઠક બાદ મુખ્યમંત્રી દ્વારા સચિવાલય ખાતે પણ એક બેઠક યોજાઈ હતી, જેમાં વર્તમાન પરિસ્થિતિ અને અમદાવાદમાં પાણીના નિકાલ અંગે પ્રશાસન સાથે ચર્ચા કરવામાં આવી. રાહત કમિશનર ગૌરાંગભાઈએ માહિતી આપતા જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત અને નવસારી જિલ્લામાં હાલ વરસાદનું પ્રમાણ નહિવત છે, જેના કારણે પાણી ધીમે ધીમે ઓસરવા માંડ્યા છે. ગણદેવીમાં ઝીંગા તળાવમાં ફસાયેલા લોકોનું એર રેસ્ક્યુ ચાલી રહ્યું છે.

જોકે, રાજ્યભરમાં વરસાદની અસર વ્યાપક છે. કુલ 1100થી વધુ રસ્તાઓ હાલ પણ બંધ છે, જેમાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોને જોડતા પંચાયતના રસ્તાઓ છે. અત્યાર સુધીમાં નવસારી અને વલસાડમાં એક-એક મૃત્યુ નોંધાયા છે. ઉમરગામના અમુક વિસ્તારો હાલ પણ સંપર્કવિહોણા છે.

અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો, ધોળકા જેવા વિસ્તારો કનેક્ટિવિટીથી કપાઈ ગયા છે. ત્યાં SDRFની એક ટીમ અને આર્મીનું એક કોલમ સવારે જ રવાના કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરમાં પણ અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે. આ સ્થિતિને ગંભીરતાથી લેતા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. બોપલ, ઘુમા અને શેલા જેવા અમદાવાદના વિસ્તારોમાં વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા આર્મીની ટીમો તૈનાત કરવામાં આવશે.

રાહત કમિશનરના જણાવ્યા અનુસાર, અમદાવાદ સિટીમાં ત્રણ આર્મી કોલમમાંથી એક ટીમ ઓલરેડી તૈનાત થઈ ચૂકી છે અને બાકીની બે ટીમો પણ ટૂંક સમયમાં મોકલવામાં આવશે. આર્મીની આ ટીમો બોપલ, ઘુમા અને શેલા વિસ્તારમાં રાહત તથા બચાવ કામગીરી હાથ ધરશે. આ નિર્ણયથી નવસારી અને દક્ષિણ ગુજરાત બાદ હવે અમદાવાદમાં પણ આર્મીની મદદ લેવાઈ રહી છે, જે સરકારની પરિસ્થિતિ પર ગંભીરતા દર્શાવે છે.

નવસારીમાં અંબિકા નદીના પૂરના ભય વચ્ચે ભારતીય સેના તૈનાત, જુઓ Video

 

Follow Us