સ્કૂલ વર્ધી વાન અને રિક્ષાચાલકોની હડતાળથી વાલીઓની સ્થિતિ બની કફોડી, સમસ્યાનુ તાત્કાલિક નિરાકરણ લાવવા ઉઠી માગ- Video

આજથી રાજ્યભરની સ્કૂલ વર્ધી વાનચાલકો અને રિક્ષાચાલકો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે. જેના કારણે વિદ્યાર્થીઓના વાલીઓની સ્થિતિ અત્યંત કફોડી બની છે. જો કે આ તમામ વિવાદ વચ્ચે વાનના માલિકો અને શાળા વચ્ચે ચર્ચા દ્વારા ઉકેલ લાવવાની બાંહેધરી અપાઈ છે.

| Edited By: | Updated on: Jun 18, 2024 | 7:33 PM

એક નિર્ણય લેવાયો કે શાળાએ બાળકોને લેવા-મુકવા જતાં વાન ચાલકો હોય કે રિક્ષા ચાલકો નિયમોનું કડક પાલન નહીં કરે તો જરા પણ ચાલશે નહીં અને RTO, પોલીસ સતત તપાસમાં જોડાઈ ગયા. વાનને દંડ ફટકારવામાં આવ્યો, વાન જપ્ત કરી લેવાઈ અને બસ આ વાતે વિફર્યા વાન ચાલકો. હડતાળ પર ઉતરી ગયા અને ચીમકી ઉચ્ચારી કે વાત નહીં માનો ત્યાં સુધી વાન નહીં ચાલે. સરકાર પણ મક્કમ, નિયમોમાં કોઈ ઢીલાશ આપવાના મતમાં બિલકુલ નથી. અને સમગ્ર વિવાદમાં પીસાઈ રહ્યા છે બાળકો અને વાલીઓ.

રાજકોટના ગોજારા અગ્નિકાંડ બાદ બાળકોની સુરક્ષા માટે રાજ્ય સરકાર વધુ સતર્ક થઈ. શાળાએ બાળકોને લઈને જતાં સ્કૂલ વાન એસોસિએશન માટે નિયમો કડક બનાવ્યા. કેટલાક નિયમો તો વાન સંચાલકોએ માની લીધા. પરંતુ પરમિટ, સરપ્રાઈઝ ચેકિંગ અને ભાડા મીટરને લઈને ઉભો થયો ગજગ્રાહ અને તેનું જ પરિણામ છે કે, વાલીઓને વરસતા વરસાદ વચ્ચે કામ-ધંધે જવાનો સમય બાજુએ રાખીને તો ક્યાંક ગમે તેવી સ્થિતિમાં પણ બાળકોને લઈને શાળાએ દોડવું પડી રહ્યું છે.

વાલીઓ પરેશાન છે પરંતું તેમની પાસે કોઈ વિકલ્પ નથી. બાળકોના ભણતર માટે તેમને તો દોડવું જ પડશે. તેઓ માત્ર એટલી જ માગણી કરી રહ્યા છે કે, સરકાર રસ્તો શોધે અને આ સમસ્યામાંથી મુક્તિ અપાવે. હવે આ બાજુ વાન ચાલકો પણ તેમની માગને લઈને અડગ છે. સ્કૂલ વર્ધી એસોસિએસનના પ્રમુખે સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે, RTO અને રાજ્ય સરકારની નબળાઈના કારણે આ પરિસ્થિતિ ઉભી થઈ છે.

રાજ્યભરના સ્કૂલ વાનચાલકો આ જ વાત સાથે સંમત થયા છે. સુરતના પણ 15 હજાર વાનચાલકો હડતાળમાં જોડાયા. તેમનો તો આરોપ છે કે, 20થી 25 હજાર રૂપિયા દંડ કરવામાં આવે છે. જેથી હવે ડર લાગે છે. તેમનો એવો પણ આરોપ છે કે, RTO અને ટ્રાફિક પોલીસ કંઈપણ દલીલ સાંભળતી નથી અને વાન ડિટેઈન કરી જાય છે.

આ તરફ સરકાર નિયમોમાં કોઈ બાંધછોડ માટે તૈયાર નથી. છતાં જે વિરોધ વધ્યો છે, તે જોતાં સ્કૂલ વાન માલિકો અને શાળાઓ વચ્ચે ચર્ચા કરી ઉકેલ લાવવાના પ્રયાસ કરાશે. જો કે, શિક્ષણપ્રધાન એવું પણ કહી રહ્યા છે કે આ તો RTOનો મામલો છે.

બંને પક્ષો અડગ છે. નિયમો જરૂરી જ છે, પરંતુ સવાલ એ પણ થાય કે, વેકેશન પહેલા જ નિયમો લાવીને વાન ચાલકોને સમય આપી દીધો હોય તો આ છેલ્લી ઘડીની માથાકૂટ ન થઈ હોત. હવે જોવું એ રહ્યું કે, સ્કૂલ વાન ચાલકો અને સરકાર વચ્ચેની ખેંચતાણમાં ક્યાં સુધી વાલીઓ અને વિદ્યાર્થીઓને હેરાન થવું પડે છે.

Input Credit- Mohit Bhatt- Rajkot, Baldev Suthar- Surat, Narendra Rathod- Ahmedabad

આ પણ વાંચો: પોલીસ છાવણીમાં ફેરવાઈ MS યુનિવર્સિટી, વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે યુનિ.માં શરૂ થઈ પ્રવેશ પ્રક્રિયા- જુઓ Video 

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો