અમદાવાદમાં (Ahmedabad) મણિનગરના હેડગેવાર ભવન ખાતે સંઘ (RSS) સમન્વય બેઠક શરુ થઇ ગઇ છે. આ બેઠક સાંજ સુધી ચાલવાની છે. આ બેઠકમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને C.R પાટીલ પણ હાજરી આપશે. હાલ સૌરાષ્ટ્ર પ્રાંત અને ગુજરાત પ્રાંતના પદાધિકારીઓ બેઠકમાં હાજરી આપવા આવી પહોંચ્યા છે. તેમજ અન્ય હોદ્દેદારો ઉપસ્થિત છે. બેઠકમાં ગુજરાતની રાજકીય-સામાજિક પરિસ્થિતિ મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે. આ બેઠકમાં ભગિની સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સંઘની આ બેઠક ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે. વર્ષમાં બે વખત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની સમન્વય બેઠક મળતી હોય છે. જેમાં સંઘના વિવિધ સંગઠન સહિત ભાજપના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેતા હોય છે. ત્યારે આજે પણ આ બેઠકનું આયોજન કરાયું છે. આ બેઠકમાં વિધાનસભાની ચૂંટણીને લઈને પણ ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. કઇ રીતે કઇ રણનીતિથી આગળ વધવુ તેના પર ચર્ચા કરવામાં આવી રહી છે.
ગત મહિને પણ અમદાવાદમાં આવેલા સંઘના હેડગેવાર ભવન ખાતે ભાજપ અને RSSની વન ટૂ વન બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સૌરાષ્ટ્ર અને ગુજરાત પ્રાંતના સંઘચાલક, કાર્યવાહ અને પ્રાંત પ્રચારક પણ હાજર રહ્યા હતા. આ સાથે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ.સંતોષ સહિત ભાજપ પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકર પણ બેઠકમાં હાજર રહ્યા હતા. વર્ષમાં 2 વાર આ સમન્વય બેઠકનું આયોજન કરાતું હોય છે. જેમાં સંઘના વિવિધ સંગઠન સહિત ભાજપના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેતા હોય છે.
Published On - 11:26 am, Sun, 5 June 22