Ahmedabad: ભારતીય બજારમાં 1.5 મિલીયન ડૉલરનું રમકડાં માર્કેટ છે. જેમાંથી 80 ટકા રમકડાંની આયાત વિદેશમાંથી થાય છે. જીટીયુ દ્વારા આયોજિત ટોયકાથોનમાં રચનાત્મક અને લોજીકલ વિચારસરણી તથા ભારતીય ઈતિહાસ અને સંસ્કૃતિને લગતાં જુદાં- જુદાં પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ પર વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રમકડાં બનાવવામાં આવશે.
માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય દ્વારા ટોયકાથોન -2021નો (Toykathon-2021) શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં જુદાં-જુદાં 68 પ્રોબ્લેમ અને સ્ટેટમેન્ટ પર ભારતની 14,000 ટીમ ભાગ લઈ રહી છે. રાજ્યમાંથી ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીને (જીટીયુ) નોડલ કેન્દ્ર તરીકે પસંદ કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના વરદ હસ્તે ટોયકાથોન– 2021નો શુભારંભ કરવામાં આવ્યો છે.
આગામી 24મી જૂનના રોજ ભાગ લેનાર વિદ્યાર્થીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડિજીટલ માધ્યમ થકી ચર્ચા કરશે. શિક્ષણમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ભારતીય બજારમાં 1.5 મિલીયન ડૉલરનું રમકડાં માર્કેટ છે. જેમાંથી 80 ટકા રમકડાંની વિદેશમાંથી આયાત થાય છે. આ પ્રકારના ટોયકાથોનથી આત્મનિર્ભર ભારતને વેગ મળશે. આ સાથે જ રમકડાંની વિદેશી આયાત ઘટશે. જીટીયુના કુલપતિ પ્રો. નવીન શેઠે જણાવ્યું હતું કે, જીટીયુ વિવિધ ટોય ઈન્ડસ્ટ્રીઝ સાથે મળીને વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે હંમેશા માટે કાર્યરત રહેશે.
ભારત સરકારે રમકડાં ઉદ્યોગનો વિકાસ થાય અને મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન મળી રહે તે અર્થે ટોયકાથોન-2021નું આયોજન કર્યું છે. ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય પણ ટોયકાથોનના આયોજનમાં સહભાગી થયેલ છે.
3 દિવસીય ટોયકાથોનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ દ્વારા રમકડાં ઉદ્યાગને લગતા વિવિધ પ્રોબ્લમ સ્ટેટમેન્ટ પર કાર્યરત રહીને ભારતીય સંસ્કૃતિ, ઈતિહાસ, રચનાત્મકત્તા અને લોજીકલ વિષયો પર રમકડા નિર્માણ માટેના આઈડિયાઝ રજૂ કરાશે.
શિક્ષણ મંત્રાલય દ્વારા જીટીયુને કુલ 30 ટીમો ફાળવવામાં આવી છે. જેમાંથી વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડિજિટલ લેવલમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. જ્યારે આગામી સમયમાં સામાન્ય સંજોગોમાં ફિઝીકલ મોડમાં અન્ય 20 ટીમો ભાગ લેશે. આ ટોયકાથોનનો મુખ્ય હેતુ આજના યુવા ટેકનોક્રેટના વિચારો અને તેમની આવડતથી રમકડાં ઉદ્યોગમાં રહેલી વિવિધ સમસ્યાઓનું સમાધાન મેળવવાનું છે.
આ પણ વાંચો: Education News: જાણો GSIRF રેન્કિંગમાં ગુજરાતની કઈ યુનિવર્સિટીને કયો રેન્ક મળ્યો?