
અમદાવાદના સાણંદ રોડ પર આવેલી ગોકુલધામ સોસાયટી થોડા વરસાદમાં જ પાણીમાં ગરકાવ થઈ છે. વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ પાણી ન ઓસરતા પારાવાર અહીંના રહિશો પારાવાર હાલાકી વેઠવા મજબુર બન્યા છે. શાંતિપુરા ચોકડી થી સાણંદ જતા હાઈવે પર સ્થિત ગોકુલ ધામ સોસાયટીની આ દુર્દશા છે. જ્યાં કે.પી. કોર્ટયાર્ડ અને કે.પી. વિલા વિસ્તારમાં માત્ર થોડા વરસાદમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી. સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન જ સોસાયટીને આપવામાં આવી નથી. પાણી કાઢવા માટે જે પંપવાળા આવ્યા છે તેઓ પણ સવારના પાણી કાઢવા માટે મથી રહ્યા છે. તેમનુ પણ સ્પષ્ટ કહેવુ છે કે આટલી મોટી માત્રામાં પાણીનો જે ભરાવો થયો છે તે ઉલેચવામાં ત્રણ દિવસનો સમય લાગે.
પહેલા તો આપ દુર્દશાના આ દૃશ્યો જુઓ
સોસાયટીના રહિશોએ જાતે પાણી ઉલેચવા માટે મશીનરી કામે લગાડી છે. અહીંના સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા 10 વર્ષોથી અહીં આ જ પ્રકારે દર ચોમાસામાં પાણી ભરાયુ છે પરંતુ તેનો કોઈ જ ઉકેલ આવતો નથી. અત્યાર સુધીમાં 5 હજારથી વધુ ફરિયાદો અને રજૂઆતો તેઓ આ પાણી ભરાવાના પ્રશ્ન મુદ્દે કરી ચુક્યા છે પરંતુ ઓડા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી
સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે ન્યુ ડેવલપ વિસ્તારના સપના બતાવીને બિલ્ડરે આ બંગલા વેચ્યા છે પરંતુ ગટરલાઈન જેવી પાયાની કહી શકાય તેવી સુવિધા પણ હજુ સુધી તંત્ર અહીં આપી શક્યુ નથી. ત્યારે અહીંના સ્થાનિકોને દર ચોમાસાએ છેતરાયા હોવાનો પસ્તાવો થઈ રહ્યો છે. દર ચોમાસાએ આ જ પ્રકારે અહીં વરસાદી પાણી ભરાઈ જાય છે અને જ્યાં સુધી પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી બાળકો શાળાએ જઈ શક્તા નથી, નોકરિયાત કે ધંધાદારીઓ તેમના કામ પર જઈ શક્તા નથી.
સ્થાનિકો હાલ બિલ્ડરો અને ઓડા તંત્રની મિલિભગતના આક્ષેપ કરી રહ્યા છે. તેમનો આરોપ છે કે નિયમ મુજબ પહેલા રોડ-રસ્તા, ગટર પાણીની વ્યવસ્થા કરવાની હોય છે પરંતુ અહીં તો મિલિભગતને કારણે નિયમોનો સદંતર ઉલાળિયો કરી દેવામાં આવ્યો છે અને આડેધડ બિલ્ડરોને મંજૂરી આપી દેવામાં આવી છે. કંઈ જ જોયા વિના પ્લાન પાસ કરી દેવામાં આવ્યા છે અને ગટરની સુવિધા પાંચ વર્ષ બાદ પણ આપવામાં આવી નથી. સ્થાનિકોનો સીધો આરોપ છે કે બીયુ પરમિશન આપતી વખતે ઓડા દ્વારા કોઈ જ તપાસ કરવામાં નથી આવતી કે બેસિક સુવિધા છે કે નહીં. આટલુ ઓછુ હોય તેમ હજુ વધુ એક સોસાયટીની મંજૂરી આપી દેવાઈ છે.
દર ચોમાસામાં આ જ પ્રકારે દુર્દશા વેઠતા સ્થાનિકો રજૂઆતો કરી કરીને થાક્યા પરંતુ તંત્રને કંઈ પડી ન હોય તેવુ હાલ ભરાયેલા પાણીને જોતા સ્પષ્ટ થઈ રહ્યુ છે. ડેવલપ વિસ્તારમાં કરોડો ખર્ચીને લોકોએ બંગલા વસાવ્યા અને રહેવા આવ્યા પછી ખબર પડી કે વિસ્તાર તો પુરતો વિકસીત જ નથી. લોકો રહેવા આવે તે પહેલા તમામ સુવિધા પહોંચવી જોઈએ પરંતુ ન તો પૂછનાર કોઈ છે, ન તો જોનાર કોઈ છે, તેમ નિયમોનો સદંતર છેદ ઉડાડીને નવા-નવા પ્લાન પાસ થતા રહે છે. આ વિસ્તારમાં મોંઘાદાટ દામ આપીને લોકો બંગલા લઈને પસ્તાઈ રહ્યા છે. જ્યાં પહેલા પ્રાથમિક સુવિધા પહોંચવી જોઈએ ત્યાં રહેવા આવ્યાના 10 વર્ષ બાદ ગટર લાઈન પહોંચી નથી. ત્યારે આ ઉંઘતુ તંત્ર ક્યારે જાગશે તે મોટો સવાલ છે.
Input Credit- Narendra Rathod- Ahmedabad