અષાઢી બીજના દિવસે પરંપરા મુજબ અમદાવાદમાં (Ahmedabad) ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે છે. પરંતુ કોરોના મહામારીને કારણે સતત બે વર્ષ સુધી ભગવાનની રથયાત્રા (Rathyatra) ભક્તો વિના જ નીકળી હતી. જો કે આ વર્ષે એટલે કે 1 જુલાઈએ જમાલપુર જગન્નાથ મંદિર દ્વારા ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા રંગેચંગે કાઢવામાં આવશે. રથયાત્રાની તૈયારીમાં આજે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી (Harsh Sanghvi) શહેર પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારી જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. ગૃહ રાજ્ય પ્રધાને મંદિરમાં આરતી ઉતારી હતી અને મહંત દીલીપદાસજીના આશીર્વાદ લીધા હતા. ગૃહ રાજ્ય પ્રધાને આ વર્ષે ભવ્યથી અતિભવ્ય રથયાત્રા નીકળશે તેવી જાહેરાત કરી હતી અને લાખો ભક્તો રથયાત્રામાં જોડાશે તેવું જણાવ્યું હતું.
ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાની વ્યવસ્થા અને પોલીસ સુરક્ષાને લઈને બેઠક યોજાઇ. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અચાનક જગનાથ મંદિર આવી પહોંચતા ઉચ્ચ અધિકારી દોડી આવ્યા હતા. હર્ષ સંઘવીએ અડધો કલાક સુધી મીટિંગમાં અનેક ચર્ચાઓ કરી હતી. જેમાં પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્ત, ક્રાઈમ બ્રાંચના જોઈન્ટ કમિશનર પ્રેમવિરસિંહ, ટ્રાફિક જેસીપી મયકસિંહ ચાવડા, સેક્ટર 1 જેસીપી આર.વી. અસારી, સેકટર-2 જેસીપી ગૌતમ પરમાર, તમામ ડીસીપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં રથયાત્રા માટે સુરક્ષાને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
આ વર્ષે ભાવિ ભક્તો સંખ્યામાં વધારો થવાની શકયતાને લઈ પોલીસ વિભાગ હાલ સતર્ક થઈ ગયું છે. જો કે સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાસ ન રહી જાય તે માટે પોલીસ વિભાગે માઈક્રો પ્લાનિંગ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો કે 14 જુને રિવરફ્રન્ટ ઘાટ પર થનારી જળયાત્રામાં ગૃહમંત્રી હર્ષ સંઘવી જોડાશે તેવું પણ તેમણે જણાવ્યુ હતુ. સાથે જ જગન્નાથ મંદિર દ્વારા રથયાત્રા લઈ તમામ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
મહત્વનું છે કે આ પહેલા અક્ષયતૃતિયાના શુભ મુહૂર્તમાં અમદાવાદના જગન્નાથ મંદિરમાં આવેલા 3 ઐતિહાસિક રથની પૂજા કરવામાં આવી હતી. રથપૂજાની સાથે જ આગામી રથયાત્રા નિમિત્તેના કાર્યક્રમોની શરુઆત થઇ હતી. છેલ્લા 2 વર્ષથી કોરોનાકાળને લીધે રથયાત્રા કેટલાક નિયમોના પાલન સાથે કરવામાં આવી હતી. જો કે આ વર્ષે ધામધૂમથી રથયાત્રા નીકળવાની સૌને આશા છે અને ભક્તોમાં ઉત્સાહ પણ છે.
બીજી તરફ અમદાવાદમાં યોજાતી જગન્નાથ રથયાત્રાને લઈને સૌથી મોટા સમાચાર એ છે કે આવતા વર્ષે ભગવાનના ત્રણેય રથ બદલવામાં આવશે. તેમજ નવા રથનું નિર્માણ કાર્ય આવતા વર્ષે શરૂ કરાશે. આ વર્ષે રથ બનાવવા માટેના લાકડાં લાવી દેવામાં આવ્યા છે. ત્યારે નવા રથ સરળતાથી દર્શન કરી શકાય તે પ્રકારના બનાવાશે. જગન્નાથ પુરીના અનુભવી કારીગરોની પણ પ્રભુના રથના નિર્માણ કાર્યમાં મદદ લેવાશે.