Ahmedabad: ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોના રી-ડેવલપમેન્ટને લઈને સ્થાનિકો લડી લેવાના મુડમાં
ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશો દ્વારા 2016 થી લડત આપવામાં આવી રહી છે. જેમાં પહેલા ગુજરાત હાઉસિંગ વસાહત મંડળ દ્વારા લડત અપાતી જે હાલ પણ યથાવત છે. જોકે મુદ્દો વધુ ગરમાતા વિવિધ એપાર્ટમેન્ટના સભ્યો એ ભેગા મળી હાઉસિંગ એપાર્ટમન્ટ રી ડેવલપમેન્ટ ફેડરેશનની રચના કરી.
ગુજરાત હાઉસિંગ બોર્ડ (Gujarat Housing Board) ના મકાનોના રી-ડેવલપમેન્ટ (redevelopment) ને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આ વિવાદને લઈને સ્થાનિકો દ્વારા રી ડેવલપમેન્ટ મુદ્દે સરકાર (Government) સામે લડત આપવા માટે એક ફેડરેશન બનાવાયુ છે. ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો બન્યાને વર્ષો વીતી ગયા છે. જેના કારણે મકાનોની હાલત જર્જરિત બની ગઈ છે. તો કેટલાક સ્થળે મકાનોની છતમાંથી સિમેન્ટના પોડા પડી રહ્યાનું પણ સામે આવી રહ્યું છે. આવો જ એક બનાવ અમદાવાદ (Ahmedabad) ના પ્રગતિનગરમાં આવેલ હાઉસિંગ બોર્ડના એક મકાનમાં બન્યો. જેનાથી લોકોમાં ભય છે કે આગામી દિવસમાં મોટી હોનારત સર્જાઈ શકે છે. ત્યારે આવા મકાનોનું રી ડેવલપમેન્ટ થવું જરૂરી છે. જોકે આ જ રી ડેવલપમેન્ટને લઈને ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોનું કોકડું ગુંચવાયું છે. કેમ કે હાઉસિંગ બોર્ડમાં રહેતા રહીશોનો આક્ષેપ છે કે નવી પોલિસીથી તેમને નુકસાન અને બિલ્ડરને ફાયદો થઈ રહ્યો છે. જે ન થવું જોઈએ.
ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશો દ્વારા 2016 થી લડત આપવામાં આવી રહી છે. જેમાં પહેલા ગુજરાત હાઉસિંગ વસાહત મંડળ દ્વારા લડત અપાતી જે હાલ પણ યથાવત છે. જોકે મુદ્દો વધુ ગરમાતા વિવિધ એપાર્ટમેન્ટના સભ્યો એ ભેગા મળી હાઉસિંગ એપાર્ટમન્ટ રી ડેવલપમેન્ટ ફેડરેશનની રચના કરી. જે ફેડરેશન સરકાર સામે લડી લેવાના મૂળમાં છે.
ફેડરેશનની આ માંગણીઓ કરી છે
- એક પ્લોટ, એક સોસાયટી, એક એસોસિએશન જોવું જોઈએ, જેથી કોઈને અન્યાય ન થાય.
- ફાળવણી એસોસીએશનના હાથમાં હોવી જોઈએ, જેથી હાલમાં જે વ્યક્તિ વર્ષોથી રહે છે તેને ત્યાં ફાળવણી થાય.
- હયાતને તે જ સ્થળે ફાળવણી. હાલ જ્યાં જે છે તેને ત્યાં જ મકાન મળે.
- હયાત કરતા 40 ટકા વધુ આપવાની વાત છે તે ટેન્ડરમાં હોવું જોઈએ. હાલમાં જે મકાન છે તે મકાનમાં 40 ટકા વધું વિસ્તાર આપવાની ટેન્ડરમાં જોગવાઈ કરવી જોઈએ.
- નોટરાઈઝ સંમતિ રદ થવી જોઈએ. આનાથી રહીશોના હકમાં નિર્ણય ના હોય તો રહીશો મુશ્કેલીમાં મુકાઈ શકે જેથી આ પ્રક્રિયા રદ થવી જોઈએ.
- રી ડેવલપમેન્ટમાં 75 – 25 ટકા રેસિયામાં 25 ટકા ન માનનારા રહીશો માટે સરકાર કોઈ વિકલ્પ લાવે તેવી માંગ કરી જેથી રી ડેવલપમેન્ટનો પ્રોજેકટ અટકે નહિ
આ મુખ્ય માંગો સિવાય અન્ય પણ ઘણી માંગ છે. જેને લઈને હાલમાં પણ રહીશોની સરકાર સાથે વાતચીત અને બેઠક ચાલી રહી છે. તેમજ રહીશોનો આક્ષેપ છે કે અધિકારીઓ તેમને સાંભળતા નથી અને માટે જ તેઓને હાલ ભયના ઓથાર નીચે જીવું પડી રહ્યું છે. જેથી રહીશોએ સ્થાનિકોને હિતમાં હોય તેવી પોલિસી સુધારા સાથે લાવવી જોઈએ તેવી માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના 1 લાખ ઉપર મકાન છે. જ્યાં ગેરકાયદે બાંધકામ પણ થયા છે. જે દૂર કરવા મકાન માલિકોને નોટિસ પણ અપાઈ. જોકે તેનો વિવાદ સર્જાતા સરકારે હાલ પૂરતી તે નોટિસ પર કાર્યવાહી કરવાનું મોકૂફ રાખ્યું છે. તેમજ હાઉસિંગ બોર્ડના મકાનોના રી ડેવલપમેન્ટને લઈને કેટલાક સ્થાનિકો દવારા નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના ઉદ્ઘાટન વખતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પત્ર આપી ઘટતું કરવા રજુઆત કરી હતી. જેમાં મંત્રીએ પણ ધ્યાન દોરવા ખાતરી આપી હતી. એટલુ જ નહીં પણ જો રી ડેવલપમેન્ટની પોલિસીમાં સુધારો નહિ આવે તો આગામી દિવસમાં વિવિધ એસોસિએશન અને ફેડરેશન રેલી, ધરણા જેવા કાર્યક્રમો આપી શકે તેવી પણ તૈયારી દર્શાવી છે. ત્યારે જોવાનું એ રહે છે કે આગમી દિવસમાં રી ડેવલપમેન્ટને લઈને શુ નિર્ણગ લેવાય છે અને સ્થાનિકોના હિતમાં પોલિસી જાહેર થાય છે કે પછી સ્થાનિકોએ સરકારની પોલિસીમાં ઢળવુ પડશે.