Ahmedabad : લાલ દરવાજા સીટી બસ સ્ટેશનને હેરિટેજ લુક અપાશે, 2022માં મળશે નવું નજરાણું
અમદાવાદના લાલ દરવાજા બસ સ્ટેશનની કાયાપલટ થવા જઈ રહી છે. 65 વર્ષ જૂના બસ સ્ટેન્ડને હેરિટેજ લુક આપી નવું બનાવવાની તૈયારીઓ આરંભી દેવાઈ છે.
Ahmedabad : આ શહેરની વિવિધ ઓળખોમાંથી એક ગણાતા લાલ દરવાજા બસ સ્ટેશનની કાયાપલટ થવા જઈ રહી છે. 65 વર્ષ જૂના બસ સ્ટેન્ડને હેરિટેજ લુક આપી નવું બનાવવાની તૈયારીઓ આરંભી દેવાઈ છે. ટેન્ડરિંગની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે.
લાલ દરવાજા બસ સ્ટેન્ડની આસપાસ ઐતિહાસિક ઇમારતો આવેલી હોવાથી દિલ્લીથી આર્કિયોલોજી વિભાગ પાસેથી મંજૂરી સહિત અન્ય પ્રક્રિયામાં વિલંબ થયો હતો, જે દૂર થતાં હવે આગામી દિવસોમાં નવું હેરિટેજ લુક સાથે બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી શરૂ થશે અને એક વર્ષમાં એટલે કે વર્ષ 2022ના અંત સુધીમાં બનીને અમદાવાદીઓને માટે શરૂ કરી દેવામાં આવશે.
વર્ષ 1955-56માં બનાવવામાં આવેલા લાલદરવાજા AMTS ટર્મિનસને બનાવવા માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2016-2017માં રિનોવેશન માટે 1. 5 કરોડ અને 2017-18માં 2.5 કરોડ એમ કુલ 4 કરોડ રૂપિયા મંજૂર થયા હતા. વર્ષ 2018માં શ્રીજી કન્સ્ટ્રક્શન દ્વારા લાલદરવાજા બસ સ્ટેન્ડ પર પ્લેટફોર્મ નંબર 0 પર મુખ્ય બિલ્ડિંગ અને પ્લેટફોર્મ તોડી નાખ્યું હતું.
મહત્વનું છે કે 1 એપ્રિલ 1947માં લોક માંગને લઈને amts બસ સેવા શરૂ કરાઇ હતી. જે બાદ 1955 – 56 માં લાલ દરવાજા બસ ટર્મિનલ બનાવી શરૂ કરાયું હતું. જે બાદ હાલ સુધીમાં કોઈ ફેરફાર બસ સ્ટેશનમાં કરાયા નથી. ત્યારે 65 વર્ષ બાદ તે લાલ દરવાજા બસ સ્ટેશનને નવો લુક આપવાનું નક્કી કરાયું. અને તેમા પણ નવા બસ સ્ટેશનને હેરિટેજ લુક આપી તૈયાર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અગાઉ 2016 – 17 માં રીનોવેશન માટે 1.5 કરોડ જ્યારે 2017 – 18 માં 2.5 કરોડ એમ કુલ 4 કરોડ મંજુર કરવામાં આવ્યા હતા. જોકે તેટલો વિકાસ થયો ન હતો. ત્યારે આ કામ મોટા પાયે હાથ લેવામાં આવ્યું છે. જેમાં 6.5 કરોડના ખર્ચે લાલ દરવાજા બસ સ્ટેશનને હેરિટેજ લુક સાથે તૈયાર કરવામાં આવશે.
2019માં મંજુર થયેલ દરખાસ્ત બાદ લાલ દરવાજા બસ સ્ટેશનનું નવીનીકરણ કરવાનું હતું. જોકે બસ સ્ટેશન પાસે 200 મીટરમાં હેરિટેજ ઇમારતોને કારણે આર્કિયોલોજી વિભાગની મંજૂરી લેવા બે વર્ષનો સમય લાગ્યો.
જો બસ સ્ટેશનની વાત કરીએ તો. ટર્મિનલમાં ઓફિસમાં સિક્યોરિટી રૂમ 1 અને કેબીન સહિત કુલ 9 રૂમ અને પેસેજની સુવિધાઓ સાથે ની ઓફિસ બિલ્ડીંગ હશે. જ્યાં નવુ સ્ટેશન બનતા નવા બસ ટર્મિનલમાં અનેક રૂટ અને બસ સેવા પણ આવરી લેવાશે.
amts નો ઇતિહાસ જોઈએ તો આઝાદીના ચાર મહિના પહેલા બસ સેવા શરૂ થઈ હતી. અને ત્યારે 60 બસ સાથે amts સેવા શરૂ કરાઇ હતી. જે હાલ 700 ઉપર બસની સંખ્યા પહોંચી ગઈ છે. અને હાલમાં amts શહેરની જીવાદોરી ગણાય છે. ત્યારે જરૂરી છે કે જેમ સમય બદલાયો તેમ તે પ્રકારની સુવિધા પણ શહેરીજનોને મળી રહે અને તે જ દિશામાં amts અને amc વિભાગે પ્રયાસ હાથ ધર્યો છે.