વિશ્વ અંગદાન દિવસે અમદાવાદ સિવિલ (Civil Mendicity Kidney Institute) મેડિસીટીની કિડની ઇન્સ્ટિટયૂટ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજીને ઉજવણી કરવામાં આવી હતી. કિડની ઇન્સ્ટિટયૂટના ડાયરેક્ટર ડૉ. વિનીત મિશ્રાએ ઉપસ્થિત તમામ લોકોને અંગોનું વેઇટીંગ ઘટાડવા અંગદાન અંગેની સમાજમાં વધુને વધુ જાગૃતિ ફેલાવવા સંકલ્પબધ્ધ કર્યાં હતાં. ઉપરોક્ત કાર્યક્રમમાં અંગદાન (Organ Donation) અંગેના ઘણા રસપ્રદ ફેક્ટ જાણવા મળ્યા હતા. અંગોના ટ્રાન્સપ્લાન્ટમાં સમગ્ર વિશ્વમાં અમેરિકા અને ચાઇના બાદ ભારત ત્રીજા ક્રમે છે. અન્ય રસપ્રદ વિગતો પર નજર નાખીએ તો હાલ દેશમાં થતા ટ્રાન્સપ્લાન્ટમાંથી 85 ટકા જીવિત વ્યક્તિના અંગોથી અને 15 ટકા જ બ્રેઇનડેડ (Braindead) વ્યક્તિઓના અંગદાનથી મળેલા અંગોની મદદથી ટ્રાન્સપ્લાન્ટ થાય છે.
દેશની પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરની હોસ્પિટલમાં 65 ટકા કિડની, 25 ટકા લીવર અને 10 ટકા હ્યદય, ફેફસાં, સ્વાદુપિંડ જેવા અંગોનું ટ્રાન્સપ્લાન્ટ થતા જોવા મળે છે. દેશમાં મળતા કુલ અંગોના દાનમાં 80 ટકા મહિલાઓ થકી અંગદાન થાય છે. અમદાવાદ સિવિલ મેડિસિટીની કિડની ઇન્સ્ટિટયૂટમાં છેલ્લા 5 વર્ષમાં 6500 થી વધુ કિડની અને 500થી વધુ લીવરના સફળ ટ્રાન્સપ્લાન્ટ થયા.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાયજ્ઞના પરિણામે અગાઉ જીવીત વ્યક્તિના અંગોના દાન થતી ટ્રાન્સપ્લાન્ટમાં ઘટાડો થઇને આજે 40 ટકા પ્રત્યારોપણ અંગદાનથી મળેલા અંગોની મદદથી થાય છે. જે આંક અગાઉ 20 ટકા હતો. આ કાર્યક્રમમાં ખાસ કરીને કિડની ઇન્સ્ટિટયૂટને તાજેતરમાં જ મળેલી ગર્ભાશયના પ્રત્યારોપણ અંગની ચર્ચાઓ રસપ્રદ બની રહી હતી.
કેટલાક મેડિકલ કારણોસર માતૃત્વ ધારણ કરવા અક્ષમ મહિલાઓ માટે સરોગેસી અને આઇ.વી.એફ. જ એક માત્ર વિકલ્પ બચે છે ત્યારે ગર્ભાશયના પ્રત્યારોપણ (Uterus Transplant) ઉપલબ્ધ બનતા માતૃત્વની ઝંખના રાખતી મહિલાઓ માટે આ વરદાન રૂપ સાબિત થશે તેમ કિડની ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર ડૉ. વિનીત મિશ્રાએ જણાવ્યું હતું.