Ahmedabad : રેમડેસીવીર ઇન્જેક્શન, કોરોના સારવાર માટે નવા બેડ અને BRTS રૂટ અંગે AMCએ લીધા મહત્વપૂર્ણ નિર્ણયો, જાણો સમગ્ર વિગતો
Ahmedabad : અમદવાદમાં વધતા જતા કોરના સંક્રમણ અંગે AMC તંત્ર એક બાદ એક મહત્વપૂર્ણ નિર્ણયો લઇ રહ્યું છે.
Ahmedabad : રાજ્યમાં કોરોના સંક્રમણ બુલેટ ગતિએ વધી રહ્યું છે. રાજ્યમાં આજે 8 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં Coronaના નવા 4021 કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ અમદાવાદમાં 951 નવા કેસ નોધાયા છે અને 9 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે. અમદવાદમાં વધતા જતા કોરના સંક્રમણ અંગે રાજ્ય સરકાર અને AMC એક બાદ એક મહત્વપૂર્ણ નિર્ણયો લઇ રહ્યા છે.
SVP હોસ્પિટલેથી 24×7 મળશે રેમડેસીવીર ઇન્જેક્શન અમદાવાદ શહેરમાં રેમડેસીવીર ઇન્જેક્શન ની માંગમાં પણ ખૂબ જ વધારો થતા AMC દ્વારા જે ખાનગી કોવીડ હોસ્પિટલો સાથે એમ.ઓ.યુ. કરવામાં આવેલ છે તે હોસ્પિટલોમાં સરકાર દ્વારા નક્કી કરવામાં આવનાર ભાવથી રેકવીઝીશન કરેલ કોવીડ હોસ્પિટલે રેમડીસીવીર ઇજેકશન એસ.વી.પી. હોસ્પિટલ, સીવીલ હોસ્પિટલ અસારવા તથા સોલા સીવીલ હોસ્પિટલ ખાતેથી આપવાનું જાહેર કરવામાં આવેલ.
SVP હોસ્પિટલ ખાતેથી તા 8 એપ્રિલ એટલે કે આજથી જ દરરોજ ઉપલબ્ધ સ્ટોક મુજબ રેમડેસીવીર ઇજેકશન આપવાનું શરૂ કરવામાં આવેલ છે. ઇજેકશન જે તે હોસ્પિટલના લેટરહેડ ઉપર દર્દીની વિગતો, કોવીડનો રીપોર્ટ, ડોકટરનું પ્રિસ્ક્રીપ્શન સાથે અત્રેની હોસ્પિટલ ખાતે જે તે હોસ્પિટલના નિયત કર્મચારી અથવા પ્રતિનીધિ રૂબરૂ આવીને લઈ જવાની પદ્ધતિ ગોઠવવામાં આવેલ છે.
શહેરમાં કોરોના માટે એમ.ઓ.યુ. કરેલ પ્રાઇવેટ હોસ્પિટલ એસ.વી.પી. હોસ્પિટલ ખાતેથી રેમડેસવીર ઇન્જકશનનો જથ્થો 24×7 ના ધોરણે લઇ શકે છે તે માટે સવારના 9 થી રાતના 9 સુધીના સમય માટે હિરેન વોરા મો.નં.9825175560 નો તથા રાતના 9 થી સવારના 9 સુધીના સમય માટે શ્રી ગણેશ રાજપૂત મો.નં. 9327535626 નો સંપર્ક કરવાનો રહેશે.
ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા બેડ ખાલી રાખવાનો આદેશ અમદવાદમાં કોરોનાની સ્થિતિ વકરતા મ્યુનિસિપલ કમિશ્નરે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. AMCના આ આદેશમાં જણાવવામાં આવ્યું છે કે શહેરમાં કોરોના દર્દીઓના થઇ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને દર્દીઓને સારવાર મળી રહે તે માટે તમામ મોટી ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા બેડ ફરજિયાતપણે કોરોના દર્દીઓની સારવાર માટે ખાલી રાખવા પડશે. AMCના આ આદેશથી કોરોના દર્દીઓને 18 ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે 1219 બેડનો લાભ મળશે.આવી હોસ્પિટલમાં કોરોના સારવાર માટેનો તમામ ખરચ દર્દીઓએ જ ભોગવવો પડશે. કારણ કે આ આદેશ અંતર્ગત આવતી હોસ્પિટલો AMC સંપાદિત એટલે કે કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલો નથી. આ હોસ્પિટલોના નામ આ પ્રમાણે છે –
1. ઝાયડ્સ હોસ્પિટલ, થલતેજ 2. કે.ડી. હોસ્પિટલ, વૈષ્ણવદેવી 3. સ્ટર્લિંગ હોસ્પિટલ, મેમનગર 4. નારાયણા હોસ્પિટલ, રખિયાલ 5. સેવિયર હોસ્પિટલ નવરંગપુરા 6. પારેખ હોસ્પિટલ, સેટેલાઇટ 7. એશિયન બેરીયટીક, બોડકદેવ 8. સિંધુ હોસ્પિટલ, કુબેરનગર 9. સિધ્ધિ વિનાયક હોસ્પિટલ, મણિનગર 10. પુખરાજ હોસ્પિટલ, સાબરમતી 11. એવરોન હોસ્પિટલ, નારણપુરા 12. કર્ણાવતી હોસ્પિટલ, એલિસબ્રિજ 13. દેવસ્ય હોસ્પિટલ, નવાવાડજ 14. લોખંડવાલા હોસ્પિટલ, પ્રેમ દરવાજા 15. એપોલો પ્રાઈમ, બાપુનગર 16. કર્મદીપ હોસ્પિટલ, બાપુનગર 17. સેટેલાઇટ હોસ્પિટલ, સેટેલાઇટ 18. ચૌધરી હોસ્પિટલ, સૈજપુર
BRTS રૂટ જાહેર જનતા માટે ખુલ્લો કરાયો શહેરમાં BRTS અને AMTS બસ પરિવહન બંદ છે ત્યારે AMTS રૂટ જનમાર્ગ ખાલી રહે છે. AMC દ્વારા શહેરમાં થતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે હાલ AMTS રૂટ જનમાર્ગ પર બસ પરિવહન ન હોવાથી BRTSના તમામ રૂટ આગામી આદેશ સુધી સામાન્ય જનતા માટે ખુલ્લા કરી દેવામાં આવ્યાં છે. આગામી આદેશ સુધી આ નિર્ણય લાગુ રહેશે.
અમદાવાદમાં આજે 19539 લોકોને વેક્સીન અપાઈ અમાદવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે નક્કી કરેલી વિવિધ સાઈટ પર કુલ 19539 લોકોને કોરોનાની વેક્સીન અપાઈ જેમાં 10159 અને 9380 મહિલાઓને કોરોના વેક્સીન આપી છે. આજે જે લોકોને વેક્સીન અપાઈ એ લોકોમાં 45 વર્ષથી ઉપરના વ્યક્તિ, 60 વર્ષથી ઉપરની વ્યક્તિ, ફ્રન્ટલાઈન વર્કર અને હેલ્થકેર વર્કર શામેલ છે.