રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં સોમવારથી રવિવાર સવારની ઓ.પી.ડી.(OPD)નો સમય સવારે 9થી બપોરે 1 અને સાંજની ઓ.પી.ડીનો સમય સોમવારથી શનિવાર સાંજે 4થી 8નો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રવિવારે સવારે 9થી બપોરે 1 સુધી ઓ.પી.ડી. કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયને જુનિયર ડૉક્ટરો (Junior Doctors) દ્વારા ઉતાવળિયો અને અવ્યવહારુ ગણવામાં આવી રહ્યો છે. સિવિલ સૂત્રોના જણાવ્યા અનુસાર જુનિયર ડૉક્ટર્સે સાંજની તેમજ રવિવાર સવારની OPDથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. જુનિયર ડૉક્ટર્સના મતે હાલમાં પણ સાંજના જ મોડી રાત્રે પણ કોઈ દર્દી આવે તો તેના માટે સિવિલ (Civil)ના ટ્રોમા સેન્ટરમાં તેઓ ખડેપગે જ હોય છે. આ તરફ સાંજની ઓ.પી.ડી. શરૂ થતા તમામ વ્યવસ્થાતંત્ર ખોરવાશે. શનિવારથી સરકારના પરિપત્રનો અમલ શરૂ થઈ ગયો છે જો કે સતત ત્રીજા દિવસે પણ જુનિયર ડૉક્ટરો સાંજની ઓ.પી.ડીથી દૂર રહ્યા હતા.
આ મામલે જુનિયર ડોક્ટર્સ હડતાળ પર ઉતરે તેવી પણ સંભાવના સિવિલ કેમ્પસમાં વહેતી થઈ હતી. જો કે જુનિયર ડૉક્ટર્સે હાલના તબક્કે આવી તમામ સંભાવના નકારી દીધી છે. બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં સરકારની સૂચનાનો અમલ તાકીદની અસરથી કરવા માટે પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે. અસારવા સિવિલમાં સરકારની સૂચના અનુસાર સાંજે 4થી રાત્રે 8 દરમિયાન ઓ.પી.ડી. યોજાઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
જો કે સરકારના પરિપત્રનો રાજ્યની દરેક સિવિલમાં બીજા દિવસથી અમલવારી કરવાના દાવા તો થયા, પરંતુ હકીકત સાવ જૂદી જ જોવા મળી હતી. અમારા સંવાદદાતાએ વડોદરાની SS હોસ્પિટલમાં ઈવનિંગ ઓપીડી અંગે કરેલા રિયાલિટી ચેકમાં પ્રથમ ગ્રાસે જ મક્ષીકા જેવા દૃશ્યો જોવા મળ્યા હતા. Tv9ના રિયાલિટી ચેકમાં OPDમાં મોટાભાગના વિભાગોમાં તબીબો ગેરહાજર જોવા મળ્યા. તબીબોની ગેરહાજરી અંગે Tv9 દ્વારા જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે હોસ્પિટલનો સ્ટાફ ભાગતો નજરે ચડ્યો.
આ તરફ રાજકોટ સિવિલમાં જરા અલગ સ્થિતિ જોવા મળી. અહીં સરકારની સૂચના પ્રમાણે OPDમાં તમામ વિભાગમાં તબીબોએ હાજર રહીને દર્દીઓની સારવાર કરી. હવેથી રાજકોટ સિવિલમાં દર રવિવારે સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી OPD ખુલ્લી રહેશે. જોકે સરકારની જાહેરાત અંગે મર્યાદિત જાણકારી હોવાથી રાજકોટ સિવિલમાં સામાન્ય કરતા ઓછી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે પહોંચ્યા હતા.
આમ અલગ અલગ શહેરોમાં અલગ અલગ સ્થિતિ છે. જોકે દર્દીઓનું કહેવું છે કે હાલ જે ઓપીડીનો સમય છે, તેમાં પણ ઘણા તબીબો ગુટલી મારી દેતા હોય છે અને જુનિયર ડોક્ટર પર પણ જવાબદારી નાખી દેતા હોય છે. તેથી તેના પર કામનું ભારણ વધે છે. તેવામાં વધુ 2 કલાક વધારાતા કેટલીક હોસ્પિટલોમાં તો ડોક્ટર્સ આ નવા પરિપત્રનો વિરોધ પણ કરી રહ્યા છે. ત્યારે દર્દીઓને આ નવા પરિપત્રથી કેટલો ફાયદો થશે એ આવનારા સમયમાં ખબર પડશે.