Ahmedabad : ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીને લઇને ઉત્સાહનો માહોલ, ભક્તો ઓનલાઇન દર્શન કરી શકશે
આ વર્ષે કોરોના મહામારીને કારણે સરકારની ગાઈડલાઈન પ્રમાણે જન્માષ્ટમી નિમિતે દર્શનાર્થીઓ માટે મંદિરમાં કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે દર્શન કરવામાં આવશે. મંદિર પરિસરમાં 200 દર્શનાર્થીઓ માટે દર્શન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
Ahmedabad : ઇસ્કોન મંદિરમાં કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે જન્માષ્ટમી મહામહોત્સવ ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. એસ.જી હાઈવે સ્થિત ઇસ્કોન મંદિરમાં દર વર્ષે જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. વર્ષ 2019માં કોરોના મહામારી પહેલા આશરે 2 લાખથી વધારે શ્રદ્ધાળુઓ ભગવાન શ્રી રાધા ગોવિંદજીના દર્શનનો લાભ ઉઠાવ્યો હતો.
પરંતુ, આ વર્ષે કોરોના મહામારીને કારણે સરકારની ગાઈડલાઈન પ્રમાણે જન્માષ્ટમી નિમિતે દર્શનાર્થીઓ માટે મંદિરમાં કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે દર્શન કરવામાં આવશે. મંદિર પરિસરમાં 200 દર્શનાર્થીઓ માટે દર્શન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
કોરોના મહામારીની તકેદારીના ભાગરૂપે માસ્ક, સેનિટાઇઝર, સોશ્યિલ ડિસ્ટન્સીગનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે તેવું મંદિરના મહંતો દ્વારા જણાવાયું છે. મંદિર પરિસરમાં ભીડના થાય તેના માટે કોઈ પણ દર્શનાર્થીને મંદિર પરિસરમાં બેસવા દેવામાં નહિ આવે. સાથે સાથે અમદાવાદના ભાવિક ભક્તો માટે મંદિર પ્રશાસન દ્વારા મંદિરના ફેસબુક તથા યુ-ટ્યૂબ પેજ પર લાઈવ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી ભક્તો ઘરે બેઠા-બેઠા ભગવાનના દર્શન, આરતી તથા મહા-અભિષેક નિહાળી શકે.
જન્માષ્ટમીના દિવસે સવારે 4.30 વાગ્યે ભગવાનની મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યાર બાદ સવારે 7.30 વાગ્યે ભગવાનના નવા વસ્ત્રોના શ્રુંગાર દર્શન ત્યારબાદ ઇસ્કોન મંદિરમાં કૃષ્ણ કથા અને ત્યારબાદ સવાર 9 થી રાત્રીના 1 વાગ્યા સુધી અખંડ હરે કૃષ્ણ મહામંત્રની ધૂન ભક્તો દ્વારા કરવામાં આવશે.
રાત્રિના 10.30 કલાકે ભગવાનનો મહા-અભિષેક કરવામાં આવશે. અને પછી 11.30 વાગ્યે મહા આરતી કરવામાં આવશે. આ દિવસે ભગવાનને 1008 વિવિધ વાનગીઓ જેમ કે મૅક્સિકેન, ઇટાલિયન, થાઈ, ચાઇનીસ, તથા ભારતની વિવિધ વાનગીઓ અર્પણ કરવામાં આવશે. ઉપરોક્ત સમગ્ર કાર્યક્રમ ભક્તો ઓનલાઈન ઇસ્કોન મંદિરના ફેસબુક તથા યુ-ટ્યૂબ પેજ પર નિહાળી શકશે તેવી વ્યવસ્થા કરાઈ છે.
ઇસ્કોન મંદિરના સંચાર નિયામક હરેશ ગોવિંદ દાસજી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ” આ વર્ષે સરકાર દ્વારા થોડી રાહત આપવામાં આવી છે તેને ધ્યાનમાં રાખીને જન્માષ્ટમી મનાવવામાં આવશે.” તેમને આગળ જણાવ્યું કે, “જન્માષ્ટમીના દિવસે જે પણ વિધિ-વિધાન તથા પૂજા થશે તેનું લાઈવ દર્શન ભક્તો ઘરે બેઠા ઇસ્કોન અમદાવાદના ફેસબુક તથા યુ-ટ્યૂબ પેજ પર કરી શકશે ”
ઇસ્કોન મંદિર ના પ્રમુખ કલાનાથ ચૈતન્ય દાસજી દ્વારા જણાવામાં આવ્યું કે, “દર વર્ષે ઇસ્કોન મંદિર જન્માષ્ટમીનો તહેવાર ખુબ જ ધામધુમથી ઉજવાતું આવી રહ્યું છે. પરંતુ આ વર્ષે સરકાર દ્વારા કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે દરેક પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે. સતત આ વર્ષે પણ પ્રસાદી ભંડારો રાખવામાં આવ્યો નથી ” તેમને આગળ જણાવ્યું કે, “જન્માષ્ટમીના દિવસે વિશ્વવ્યાપી કોરોના મહામારીથી લોકોની રક્ષા તથા લોકો સ્વસ્થ રહે તે માટે ભક્તો દ્વારા વિશેષ પ્રાર્થના તથા અર્ચના કરવામાં આવશે.