AMC આકરા પાણીએ: ઘરે આવીને માગશે કોરોના વેક્સિન સર્ટિફિકેટ, જો રસી નહીં લીધી હોય તો કરશે આ કામ
Ahmedabad: શહેરમાં 10 લાખ લોકોએ રસીનો બીજો ડોઝ નથી લીધો. આ લોકોને વેક્સિનનું કવચ મળી જાય તે માટે કોર્પોરેશને હવે નવી ઝુંબેશ હાથ ધરી છે.
Corona Vaccine: અમદાવાદ (Ahmedabad) શહેરમાં વેક્સીન લેવાની બાબતમાં હવે AMC આકરા પાણીએ જોવા મળી રહ્યું છે. પાલિકાએ ઘણા પગલા ભર્યા અને ઘણી લોભામણી જાહેરાતો આપી છે. તેમ છતાં વેક્સિનેશન જોઈએ એ પ્રમાણે ન થતા હવે મોટો નિર્ણય લીધો છે. લોકોની નિરસતાને પગલે AMCના આરોગ્ય તંત્ર દ્વારા નિત નવા અભિયાનો હાથ ધરવામાં આવે છે. લોકો વેક્સિન (Vaccine) લે તે માટે આરોગ્યની ટીમો સતત પ્રયત્નો કરી રહી છે.
તેમ છતાં હજુ પણ શહેરમાં 10 લાખ લોકોએ રસીનો બીજો ડોઝ નથી લીધો. આ લોકોને વેક્સિનનું કવચ મળી જાય તે માટે કોર્પોરેશને હવે નવી ઝુંબેશ હાથ ધરી છે. જેમાં આરોગ્યની ટીમ ઘરે-ઘરે જઈને ચકાસણી કરી રહી રહી છે. જો કોઈએ વેક્સિન ન લીધી હોય તો તેને તાત્કાલિક રસીનો ડોઝ આપવામાં આવી રહ્યો છે.
આ કામગીરી માટે શહેરમાં 300 જેટલી આરોગ્યની ટીમો કામે લાગેલી છે. છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા આ અભિયાનમાં કોર્પોરેશને અત્યાર સુધી 6.52 લાખ ઘરોમાં ચકાસણી કરી છે. આ તપાસ દરમિયાન 22 હજાર 994 લોકો એવા હતા જેમણે રસીનો એકપણ ડોઝ લીધો ન હતો. આવા લોકોને રસી મૂકવામાં આવી છે.
અમદાવાદ મહાનગરપાલિકાએ 17 સપ્ટેમ્બરના રોજ એક જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે સરકારી સ્થળોએ, જાહેર સ્થળોની મુલાકાત એ લોકો જ લઈ શકશે જેમણે રસીના બે ડોઝ લીધા હશે. આ ઉપરાતં AMTS, BRTSમાં એ લોકોને જ મુસાફરી કરી શકશે જેમણે બે ડોઝ લીધા હશે.
આ મુદ્દે હાઈકોર્ટમાં એક અરજીકર્તાએ અરજી કરી હતી. જેમાં રસી નહીં તો પ્રવેશ નહીંના નિયમને અરજીકર્તાએ લોકોના હક્ક પર તરાપ ગણાવી હતી. જો કે હાઈકોર્ટે આવી રજૂઆત સાથેની પિટિશનને ફગાવી હતી અને મહાનગરપાલિકાની વેક્સિનેશન ડ્રાઈવની પ્રશંસા કરી હતી. કોર્ટે નોંધ્યું કે જાહેર હિતમાં અને કોરોના સામેની લડાઈમાં લેવાયેલ નિર્ણયમાં કોર્ટ કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ નહીં કરે.
સાથે જ સંભવિત ત્રીજી લહેરથી બચવા રસી લેવી જરૂરી હોવાની રજૂઆત કોર્ટે સ્વીકારી છે. તો રાજ્યના નાગરિકો મહામારીમાં જનહિતને પ્રાધાન્ય આપશે એવી આશા હાઈકોર્ટે વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: Rajkot: ડિજિટલ કરન્સીના નામે કરી મોટી છેતરપિંડી, લાલચ આપી અનેક લોકોને ઠગનાર 2 ની ધરપકડ