Ahmedabad: ભારે વરસાદ બાદ અમદાવાદમાં તારાજી સર્જાઇ, વૃક્ષ-મકાન ધરાશાયી થવાના અનેક કોલ કંટ્રોલ રુમમાં મળ્યા
મળતી માહિતી પ્રમાણે વરસાદ (Rain) દરમિયાન જે ઝાડ પડ્યા કે પાણી ભરાવવાની સમસ્યા સામે આવી તે પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ સમસ્યા જોવા મળી હતી. તેમજ ક્યાંક હોર્ડિંગ અને AMCના બોર્ડ પણ ધરાશાયી થયા હતા.
રાજ્યમાં એક સપ્તાહથી વરસાદની (Rain) શરૂઆત થઈ, જોકે અમદાવાદમાં (Ahmedabad) વરસાદ ન પડતા લોકો ગરમીથી શેકાઈ રહ્યા હતા. રવિવારે પડેલા વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. પણ સાથે જ વરસાદી સમસ્યાઓ પણ સામે આવી છે. ભારે પવનથી અમદાવાદમાં તારાજી સર્જાઈ છે. જેમાં શહેરમાં એક બે નહિ પણ 131 જેટલા વૃક્ષ પડવાની ઘટના સામે આવી છે. AMC ગાર્ડન વિભાગ અને ફાયર બ્રિગેડ (Fire Brigade) દ્વારા રોડ પર પડેલા વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો ગઈકાલથી મોન્સુન કંટ્રોલ રૂમમાં સતત કોલ આવી રહ્યા છે કોલ ફાયર બ્રિગેડ અને AMC કંટ્રોલ રૂમના મળી કુલ 131 ઉપર કોલ મળ્યા છે.
ભારે વરસાદથી અનેક સ્થળે નુકસાન
અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસથી વાદળછાયા વાતાવરણ અને છુટા છવાયા વરસાદી ઝાપટાના કારણે શહેરમાં ગરમીનો માહોલ હતો. ગરમીથી રાહત મેળવવા લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. આ રાહનો રવિવારે સાંજે અંત આવ્યો. કેમ કે રવિવારે સાંજે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. સારો એવો વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જેથી લોકોને ગરમીમાંથી સામાન્ય રાહત મેળવી છે. જો કે બીજી તરફ ભારે પવન સાથે ખાબકેલા મુશળધાર વરસાદને કારણે શહેરમાં અનેક સ્થળે નુકસાન થયુ હોવાનું સામે આવ્યું છે.
શહેરમાં 131 વૃક્ષ ધરાશાયી
મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરમાં એક-બે નહિ પણ 131 જેટલા વૃક્ષ પડવાના બનાવ બન્યા છે. AMCના બગીચા ખાતું, ફાયર બ્રિગેડ કંટ્રોલ અને AMC મોન્સૂન કંટ્રોલ રૂમમાં આ કોલ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કોલ બગીચા ખાતામાં નોંધાયા છે. તો 12 સ્થળે વાહનો પર ઝાડ પડતા નુકસાન થયાનું પણ સામે આવ્યું છે. જોકે મોટી અનહોની નહિ સર્જાતા તંત્રએ રાહતનો શ્વાસ પણ લીધો હતો.
ફાયર બ્રિગેડ કંટ્રોલમાં રવિવારે સાંજથી સોમવારે સવારે 11 વાગ્યા સુધી વિવિધ કોલ નોંધાયા
ઝાડ પડવાના 54 કોલ આગના 9 કોલ મકાન પડવાના 2 કોલ ટાવરનો 1 કોલ ( ગોમતીપુર ટાવર પડ્યું) 15 જેટલા કોલ હજુ પેન્ડિંગ
મકાનના કોલ
સોનલ ચાર રસ્તા પાસે આમરકુંજ સોસાયટી સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે જર્જરિત ફ્લેટમાં બાલ્કનીનો કેટલોક ભાગ પડ્યો હતો. જ્યાં ફસાયેલા લોકોને બચાવી લેવાયા હતા. તો આસ્ટોડીયા ચકલા ગતરાડની પોળમાં જૂનું મકાન પડ્યું હતુ. આ બંને ઘટનામાં કોઈ મોટી જાનહાની થઇ નથી. તો એક ફરિયાદ બોડકદેવ વિસ્તારમાં રોડ સેટલમેન્ટની પણ મળી હતી.
AMC કંટ્રોલ રૂમમાં રવિવારે સાંજથી હાલ સુધી શહેરમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો
AMC કંટ્રોલ રૂમમાં રવિવારે સાંજથી હાલ સુધી શહેરમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો
AMC કંટ્રોલ રૂમ પર 20 જેટલી ફરિયાદ મળી હતી. જેમાં સૌથી વધુ ફરિયાદ વૃક્ષ ધરાશાયી થવાની હતી. તેમજ 4 થી પાંચ જગ્યા પર વરસાદ દરમિયાન પાણી ભરાવવાની ફરિયાદ પણ AMCને મળી હતી. જેમાં ગોતા અને તેની આસપાસના વિસ્તારનો સમાવેશ થાય છે. વરસાદ બંધ થતાં તેનો નિકાલ થઈ ગયાનું પણ અધિકારીએ જણાવ્યું હતુ. તેમજ AMCના 1500 ઉપર જ્યારે ટ્રાફિકના મળી 6 હજાર કેમેરા મારફતે કંટ્રોલ રૂમથી નજર રાખી શહેરીજનોની સમસ્યા દૂર કરવામાં આવી રહી હોવાનું પણ અધિકારીએ જણાવ્યું.
પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ સમસ્યા
મળતી માહિતી પ્રમાણે વરસાદ દરમિયાન જે ઝાડ પડ્યા કે પાણી ભરાવવાની સમસ્યા સામે આવી તે પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ સમસ્યા જોવા મળી હતી. તેમજ ક્યાંક હોર્ડિંગ અને AMCના બોર્ડ પણ ધરાશાયી થયા હતા. જેથી પશ્ચિમ વિસ્તારના લોકોને હાલાકી ન પડે માટે સંલગ્ન વિભાગ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. તો કેટલાક અધિકારીનું એવુ પણ માનવું છે કે, ઓછા સમયમાં પડેલા વધુ વરસાદમાં વધુ ફરિયાદો મળી છે. જે ચિંતાનો વિષય છે. જેને પહોંચી વળવા AMC તમામ પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે હજુ કેટલાક દિવસ માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેને જોતા લોકોએ સાવચેત રહેવું પડશે.
બીજી તરફ વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર રહેશે. તો રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી. જેમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, મહીસાગર અને ભરૂચમાં આગાહી. તો સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને સોમનાથમાં ભારે વરસાદની આગાહી. જ્યારે કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે આગામી 28 જૂનથી 1 જુલાઈ એ વરસાદનું જોર વધશે. તેમજ અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટ્મ શક્રિય થવાથી ફિશરમેન વોર્નિંગ પણ જાહેર કરાઈ. એટલું જ નહીં પણ રાજ્યમાં જૂન મહિનામાં પોણા બે ઇંચ વરસાદ સાથે 54 ટકા વરસાદ નોંધાયો. તો હજુ જૂન મહિનાનો 46 ટકા વરસાદ બાકી છે. તો 1 જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે તેવી આગાહી કરાઈ છે જેને જોતા આ ઘટ પુરી થઈ જશે તેવી આશા પણ વ્યક્ત કરાઈ રહી છે.