દાહોદમાં બાળકીની દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા મામલે કોંગ્રેસે સરકારની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ, દીકરીને ન્યાય અપાવવા યોજી પદયાત્રા- Video

દાહોદના સિંગવડ તાલુકાની પ્રાથમિક શાળામાં ધોરણ 1ની વિદ્યાર્થિનીની દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા નિપજાવનાર શાળાના પ્રિન્સીપાલને ફાંસી આપવાની માગ ઉઠી છે. આ સમગ્ર ઘટના પર હવે રાજનીતિ પણ ચરમસીમાએ છે. બાળકીને ન્યાય અપાવવાની માગ સાથે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં અમદાવાદમાં કોંગ્રેસની પદયાત્રા યોજાઈ હતી. જેમા કોંગ્રેસે સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા.

| Edited By: | Updated on: Sep 26, 2024 | 2:52 PM

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળાની ધોરણ 1ની વિદ્યાર્થિનીના હત્યારા શાળાના આચાર્ય સામે ચોમેરથી રોષ અને ફિટકાર વરસી રહ્યો છે. 56 વર્ષિય આ આધેડે પહેલા વિદ્યાર્થિનીને સ્કૂલે મુકવાના નામે પોતાની કારમાં બેસાડી અને તે બાદ તેના પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો. બાળકીએ ચીસાચીસ કરી મુકતા આચાર્યએ કારમાં જ બાળકીને ગળુ દબાવા ઠંડે કલેજે હત્યા કરી નાખી. આ ઘટના સામે આવ્યા બાદ દાહોદના હત્યારા આચાર્ય સામે ભારે ફિટકાર વરસી રહ્યો છે અને હત્યારા આચાર્યને ફાંસી આપવાની તેમજ સમગ્ર કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની માગ બુલંદ બની છે.

કોલકાતાની ઘટના પર મુખ્યમંત્રીને સલાહ આપનારી ગુજરાતની સરકાર દાહોદ મામલે કેમ ચૂપ છે?

આ સમગ્ર મામલે કોંગ્રેસે આજે અમગદાવાદ સ્થિત કોંગ્રેસ ભવનથી ટાઉન હોલ સ્વામી વિવેકાનંદની પ્રતિમા સુધી પદયાત્રા યોજી હતી. શક્તિસિંહ ગોહિલે આરોપી વિરુદ્ધ પોક્સોની અને 302ની કલમ લગાવવાની માગ કરી છે. શક્તિસિંહે રાજ્યની સરકાર પર પ્રહાર કર્યા કે ભાજપના રાજમાં રાજ્યમાં ગુનેગારોને છુટો દોર મળ્યો છે. રાજ્યમાં ચંદા દો અને પૈસા આપોની નીતિ ચાલી રહી છે. ભાજપને પૈસા આપો અથવા ભાજપના સભ્યો બનાવી આપો અને જે કરવુ હોય તે કરવાની છૂટ છે. ગુનેગારોને સીધા ભાજપના ખેસ પહેરાવીને ગુનો કરવાની છૂટ આપી દેવામાં આવે છે.

માસૂમ બાળકીનો હત્યારો પ્રિન્સીપાલ RSS, VHP અને ભાજપ સાથે સંકળાયેલો

શક્તિસિંહે સવાલ ઉઠાવ્યો કે વડાપ્રધાન મોદી આ ઘટના પર ચૂપ છે. ગુજરાતના મુખ્યમંત્રી આવડતી ન હોય તે ભાષામાં પણ મોટા મોટા ટ્વીટ કરી કોલકાતાની ટ્રેઈની ડૉક્ટરની રેપ બાદ હત્યા મામલે મમતા સરકારને સલાહો આપે અને દાહોદની 6 વર્ષની બાળકીની દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા મામલે ભેદી મૌન સેવીને બેઠા છે. શક્તિસિંહે એ પણ પ્રહાર કર્યો કે હત્યારો પ્રિન્સીપાલ ભાજપની વિચારધારા સાથે સંકળાયેલા છે. RSSનો પ્રચારક છે એટલે સંપૂર્ણ ઘટના પર પરદો પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જો કે આજના કાર્યક્રમને રાજકીય મુદ્દો ન ગણાવતા શક્તિસિંહે જણાવ્યુ કે આ પદયાત્રા રાજકીય બિલકુલ નથી માત્રને માત્ર બાળકીને ન્યાય અપાવવા આ માટેનો પ્રયાસ છે.

કોર્ટ આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

આપને જણાવી દઈએ કે સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર જગાવનાર હત્યાનો આરોપી આચાર્ય ગોવિંદ નટ ભાજપ, RSS અને વિશ્વ હિંદુ પરિષદ સાથે સંકળાયેલો છે. બાળકીની હત્યા મામલે પોલીસે શિક્ષકો અને વિદ્યાર્થીઓની પૂછપરછ કરતા આ જઘન્ય કૃત્યનો પર્દાફાશ થયો અને પોલીસે આચાર્યની ધરપકડ કરી છે. પોલીસે આચાર્યના 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી, જેમા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ઘટનાના પડઘા સમગ્ર રાડ્યમાં પડ્યા છે અને 56 વર્ષના આધેડ આચાર્યસામે ઠેર ઠેર ફિટકાર વરસી રહ્યો છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

 

 

Published On - 2:47 pm, Thu, 26 September 24