Ahmedabad : કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલા 9 તાલુકામાં 1.60 લાખ બાળકોનો સર્વે કરાયો
Survey in 9 talukas of Ahmedabad : અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ જિલ્લાના તમામ તાલુકાઓના હાઈરિસ્ક કેટેગરીમાં આવતા બાળકોને અલગ તારવીને તેમની સારવાર તેમજ પોષણયુક્ત ખોરાક મળી રહે તે દિશામાં કામગીરી આરંભી છે.
Ahmedabad : કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેર (3RD WAVE OF CORONA VIRUS) ને પગલે દેશભરમાં ચિંતાનો માહોલ છે ત્યારે અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ પાણી પહેલા પાળ બાંધવાની શરૂઆત કરી લીધી છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકોને સૌથી વધુ નુકસાન થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ જિલ્લાના તમામ તાલુકાઓના હાઈરિસ્ક કેટેગરીમાં આવતા બાળકોને અલગ તારવીને તેમની સારવાર તેમજ પોષણયુક્ત ખોરાક મળી રહે તે દિશામાં કામગીરી આરંભી છે.
અમદાવાદના તમામ 9 તાલુકાઓમાં સર્વે અમદાવાદ જિલ્લાના 9 તાલુકાઓ (9 talukas of Ahmedabad district) માં સંભવિત ત્રીજી લહેરના પગલે 0 થી 5 વર્ષના બાળકોના સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ કામગીરી હેઠળ 1.60 લાખ બાળકોનો સર્વે કરવામાં આવ્યો છે, જેમાંથી 1068 બાળકો હાઈરિસ્ક કેટેગરીમાં હોવાનું સામે આવ્યું છે. આ બાળકોને કુપોષિત, અતિકુપોષિત અને જન્મજાત બીમારી આમ 3 કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. જેમને પોષણયુક્ત ખોરાક તેમજ ડોકટરોની ટીમ દ્વારા જન્મજાત બીમારી ધરાવતા બાળકોને જરૂરી સારવાર આપવામાં આવશે.
સરકારી હોસ્પિટલમાં થશે સારવાર અમદાવાદ (AHMEDABAD) જિલ્લાના તમામ તાલુકામાં સર્વેની કામગીરી પૂર્ણ કરાયા બાદ જન્મજાત બીમારી ધરાવતા બાળકો જે ગંભીર બીમારી ધરાવે છે, તેમની બીમારીની સારવાર માટેની વ્યવસ્થા પણ સરકારી હોસ્પિટલમાં કરવામાં આવશે. આવા હાઈરિસ્ક કેટેગરીમાં આવતા બાળકોના માતા-પિતા તેમજ ઘરમાં રહેતા વડીલોનું 100% રસીકરણ થાય તે દિશામાં કામગીરી કરવા માટે અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલીયા (ANIL DHAMELIYA) દ્વારા અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે.
હવે 6 થી 18 વર્ષના બાળકોનો સર્વે કરાશે 0 થી 5 વર્ષના બાળકોના સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ હવે અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી (AHMEDABAD DDO) અનિલ ધામેલીયા દ્વારા 6 થી 18 વર્ષના બાળકો તેમજ યુવાનોના સર્વેની કામગીરી શરૂ કરવાના આદેશ તાલુકા આરોગ્ય અધિકારીને આપવામાં આવ્યા છે. જેને લઈને આ વયજૂથમાં આવતા બાળકોનો વજન, ભૂતકાળમાં થયેલ બીમારી, શરીરમાં પોષણ ઉણપ છે કે કેમ તે અંગેનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે.
બાળકો પર થનારું નુકશાન ઘટાડી શકાશે : DDO અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલીયા નું માનવું છે કે આ પ્રકારની સર્વેની કામગીરીથી કોરોના વાયરસ (CORONA VIRUS) ની સંભાવિત ત્રીજી લહેર પહેલા જ આવા બાળકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને તેમને ત્રીજી લહેરમાં થનાર નુકસાન ઘટાડી શકાશે અને અમદાવાદ જિલ્લાના કુપોષિત બાળકોને પણ પોષણક્ષમ આહાર આપીને સ્વસ્થ બનાવી શકાશે. જેનાથી અમદાવાદ જિલ્લાના ગ્રામજનોના આરોગ્ય અને સ્વાસ્થ્યમાં સુધારો થશે.