
અમદાવાદમાં આગામી બે દિવસ માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયું છે. ભારે વરસાદ અને સંભવિત પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા AMCએ અધિકારીઓ અને કર્મચારીઓની તમામ રજાઓ રદ કરી દીધી છે. શહેરમાં તમામ વિભાગોને ફિલ્ડ પર રહી સતત મોનિટરિંગ અને તાત્કાલિક કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે.
સંભવિત આપત્તિને ધ્યાનમાં રાખીને SDRF અને NDRFની ટીમોને અમદાવાદમાં તૈનાત કરવામાં આવી છે. શહેરના તમામ કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રાખવામાં આવ્યા છે અને જ્યાંથી ફરિયાદ મળશે ત્યાં તાત્કાલિક કામગીરી કરવામાં આવશે. ફાયર, રોડ, ગાર્ડન, બેરીકેડિંગ સહિતના તમામ વિભાગોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં બે દિવસ માટે શાળા, કોલેજ અને આંગણવાડીઓનું શૈક્ષણિક કામકાજ સ્થગિત કરવામાં આવ્યું છે. સાથે જ ખાનગી અને સરકારી સંસ્થાઓને શક્ય હોય ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમ અપનાવવા AMCએ અપીલ કરી છે, જેથી રસ્તાઓ પર અનાવશ્યક અવરજવર ઘટે.
શહેરમાં વધુ વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને વાસણા બેરેજ ખોલી દેવામાં આવ્યો છે. ઉપરાંત ખારીકટ કેનાલમાં પણ પાણીનો સરળ નિકાલ થઈ શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય તો તેનો ઝડપથી નિકાલ થઈ શકે તે માટે સ્ટોર્મ વોટરના 245 જેટલા પંપ કાર્યરત કરવામાં આવ્યા છે.
AMCએ ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને વધુ સાવચેતી રાખવા અપીલ કરી છે. લોકોને બેઝમેન્ટમાં વાહનો પાર્ક ન કરવા, જરૂર ન હોય તો બહાર ન નીકળવા અને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.
ભારે વરસાદની સાથે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી છે. તેને ધ્યાનમાં રાખીને શહેરમાં હોર્ડિંગ્સ અને જોખમી માળખાંની તપાસ હાથ ધરવામાં આવી છે. AMCએ લોકોને ઝાડ, હોર્ડિંગ્સ અને અન્ય અસલામત સ્થળોની નીચે ઊભા ન રહેવાની ખાસ સલાહ આપી છે.
વરસાદ પહેલાં શહેરમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન કેચપીટની સફાઈની વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. AMCનું કહેવું છે કે વરસાદી પરિસ્થિતિ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ઓછી થાય તે માટે પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને તમામ ફિલ્ડ સ્ટાફને સતત ફરજ પર રહેવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો- 31 જુલાઈના મહત્વના સમાચાર : આજે રાજ્યમાં મેઘતાંડવને લઈને તંત્ર એલર્ટ, લોકોને તકેદારીના ભાગરૂપે બહાર ન નીકળવા સૂચન