AHMEDABAD : આવક બંધ થતા અન્ય ધંધો કરવા મજબુર બન્યા સ્કૂલ વાહનચાલકો, સરકાર પાસે માંગી મદદ
અમદાવાદ શહેરના 7500 સ્કૂલવર્ધી ચાલકો હાલ બેકાર છે. કેટલાક સ્કૂલવર્ધિ ચાલકોએ તેમના વાહન વેચી માર્યા છે તો કેટલાકે તેમના વાહનને મોડીફાઇડ કરીને અન્ય વ્યવસાય શરૂ કર્યો છે.
AHMEDABAD : કોરોનાકાળને કારણે હજુ પણ શાળાના મર્યાદિત વર્ગો જ શરૂ થયા છે તેમાં પણ ખૂબ ઓછી સંખ્યામાં વિદ્યાર્થીઓ શાળાએ જઇ રહ્યા છે, જેના કારણે સ્કૂલવર્ધી ચાલકોનો વ્યવસાય ઠપ્પ થઈ ગયો છે. કોરોનાકાળ પહેલા અમદાવાદ શહેરમાં 15000 સ્કુલવર્ધી ચાલકો હતા જેમાંથી માંડ 7500 સ્કુલવર્ધી ચાલકો પરિવારનું ગુજરાન સ્કૂલવર્ધી ના વ્યવસાયમાંથી ચલાવી શકે છે બાકીના 7500 સ્કૂલવર્ધી ચાલકો આજની તારીખે પણ બેકાર છે અને પરિવારનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
અન્ય વ્યવસાયો તરફ વળવા મજબૂર બન્યા રાજ્યભરમાં કોરોનાકાળમાં શાળાઓ બંધ થવાને કારણે સ્કૂલવર્ધી ચાલકોની હાલત કફોડી બની છે અમદાવાદ શહેરના 7500 સ્કૂલવર્ધી ચાલકો હાલ બેકાર છે. કેટલાક સ્કૂલવર્ધિ ચાલકોએ તેમના વાહન વેચી માર્યા છે તો કેટલાકે તેમના વાહનને મોડીફાઇડ કરીને અન્ય વ્યવસાય શરૂ કર્યો છે. આવા જ એક સ્કૂલવર્ધી ચાલક છે ભદ્રેશ પવાર, જેમણે સ્કૂલવર્ધી માટેની તેમની વાન ને મોડીફાઇડ કરાવીને ફાસ્ટફૂડ માટેની ફૂડવાન બનાવડાવી છે. કોરોનાકાળમાં ભદ્રેશભાઈએ કરેલી બચત ખર્ચાઈ ગઈ હતી. નવી કોઈ આવક હતી નહી. આવા સમયે ભદ્રેશભાઈના મિત્રોએ તેમની મદદ કરી. મિત્રો પાસેથી ઉછીના રૂપિયા લઈને ફાસ્ટફૂડ વાન બનાવી અને ફાસ્ટફૂડનો વ્યવસાય શરૂ કર્યો છે જેનાથી હાલ ભદ્રેશભાઈ તેમના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.
વધુ ઉમરના કારણે કામ મળવામાં મુશ્કેલી લોકડાઉન અને બીજી લહેર બાદ કોરોનાનાં કેસો ઓછા થતા રાજ્ય સરકાર દ્વારા શાળાઓ શરૂ કરવાનો નિર્ણયલેવામાં આવ્યો છે. જો કે તેમ છતાં અલગ અલગ શાળાઓમાં સ્કૂલવર્ધીનું કામ કરતા સ્કૂલવર્ધી ચાલકોનો વ્યવસાય હજુ પણ અનલોક થયો નથી. કેટલાક સ્કૂલવર્ધી ચાલકો તો છેલ્લા 20 વર્ષથી પણ વધુ વર્ષથી સ્કૂલવર્ધીનું જ કામ કરી રહ્યા છે જેથી હવે તેમને બીજા કામમાં ફાવટ આવે તેમ નથી આ સાથે જ કેટલાક સ્કૂલવર્ધી ચાલકોએ પેટ્રોલપંપ, કુરિયર કંપનીઓ તેમજ ડીલીવરી માટે પણ નોકરી મેળવવાનો પ્રયાસ કર્યો પરંતુ વધુ ઉંમર હોવાના કારણે આ પ્રકારની નોકરી પણ સ્કૂલવર્ધી ચાલકોને મળી શકી નથી જેને કારણે સ્કૂલવર્ધી ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
સરકાર પાસે મદદની માગ અમદાવાદ સ્કૂલવર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર ભ્રહ્મભટ્ટનું માનવું છે કે મોટાભાગના સ્કૂલવર્ધી ચાલકો હાલ શાળાઓ બંધ હોવાના કારણે અન્ય વ્યવસાયમાં જોડાયા છે. કેટલાક સ્કૂલવર્ધી ચાલકોએ તો પરિવારનું ગુજરાન ચલાવવા માટે રોજીરોટી રળી આપતું તેમનું વાહન વેચવાનો વારો આવ્યો છે, તો કેટલાકને તેમનું મકાન પણ વેચવાનો વારો આવ્યો છે. આ વિકટ પરિસ્થિતિમાંથી સ્કૂલવર્ધી ચાલકોને ઉગારવા માટે રાજ્ય સરકારે આર્થિક પેકેજની જાહેરાત કરવી જરૂરી છે. સાથે જ જે સ્કૂલવર્ધી ચાલકોનો વ્યવસાય માંડ માંડ શરૂ થયો છે તે ટકી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સ્કૂલવર્ધીના વાહનોમાં એક વર્ષ માટે ટેક્સ મુક્તિ તેમજ વાહનોનું પાસિંગ વિનામૂલ્યે કરવાની જાહેરાત કરવું જોઈએ જેનાથી સ્કૂલવર્ધી ચાલકો પર આવેલા આ મહામારીના સંકટમાંથી તમામ સ્કૂલવર્ધી ચાલકો ઉગરી શકે.
આ પણ વાંચો : DyCM નીતિન પટેલનું મોટું નિવેદન, “દેશમાં હિંદુઓની બહુમતિ છે ત્યાં સુધી કાયદો બિનસાંપ્રદાયિકતા છે”