Ahmedabad : મણિનગર તોડકાંડ, કોન્સ્ટેબલને ભાગવાનો સમય આપવામાં આવ્યો ?
અમદાવાદના (Ahmedabad) મણિનગર તોડકાંડમાં કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરાયા તેના બે કલાક પહેલા રવાના કરી દેવાયા. ગુનો બનતો જ હતો તો પછી જવાબ લખાવવા આવેલા કોન્સ્ટેબલની ત્યારે જ ધરપકડ કરી ગુનો કેમ ન નોંધાયો. તેમને ફરાર થવાનો સમય આપવામાં આવ્યો હતા આ પ્રશ્નો સતત ઉઠી રહ્યા છે.
અમદાવાદના (Ahmedabad) મણિનગર તોડકાંડમાં (Maninagar) કોન્સ્ટેબલોની તપાસના નામે સિનિયર અધિકારીઓએ પણ “ઘીના ઠામમાં ઘી ઢોળ્યું” હોય તેવો ઘાટ સર્જાયો છે. જે તે સમયે બંને પોલીસ કોન્સ્ટેબલના ( Police Constable )મોબાઇલ લઇ મેરેથોન પૂછપરછ કરાઇ. સાંજે સસ્પેન્ડ કરવાનો હુકમ થાય તે પહેલાં બન્ને કોન્સ્ટેબલને તેમના ફોન આપી જવા દેવાયા. ફરિયાદ નોંધવામાં બે દિવસનો સમય લેવાયો ત્યાં સુધી કાયદા અને પોલીસીંગના જાણકારો કોન્સ્ટેબલ ઘરે બેસીને કાર્યવાહીની રાહ જોવે એ શક્ય નહોતુ, આ વાત સિનિયર અધિકારીઓ પણ જાણતા હતા. પોલીસ અનેક કિસ્સામાં ફરિયાદ નોંધતા પહેલા આરોપીને બોલાવી અટકાયત કરી લે છે પછી ફરિયાદ નોંધી ધરપકડ કરતી હોય છે તો આ પોલીસકર્મીઓ સામે ગંભીર આક્ષેપ હોવા છતાં આવી કાર્યવાહી કેમ ન થઇ તેને લઇને તપાસ અધિકારીથી માંડીને તેમના હાઇઆરાર્કીમાં આવતા સિનિયર અધિકારીઓ ઉપર સવાલ ઉઠવા પણ સ્વાભાવિક છે.
બંને ભાઈઓને પોલીસ સ્ટેશનમાં દમદાટી અપાઇ
જેમાં ઘટનાની વિગત મુજબ આજથી બરોબર દસ દિવસ પહેલાં એટલે કે, 2 મેના રોજ મણિનગરના પોલીસ કોન્સ્ટેબલ પિયુષકુમાર પ્રવિણભાઇ અને કુલદિપસિંહ રાજેન્દ્રસિંહે મણિનગર વિસ્તારમાં જ રહેતાં અને શ્રીજી મધનો વ્યવસાય કરતા પ્રતિષ્ઠિત વેપારી હિમાંશુભાઇ પટેલના ઘરમાં ઘુસીને દારૂના સર્ચના નામે તમાશો કર્યો. વેપારીના બે દિકરા ગૌરાંગભાઇ અને ચંદ્રેશભાઇને સોસાયટીમાં પાડોશીઓ જોવે તે રીતે બેફામ ગાળો ભાંડતા પોલીસ ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશનમાં લઇ અવાયા. આ ઘટના શરૂ થઇ રાત્રે 8.30 વાગ્યે. બંને ભાઈઓને પોલીસ સ્ટેશનમાં દમદાટી અપાઇ. ખોટા કેસમાં ફસાવી દેવા પોલીસે કરવો પડ્યો એવો કલર કર્યો અને એક કોન્સ્ટેબલ તો કોમ્પ્યુટર સામે બેસી ફરિયાદ ટાઈપ કરવાનો દેખાડો કરવા લાગ્યો.
કોન્સ્ટેબલોએ બંને ભાઇઓની કોરા કાગળમાં સહી પણ લઈ લીધી
આ બધુ પોલીસ સ્ટેશનમાં જ બન્યું. અંતે હિમાંશુભાઇ પાસે તેમના બંને દિકરાઓને પોલીસ સ્ટેશનમાંથી છોડાવી જવાના દસ લાખ માંગવામાં આવ્યાં. હિમાંશુભાઇએ દોઢ લાખ ઘરમાંથીને બાકીના સંબંધી પાસેથી લઇને મણિનગર પોલીસ સ્ટેશન બહાર જ લીમડાંના ઝાડ નીચે રૂપિયા પણ આપી દીધા. આ પહેલાં કોન્સ્ટેબલોએ બંને ભાઇઓની કોરા કાગળમાં સહી પણ લઈ લીધી અને વેપારીના ઘરનું ડીવીઆઈર પણ ડીલીટ કરી નાંખ્યું હતુ.આ ઉપરોક્ત તમામ વિગતો મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ રૂપે સરકારી ચોપડે નોંધાયેલી છે. જો કે, આ ફરિયાદ જ કેટલાક સવાલ ઉભા કરે છે. જે સિનિયર અધિકારીઓ કે તપાસ અધિકારીઓએ કોન્સ્ટેબલો ઉપરાંત આ ગુનામાં સંડોવાયેલા બીજા કોઇને બચાવવા પ્રયાસ કર્યાની ચાડી ખાય છે.
પોલીસ સ્ટેશનમાં હાજર સિનિયર્સ અધિકારીઓ ક્યાં હતા
ફરિયાદમાં ઉલ્લેખ છે કે, જ્યારે આરોપી કોન્સ્ટેબલ પિયુશ પ્રવિણભાઇ અને કુલદીપસિંહ રાજેન્દ્રસિંહ વેપારીના ઘરે દારૂ શોધવાના નામે સર્ચ કરતા હતા ત્યારે બે પૈકી પિયુશ કોઇ વ્યક્તિ સાથે સતત ફોનમાં વાત કરી રહ્યો હતો. ફોન પર જેની સાથે વાત થતી હતી તે વ્યક્તિ કોણ ? તેને આ થઇ રહેલી “લૂંટફાટ”ની જાણ હતી ? શું તે કોઇ પોલીસકર્મી જ હતો? તેની તપાસ કેમ ના કરાઇ ? તેની સંડોવણીની શક્યતાઓ કેટલી ? આ ઉપરાંત વધુ એક સવાલ એ પણ છે કે, જ્યારે બંને ભાઈઓને પોલીસ સ્ટેશન લાવીને બેસાડીને ધમકાવવામાં આવી રહ્યાં હતા ત્યારે પોલીસ સ્ટેશનમાં હાજર સિનિયર્સ અધિકારીઓ ક્યાં હતા? તેમને આ બાબતે જાણ નહોતી તો તે પણ ગંભીર બેદરકારી જ છે.
આ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઈ સહિતના સિનિયર અધિકારીઓ પણ હાજર હોય છે તેમને પણ આ ઘટના ધ્યાને ના આવી? અને આવી તો પછી રાત્રે જ્યારે પૈસા લઈને બન્નેને છોડી દેવામાં આવ્યાં ત્યારે કોઇ સિનિયરે શું કામ છોડી મુક્યા બન્ને ભાઈઓને? તે પુછવાની પણ તસ્દી ન લીધી. આવા અનેક સવાલો ફરિયાદથી ઉઠે છે.
બંને કોન્સ્ટેબલોની મેરેથોન પૂછપરછ થઇ
તેથી પણ ગંભીર બાબત હવે એ છે કે, હાલ ગુનો નોંધાતા આરોપી કોન્સ્ટેબલ પિયુશ પ્રવિણભાઇ અને કોન્સ્ટેબલ કુલદીપસિંહ રાજેન્દ્રસિંહ ફરાર થઇ ગયા છે. તેમની ધરપકડ નથી કરાઇ. આક્ષેપો સાથેની અરજી બાદ બે દિવસ પહેલાં જ્યારે બંને કોન્સ્ટેબલોની મેરેથોન પૂછપરછ થઇ ત્યારે જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયું હતુ. પોલીસે પુરાવા રૂપે વિસ્તારમાં સંખ્યાબંધ જગ્યાએથી સીસીટીવી પણ મેળવી લીધા હતા.
તો પછી કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરાયા તેના બે કલાક પહેલા રવાના કરી દેવાયા. ગુનો બનતો જ હતો તો પછી જવાબ લખાવવા આવેલા કોન્સ્ટેબલની ત્યારે જ ધરપકડ કરી ગુનો કેમ ન નોંધાયો. તેમને ફરાર થવાનો સમય આપવામાં આવ્યો હતો ? જેના કારણે તે કાયદાની છટકબારીનો લાભ આગોતરા જામીન તરીકે મેળવીને લઈ લે અને પછી પોલીસ સ્ટેશનમાં હાજર થાય!