Ahmedabad Breaking News : ડેપ્યુટી કમિશનર રમ્ય ભટ્ટ પર હુમલાની ઘટના, 16 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ, 2 આરોપીની ધરપકડ
અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર રમ્ય ભટ્ટ પર હુમલાની ઘટનામાં પોલીસે બાતમીના આધારે 2 લોકોની ધરપકડ કરી છે. બાતમીના આધારે પોલીસે આરોપીઓના ઘરમાં ઘૂસીને ઝડપી પાડ્યા છે. શાહીબાગ પોલીસે FIR નોંધવાની તજવીજ હાથ ધરી છે. જેમાં દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન પણ નિવેદ આપ્યુ હતુ.
Ahmedabad Breaking News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર રમ્ય ભટ્ટ પર હુમલો થતાં ખળભળાટ મચ્યો છે. AMCના ડેપ્યુટી કમિશનર રમ્ય ભટ્ટ પર હુમલાના કેસમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં 9 લોકો સામે નામજોગ અને 16 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે. જ્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓને તેમના ઘરમાં ઘૂસીને આરોપીઓની તપાસ કરતાં તેઓ નશાની હાલતમાં જોવા મળ્યા હતા. મહત્વનું છે કે ગત રાત્રે કોર્પોરેશનના અધિકારીઓની ટીમ સિવિલ હોસ્પિટલ નજીક દબાણ દૂર કરવા ગઈ હતી.
તે દરમિયાન સ્થાનિકોના ટોળાએ હુમલો કર્યો હતો. જેમાં રમ્ય ભટ્ટ પણ ઈજાગ્રસ્ત થયા હતા. રમ્ય ભટ્ટને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા. હાલ તેમની તબિયત સ્થિર છે. દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન તેમના ખબર-અંતર પૂછવા ગયા હતા. તેમણે આ ઘટનાની વખોડી કાઢીને આરોપીઓ સામે કડક કાર્યવાહીની રજૂઆત કરવાની વાત કરી છે.
શું હતી સમગ્ર ઘટના
AMCની ઢોર પકડ પાર્ટીએ પણ એક જગ્યાએ ભાગવાનો વારો આવ્યો હતો.શહેરના દક્ષિણ ઝોનમાં ઢોર પકડવાની કાર્યવાહી દરમિયાન આવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જેમાં ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો કરાયો હતો. જેમા તંત્રના કર્મચારી અને અધિકારીઓ પર પથ્થરમારો કરાયો હતો.જેના કારણે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સહિતના લોકોએ જીવ બચાવવા સ્થળ પરથી ભાગવું પડ્યું હતું.
રાજ્ય સરકાર અને AMCએ હાઈકોર્ટ પાસે સમયની માગ કરી
તો બીજી તરફ અમદાવાદમાં રખડતા ઢોર, ખરાબ રસ્તા અને ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટે અગાઉ અનેક વખત ટકોર અને નિર્દેશો કરવામાં આવ્યા હતા. પરંતુ AMC તંત્રના અધિકારીઓ તેનું પાલન કરવવામાં નિષ્ફળ જતાં હવે હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. આજે હાઈકોર્ટમાં જવાબદાર તંત્રના અધિકારીઓ સામે ચાર્જફ્રેમ કરવામાં આવશે.
જેમાં પરિસ્થિતિ ચિંતાજનક હોવાનું કોર્ટે જણાવ્યું અને ગુજરાત સ્ટેટ લીગલ સર્વસીસ ઓથોરિટીના રિપોર્ટની કોર્ટે ગંભીર નોંધ લીધી. તંત્ર ગંભીરતાથી ઠોસ પગલા ન લઈ રહ્યું હોવાની બાબત પણ કોર્ટે નોંધી. હવે મનપાના અને સરકારના તમામ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થશે. કોર્ટ હુકમના તિરસ્કાર અંગેના ચાર્જ ફ્રેમની કાર્યવાહી કરશે. જોકે રાજ્ય સરકાર અને AMC તરફથી કોર્ટ પાસે સમયની માંગણી કરાઈ છે.
( વીથ ઈનપુટ – ઋત્વિક પટેલ, જીગ્નેશ પટેલ)