સુરતમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓનો 8 લાખનો કિમતી સામાન પરત કરાયો
દર્દીઓ મૃત્યુ પામે ત્યાર બાદ કેટલાક સ્વજન તેમની પાસેની કિમતી વસ્તુ ( Valuables ) પરત મેળવવા પણ દરકાર કરતા નથી. આવા સ્વજનોને કેટલાક દિવસ બાદ ફોનથી જાણ કરીને તેમના મૃતક સ્વજનનો કિંમતી સામાન પરત લઈ જવા કહેવામાં આવે છે
ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓનો કિંમતી સામાન ( Valuables ) પરત નથી મળી રહ્યાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવા કિસ્સાની વચ્ચે સુરતમાં સિવીલ હોસ્પિટલમાં કોરોનાથી મૃ્ત્યુ પામનારા દર્દીઓનો સામાન તેમના સ્વજનને બોલાવીને આપવાનો કિસ્સો સામે આવ્યો છે.
સુરત સિવીલ હોસ્પિટલમાં ઊભી કરાયેલ કોવિડ હોસ્પિટલમાં દાખલ થનારા કોરોનાના અનેક દર્દીઓ મૃ્ત્યુ પામ્યા છે. આવા દર્દીઓમાંથી કેટલાકના સ્વજનો સામેથી મૃતકનો કિંમતી સામાન માંગી લેતો હોય છે. તો કેટલાક તેમના સ્વજન પાસે કેવા પ્રકારનો કયો કિમતી સામાન હતો તેની પણ પૂરેપૂરી જાણ નથી હોતી.
સિવીલ હોસ્પિટલના સિક્યુરીટી સ્ટાફ દ્વારા છેલ્લા એક મહિનામાં કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામેલા દર્દીઓ પૈકી 40 દર્દીઓના મોબાઈલ, સોના અને ચાંદીના દાગીના તેમના સ્વજનને બોલાવીને પરત કર્યા છે. આ રીતે પરતા કરાયેલા કિંમતી સામાનની કિંમત આશરે આઠ લાખ રૂપિયા થાય છે.
સુરત સિવીલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ મૃત્યુ પામે ત્યાર બાદ કેટલાક સ્વજન તેમની પાસેની વસ્તુ પરત મેળવવા પણ દરકાર કરતા નથી. આવા સ્વજનોને કેટલાક દિવસ બાદ ફોનથી જાણ કરીને તેમના મૃતક સ્વજનનો કિંમતી સામાન પરત લઈ જવા કહેવામાં આવે છે.