Kareena kapoor વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ, ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ
કરિનાએ તેની સગર્ભા અવસ્થા દરમ્યાનના અનુભવોને આવરી લેવા માટે લખેલા પુસ્તકના શીર્ષક" પ્રેગ્નન્સી બાઇબલ" ના કારણે એક સમુદાયના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર(Kareena kapoor)મુશ્કેલીમાં મુકાઇ છે. જેમાં પણ અભિનેત્રી પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. સમાચાર અનુસાર અભિનેત્રી સામે ફરિયાદ નોંધાઈ છે. કરિનાએ તેની સગર્ભા અવસ્થા દરમ્યાનના અનુભવોને આવરી લેવા માટે લખેલા પુસ્તકના શીર્ષક” પ્રેગ્નન્સી બાઇબલ” ના કારણે એક સમુદાયના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
કરીના કપૂરના પુસ્તકનાં શીર્ષકથી ખ્રિસ્તી સમુદાયમાં આક્રોશ ફેલાયો છે. બુધવારે અભિનેત્રીના પુસ્તક સામે વાંધો ઉઠાવતા કરીના કપૂર અને અન્ય બે લોકો વિરુદ્ધ મહારાષ્ટ્રના બીડ શહેરમાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ સમુદાયે તેના પર સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.
અભિનેત્રી સામે ફરિયાદ નોંધાવી
આલ્ફા ઓમેગા ક્રિશ્ચિયન ફેડરેશનના પ્રમુખ આશિષ શિંદેએ શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં પુસ્તક અંગે ફરિયાદ નોંધાવી છે, જેમાં અન્ય લેખકનું નામ પણ છે. શિંદેએ પોતાની ફરિયાદમાં કરીના કપૂર અને અદિતિ શાહ ભીમજાની દ્વારા લખાયેલા અને જુગરનાટ બુકસ દ્વારા પ્રકાશિત પુસ્તકના શીર્ષક” પ્રેગ્નન્સી બાઇબલ” નો ઉલ્લેખ કર્યો છે.
આ છે સમગ્ર મામલો
તેમણે કહ્યું છે કે પુસ્તકના શીર્ષકમાં પવિત્ર શબ્દ ‘બાઇબલ’ નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેનાથી ખ્રિસ્તીઓની ધાર્મિક લાગણી દુભાઇ છે. શિંદે એ અભિનેત્રી અને અન્ય બે સામે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ 295-એ હેઠળ કેસ નોંધવાની માંગ કરી છે. એક પોલીસ અધિકારીએ ફરિયાદ મળવાની પુષ્ટિ કરી પરંતુ કહ્યું કે કોઈ એફઆઈઆર નોંધાઈ નથી.
શિવાજી નગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર સાયનાથ થોમ્બરેએ સમાચાર સંસ્થાને જણાવ્યું હતું કે, “અમને ફરિયાદ મળી છે, પરંતુ અહીં (બીડમાં) કોઈ ઘટના બની ન હોવાથી અહીં કોઈ કેસ નોંધી શકાય નહીં. મેં તેમને મુંબઈમાં ફરિયાદ નોંધાવવા સલાહ આપી છે.
ઉલ્લેખનીય છે કે, કરીના કપૂરે એ 9 જુલાઈએ પોતાનું પુસ્તક બહાર પાડ્યું હતું. 40 વર્ષીય કરીના જેમણે ફેબ્રુઆરીમાં બીજા બાળકને જન્મ આપ્યો હતો. તેમણે આ પુસ્તકને તેમનું ત્રીજું બાળક ગણાવ્યું હતું. તેમણે આ પુસ્તકના પ્રમોશનના સંદર્ભમાં સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ્સ કરી હતી.એક્ટ્રેસના જણાવ્યા અનુસાર આ પુસ્તકમાં તેમણે બંને ગર્ભાવસ્થા દરમિયાન અનુભવેલા શારીરિક અને ભાવનાત્મક અનુભવોનો ઉલ્લેખ કર્યો છે.