Javed Akhtarની અરજી પર કોર્ટે Kangana Ranaut ને મોકલી નોટિસ, ચાલશે માનહાનિનો કેસ
ગીતકાર જાવેદ અખ્તર વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો આપવા બદલ કંગના રનૌતને સોમવારે મુંબઇની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે સમન્સ જારી કર્યું હતું.
ગીતકાર જાવેદ અખ્તર વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો આપવા બદલ કંગના રનૌતને સોમવારે મુંબઇની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે સમન્સ જારી કર્યું હતું. જાવેદે કંગના પર આરોપ લગાવ્યો હતો કે તેણે એક ઇન્ટરવ્યુ દરમિયાન તેની વિરુદ્ધ વિવાદિત નિવેદનો આપ્યા હતા, જેથી તેમની છબી ખરાબ થઈ હતી.
ગયા વર્ષના નવેમ્બરમાં લેખક જાવેદ અખ્તરે કંગનાની બદનક્ષી બદલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી કરી હતી. 3 ડિસેમ્બરે મેજિસ્ટ્રેટે જાવેદ અખ્તરનું નિવેદન નોંધ્યું હતું. સોમવારે જુહુ પોલીસે કોર્ટ સમક્ષ રિપોર્ટ દાખલ કર્યો હતો. કોર્ટે કંગના રનૌતને 1 માર્ચે હાજર થવાનો આદેશ આપ્યો છે.
જાવેદ અખ્તરે પોતાના વકીલ દ્વારા ગયા વર્ષે નવેમ્બર 2 ના રોજ કંગના રનૌત સામે ભારતીય દંડ સંહિતાની કલમ 500 અને 499 હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જાવેદે એમ પણ કહ્યું હતું કે તે છેલ્લા 25 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે અને કંગના રનૌતએ એક ટેલિવિઝન ઇન્ટરવ્યુ દરમિયાન દાવો કર્યો હતો કે મેં તેમને રિતિક રોશન સામેનો કેસ પાછો ખેંચવાની ધમકી આપી હતી.
જાવેદનું કહેવું છે કે કંગનાના નિવેદનથી તેની છબી ખરાબ થઈ છે. અસંખ્ય કોલ અને સંદેશાઓ દ્વારા તેની ટીકા થઈ હતી. તેમને સોશિયલ મીડિયા પર પણ ટ્રોલ કરવામાં આવ્યા હતા. જાવેદે કહ્યું કે આવી ટિપ્પણીઓથી તેમની પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચ્યું છે.