Kartik Aaryan સાથે થઈ રહેલા વર્તન પર અનુભવ સિંહાએ વ્યક્ત કરી ચિંતા, કહ્યું- ‘આ ખૂબ અયોગ્ય છે’
કરણ જોહર સાથેના વિવાદને કારણે કાર્તિક આર્યનને 'દોસ્તાના 2' થી દૂર કરવામાં આવ્યા હતા. જે બાદ તેમને શાહરુખ ખાનનાં પ્રોડક્શનમાં બની રહેલી એક ફિલ્મમાંથી હાંકી કાઢવાના સમાચાર પણ જોરમાં હતા.
બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન (Kartik Aaryan )આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. થોડાક દિવસોથી, કાર્તિક આર્યનને સતત ઘણી ફિલ્મોમાંથી બરતરફ કરવાનાં સમાચાર સામે આવ્યા છે. સૌ પ્રથમ, કરણ જોહર સાથેના વિવાદને કારણે કાર્તિક આર્યનને ‘દોસ્તાના 2’ થી દૂર કરવામાં આવ્યા હતા.
જે બાદ તેમને શાહરુખ ખાનનાં પ્રોડક્શનમાં બની રહેલી એક ફિલ્મમાંથી હાંકી કાઢવાના સમાચાર પણ જોરમાં હતા. આ દરમિયાન, કાર્તિક સાથે થઈ રહેલ વર્તન પર ફિલ્મ નિર્દેશક અનુભવ સિંહાએ અભિનેતાને સમર્થન આપ્યું છે.
અનુભવ સિંહા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. આવી સ્થિતિમાં તે દેશ અને દુનિયાની સાથે સાથે ફિલ્મ ઉદ્યોગમાં જોડાયેલા મુદ્દાઓ પર પણ પોતાનો મત રાખે છે. તાજેતરમાં જ અનુભવ સિંહાએ કાર્તિક આર્યનને ટેકો આપ્યો છે. કાર્તિકને સતત ફિલ્મોમાંથી કાઢી નાખવામાં આવ્યા હોવાના અહેવાલો વચ્ચે અભિનેતાએ મૌન રહેવાને લીધે અનુભવે તેમના વખાણ કર્યા છે.
અનુભવ સિંહા (Anubhav Sinha) એ તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ દ્વારા ટ્વિટ કર્યું છે. આ ટ્વિટમાં તેમણે લખ્યું કે, ‘ એક વાત કહું, જ્યારે કોઈ નિર્માતા કોઈ અભિનેતાને ડ્રોપ કરે છે, ત્યારે તે આ વિશે વાત કરવા માંગતા નથી. બંને આ વિશે વાત કરતા નથી. આ ઘણીવાર જોવા મળે છે. કાર્તિક આર્યન વિરુદ્ધ જે કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે તેને લઈ મને ચિંતા છે. આ ખૂબ જ ખોટુ છે. હું કાર્તિક આર્યનના મૌનને માન આપું છું.
And by the way… when Producers drop Actors or vice versa they don't talk about it. It happens all the time. This campaign against Kartik Aryarn seems concerted to me and very bloody unfair. I respect his quiet.
— Anubhav Sinha (@anubhavsinha) June 3, 2021
આપને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા કાર્તિક આર્યનને ધર્મા પ્રોડક્શન્સના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ ‘દોસ્તાના 2’ માંથી દૂર કરવામાં આવ્યા હતા. આ વિશે કાર્તિક આર્યને કોઈ વાત કરી નહોતી. જોકે, ધર્મા પ્રોડક્શન્સ દ્વારા એક સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ફિલ્મ માટે નવી કાસ્ટિંગ કરવામાં આવી રહી છે.
જે પછી સમાચાર આવ્યા કે કાર્તિક આર્યનને શાહરુખ ખાનની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બનેલી ફિલ્મમાંથી હટાવી લેવામાં આવ્યા છે. જો કે, આ સમાચારની કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.
તે જ સમયે, તાજેતરમાં સમાચાર પ્રકાશિત થયા હતા કે કાર્તિક આર્યનને આાનંદ એલ રાયની આગામી ફિલ્મમાંથી પણ કાઢી દેવામાં આવ્યા છે. જોકે આનંદ એન રાયે ખુદ આ સમાચારને અફવા ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે કાર્તિક આર્યનને તેમની કોઈપણ ફિલ્મમાં કામ કરવા માટે સાઇન કરાયા નથી. એ પણ જણાવી દઈએ કે કાર્તિક આર્યને આ બધા સમાચાર પર મૌન ધારણ કર્યું છે. તેમણે કોઈ પણ સમાચારને લઈને કોઈ ટિપ્પણી કરી નથી.