Sukesh Chandrasekhar Case : સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા 200 કરોડના ખંડણી કેસમાં ખુલાસો થઈ રહ્યો છે. આજે એટલે કે બુધવારે દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગે જેકલીન ફર્નાન્ડીઝની ફેશન ડિઝાઇનર લિપાક્ષીની (Fashion designer Lipakshi) પૂછપરછ કરી હતી. સૂત્રોનું માનીએ તો EOW એ લગભગ 7 કલાક સુધી લિપાક્ષી પાસેથી તપાસ કરી. તેમજ તેની બેંકની વિગતો પણ લેવામાં આવી હતી. અહેવાલો અનુસાર, સુકેશે લિપાક્ષીના બેંક ખાતામાં 3 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ સાથે ક્રાઈમ બ્રાન્ચે લિપાક્ષીને દરેક પાસાઓ પર પ્રશ્નો પૂછ્યા જેમાં જેકલીનથી લઈને તમામ આરોપીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે સુકેશ ચંદ્રશેખરે આ પૈસા લિપાક્ષીને કોઈ અન્ય હેતુ માટે મોકલ્યા હતા. આ પૈસા દ્વારા લિપાક્ષી પાસેથી જેકલીન ફર્નાન્ડીઝની પસંદગીના ડિઝાઈનર કપડાં ડિલિવરી કરવામાં આવ્યા હતા. તેમજ અભિનેત્રીને શું ગમ્યું અને શું ન ગમ્યું તેની તમામ માહિતી સુકેશે લીધી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર લિપાક્ષીએ દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાને આપેલા નિવેદનમાં ઘણા ચોંકાવનારા ખુલાસા પણ કર્યા છે. લિપાક્ષીનું કહેવું છે કે, તેને સુકેશ ચંદ્રશેખરના છેતરપિંડીના પૈસા વિશે કોઈ જાણકારી નહોતી. ઉપરાંત, નોરાની જેમ, તેનો પણ ઠગ સુકેશની કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે કોઈ સંબંધ નહોતો.
કહેવામાં આવી રહ્યું છે કે, લિપાક્ષીની EOW દ્વારા આજે લગભગ સાત કલાક સુધી પૂછપરછ કરવામાં આવી. આ પછી, જો જરૂર પડશે, તો તેમને વધુ તપાસ માટે ફરીથી બોલાવી શકાય છે. જેકલીન ફર્નાન્ડિસની વાત કરીએ તો, અભિનેત્રીને આ કેસમાં બુધવાર, 14 સપ્ટેમ્બરના રોજ આર્થિક અપરાધ શાખાએ સમન્સ પાઠવ્યું હતું. તે દરમિયાન 8 કલાક સુધી પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા હતા. જે બાદ 19 સપ્ટેમ્બરે લગભગ 7 કલાક સુધી તેની ફરી પૂછપરછ કરવામાં આવી હતી. હવે એવા અહેવાલો છે કે દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા ફરી એકવાર અભિનેત્રીને નવેસરથી સમન્સ મોકલવાની તૈયારી કરી રહી છે.
તમને જણાવી દઈએ કે, પોલીસ દ્વારા સોમવારે જેકલીનની પૂછપરછ દરમિયાન, પોલીસ અધિકારીઓ તેની સ્ટાઈલિસ્ટ લિપાક્ષીના સવાલોના જવાબ પણ લેવા માંગતા હતા, પરંતુ સમન્સ મોકલવા છતાં તે EOW સમક્ષ હાજર થઈ ન હતી. જે બાદ હવે બુધવારે તે ઇકોનોમિક ઓફેન્સ વિંગની ઓફિસમાં હાજર થઈ હતી અને લગભગ સાત કલાક સુધી તેની પૂછપરછ કરવામાં આવી હતી. હવે જોવાનું એ રહેશે કે 200 કરોડના આ છેતરપિંડીના કેસમાં હજુ કેટલા પડદા ખુલવાના બાકી છે…?