Gujarat Assembly election 2022: વડાપ્રધાન-ગૃહમંત્રી સહિત કેન્દ્રીય પ્રધાનોના ગુજરાતના પ્રવાસ વધ્યા, મોદી-શાહ આજે ફરી ગુજરાતના પ્રવાસે
રાજકોટમાં જાહેર કાર્યક્રમમાં સંબોધન બાદ વડાપ્રધાન મોદી ગાંધીનગર આવશે. વડાપ્રધાન મોદી મહાત્મા મંદિર ખાતે ‘સહકાર સે સમૃદ્ધિ’ કાર્યક્રમમાં સંબોધન કરશે. આ મહાસંમેલનમાં ગૃહપ્રધાન અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. લાંબા સમય બાદ બંને નેતાઓ ફરી એકસાથે સાથે જોવા મળશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly election 2022) ને લઈને વડાપ્રધાન મોદી સહિત કેન્દ્રીય પ્રધાનો (Union Ministers) ના ગુજરાતના પ્રવાસ વધી ગયા છે. ત્યારે ફરી એકવાર વડાપ્રધાન મોદી (PM Modi) ગુજરાતની મુલાકાતે આવવાના છે. આજે સવારે પીએમ મોદી રાજકોટ જિલ્લાના જસદણ આવશે. જ્યાં આટકોટ ખાતે રૂપિયા 40 કરોડના ખર્ચે બનેલી 200 બેડની કે. ડી. પરવાડિયા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરશે. જ્યારે ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) બે જિવસના ગુજરાતના પ્રવાસે આવશે જેમાં આજે તેમના હસ્તે જામનગર જિલ્લામાં રૂપિયા 347 કરોડના ખર્ચે તૈયાર પોલીસ વિભાગના આવાસોનું લોકાર્પણ કરાશે. તેઓ 25 જિલ્લાના પોલીસ વિભાગના 57 મકાનોનું એક સાથે ઈ-લોકાર્પણ કરશે.
આટકોટમાં બનેલી પટેલ સેવા સમાજ દ્વારા સંચાલિત આ હોસ્પિટલમાં રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર સહિતના જિલ્લાના ગરીબ દર્દીઓને નજીવા દરે સારવાર મળશે. અહીં જનરલ વોર્ડમાં રોજના રૂ. 150ના ભાડામાં દર્દીને ત્રણ ટાઇમ પેટ ભરીને ભોજન પણ મળશે. હોસ્પિટલમાં OPD, સુપર સ્પેશિયાલિટી, રેડિયોલોજી, ICCU સહિતના આધુનિક વિભાગો કાર્યરત થશે. મા-અમૃતમ અને આયુષ્યમાન કાર્ડધારકોને વિનામૂલ્યે સારવાર અપાશે. આયુષ્યમાન કાર્ડ ન હોઈ તો કાર્ડ પણ કાઢી આપવામાં આવશે. ગરીબ દર્દીઓને સારવાર મળી રહે તેવો પ્રયાસ કરાશે. જે ગરીબ દર્દી પાસે રૂપિયા નહિ હોય તો પટેલ સેવા સમાજ ટ્રસ્ટ તેનો ખર્ચો ઉપાડશે.
બીજી તરફ હોસ્પિટલના લોકાર્પણ બાદ પીએમ મોદી જનમેદનીને સંબોધન પણ કરશે. આ જનસભામાં ત્રણ લાખથી વધુ લોકો હાજર રહેવાના છે. આ માટે લાખો લોકો બેસી શકે એ પ્રકારનો ડોમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. 600 ફૂટ બાય 1200 ફૂટનો સભા મંડપ તૈયાર થઇ ચૂક્યો છે. જમણવાર માટે 4 લાખ ફૂટનો ડોમ પણ તૈયાર થઇ ચૂક્યો છે. 300થી વધારે કાઉન્ટર ભોજન માટે રાખવામાં આવશે. 500થી વધુ વીઘા જગ્યામાં પાર્કિંગની સુવિધા કરવામાં આવી છે. પાર્કિંગમાં 1200થી વધારે સ્વયંસેવકોની ટીમ ખડેપગે છે. 3000 જેટલા સ્વયંસેવકો ભોજન વ્યવસ્થામાં જ્યારે 2000 જેટલા સ્વયંસેવકો સભા મંડપમાં ફરજ બજાવશે.
રાજકોટમાં જાહેર કાર્યક્રમમાં સંબોધન બાદ વડાપ્રધાન મોદી ગાંધીનગર આવશે. વડાપ્રધાન મોદી મહાત્મા મંદિર ખાતે ‘સહકાર સે સમૃદ્ધિ’ કાર્યક્રમમાં સંબોધન કરશે. આ મહાસંમેલનમાં ગૃહપ્રધાન અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. લાંબા સમય બાદ બંને નેતાઓ ફરી એકસાથે સાથે જોવા મળશે. સંમેલનમાં ગુજરાતની તમામ નાની-મોટી સહકારી સંસ્થાના ભાજપના ડિરેક્ટર્સને આ હાજર રહેવા આમંત્રણ અપાયું છે. તો કલોલ ખાતે વડાપ્રધાન મોદી 175 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર ઈફ્કો નેનો યુનિરા પ્લાન્ટનું પણ ઉદઘાટન કરશે. નેનો યુરિયાના ઉપયોગ દ્વારા પાકની ઉપજમાં વધારાને ધ્યાનમાં રાખીને અલ્ટ્રામોર્ડન નેનો ફર્ટિલાઇઝર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. પ્લાન્ટ દરરોજ 500 મિલીલીટરની લગભગ 1.5 લાખ બોટલનું ઉત્પાદન કરશે.