ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામની જાહેરાત થતાં જ દરેક રાજકીય પક્ષોમાં બળવાખોરોનો રાફડો ફાટ્યો હતો. ભાજપે ‘નો રિપીટ’ થિયરી અપનાવી સૌથી વધુ સિટીંગ ધારાસભ્યોની ટિકીટ કાપી. જેના કારણે દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ સહિત અનેક નેતાઓએ ભાજપ સાથે છેડો ફાડી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી તો બીજી તરફ એનસીપીમાંથી કાંધલ જાડેજાએ પણ બળવો કરી સપામાંથી ઉમેદવારી કરી હતી અને ચૂંટણીના મેદાને પડેલા કુલ 20 જેટલા બળવાખોર પૈકી ફક્ત 4 નેતાઓનો સંઘ જ કાશીએ પહોંચ્યો હતો.
છેલ્લી 2 ટર્મથી કુતિયાણાના ધારાસભ્ય અને દબંગ નેતા કાંધલ જાડેજાને એનસીપીએ ટિકિટ ન આપતા તેમણે એનસીપી છોડી સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને કાંધલે ફરી એક વખત ભાજપના ઉમેદવાર ઢેલીબેન ઓડેદરા સહિતના અન્ય હરીફોને માત આપી 20 હજારથી વધુ મતોની લીડથી જીત મેળવી. કુતિયાણામાં કાંધલનો એવો દબદબો છે કે તે ક્યા પક્ષમાંથી ચૂંટણી લડે છે તે ધ્યાનમાં રાખવાને બદલે લોકો કાંધલને ફક્ત તેના નામ અને કામના આધારે મત આપે છે. આ વાત 2022ની ચૂંટણીમાં ફરી સાબિત થઇ છે.
વડોદરાના સૌથી ધનાઢ્ય ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વાઘોડિયા બેઠક પરથી અપક્ષ તરીકે ભવ્ય વિજય મેળવી તમામ રાજકીય પક્ષોને ચોંકાવ્યા છે. ધર્મેન્દ્રસિંહની જીત ઘણી મોટી એટલે છે કે તેમની સામે ભાજપમાંથી અશ્વિન પટેલ, કોંગ્રેસમાંથી સત્યજીત ગાયકવાડ, આપના ગૌતમ રાજપૂત અને અન્ય બળવાખોર ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ મેદાનમાં હતા. વાઘોડિયામાં ખેલાયેલા ચતુષ્કોણીય જંગમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા 14 હજાર કરતા વધુ મતોની સરસાઇથી વિજય મેળવી ખરા અર્થમાં જાયન્ટ કિલર સાબિત થયા છે.
ભાજપ નેતા માવજી દેસાઈએ પણ પક્ષ સાથે છેડો ફાડીને ધાનેરા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. માવજી દેસાઈ 2017માં ભાજપના ઉમેદવાર હતા પરંતુ ચૂંટણીમાં 2 હજાર મતોથી હારી ગયા હતા, પરંતુ આ વખતે ભાજપે ધાનેરા માર્કેટ યાર્ડના ચેરમેન ભગવાન પટેલને ટિકિટ આપતા માવજી દેસાઇ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્ય અને ધાનેરાના ચતુષ્કોણીય જંગમાં 35 હજાર કરતા વધુ મતોની લીડથી જીત મેળવી ફરી તેનો દબદબો સ્થાપિત કર્યો છે.
અરવલ્લીની બાયડ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરનારા ધવલસિંહ ઝાલાએ ફરી 5 હજાર કરતા વધુ મતોની સરસાઇથી જીત મેળવી છે… ભાજપે વર્ષ 2019માં ધવલસિંહ ઝાલાને પેટાચૂંટણીમાં ટિકિટ આપી હતી પરંતુ કોંગ્રેસના જસુ પટેલ સામે તેને હાર મળી હતી. આ વખતે ભાજપે ધવલસિંહની ટિકીટ કાપી તેના સ્થાને ભીખી પરમારને મેદાને ઉતારતા ધવલસિંહ ઝાલાએ અપક્ષ ઉમેદવારી કરી હતી. ધવલસિંહે ભાજપના ભીખી પરમાર ઉપરાંત કોંગ્રેસના મહેન્દ્રસિંહ વાઘેલાને હરાવીને બાયડમાં ફરી તેનો પ્રભાવ સ્થાપિત કર્યો છે.
બીજી તરફ અપક્ષ ઉમેદવારી નોંધાવનારા વાઘોડિયાના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ, પાદરાના દિનુમામા, સાવલીના કુલદીપસિંહ રાઉલ, શહેરાના ખતુ પગી, લુણાવાડાના શકન ખાંટ, લુણાવાડાના જયપ્રકાશ પટેલ, ઉમરેઠના રમેશ ઝાલા, ખંભાતના અમરશી ઝાલા, ખેરાલુના રામસિંહ ઠાકોર સહિતના 16 જેટલા ઉમેદવારોને ચૂંટણીમાં હાર મળી છે.