12 ડિસેમ્બરે ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન પદ તરીકેના શપથ લેવાના છે. ત્યારે તેમની સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે. ગઈ કાલે મોડી રાત્રે મંત્રીમંડળના નામ પર મહોર લાગી ગઇ છે. આવતીકાલે 20થી વધુ મંત્રીઓ શપથ લે એવી શક્યતા છે. શપથ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહેમાનો હાજર રહેવાના છે. વડાપ્રધાન મોદી આજે રાત્રે જ ગુજરાત પહોંચી જવાના છે. વડાપ્રધાન અગાઉ 12 ડિસેમ્બરે ગુજરાત આવવાના હતા. જો કે હવે તેમના ગુજરાત પ્રવાસમાં ફેરફાર થયો છે. વડાપ્રધાન રાત્રે 10 વાગે જ અમદાવાદ એરપોર્ટ આવવાના છે. વડાપ્રધાન ગોવાથી સીધા જ ગુજરાત પહોંચવાના છે. આવતીકાલે નવી સરકારના શપથ વિધિમાં પીએમ મોદી હાજર રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં 32 રેલી અને 32 સભાઓ સંબોધી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ચારે ચાર ઝોનમાં પ્રચાર કર્યો હતો અને સતત નરેન્દ્ર અને ભુપેન્દ્રની જોડીની વાત કરી હતી. જે પછી 156 બેઠક સાથે ભાજપનો ગુજરાતમાં વિજય થયો છે. ત્યારે આવતીકાલે મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલ શપથ લેવાના છે. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથવિધિના દિવસે જ એટલે કે 12 ડિસેમ્બરે ગુજરાત આવવાના હતા. પરંતુ વડાપ્રધાનના નવા જાહેર થયેલા કાર્યક્રમ અનુસાર વડાપ્રધાન મોદી આજે જ રાત્રે 10 વાગ્યે ગુજરાત પહોંચવાના છે. અમદાવાદ એરપોર્ટથી રાજભવન ખાતે તેમનું રાત્રિરોકાણ કરવાના છે.
ગઇકાલે દિલ્હીમાં 6 કલાકની મેરેથોન બેઠક ગુજરાતના પ્રધાન મંડળને લઇને મળી હતી. નામો શોર્ટલિસ્ટ પણ કરી દેવામાં આવ્યા છે. વડાપ્રધાન આજે રાત્રે અમદાવાદ આવી રહ્યા છે ત્યારે ફાઇનલ નામોની ચર્ચા થઇ શકે તેવી પણ માહિતી મળી છે. જે પછી પ્રધાન મંડળમાં જેનો પણ સમાવેશ કરવાનો છે. તેમાંથી કેટલાકને મોડી રાત્રે ફોન કરવામાં આવ્યા છે. તો કેટલાકને હજુ ફોન કરવામાં આવી રહ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના ઘરે વહેલી સવારથી ધારાસભ્યો પહોંચી રહ્યા છે.
ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર મહોર લાગી છે. ત્યારે હવે 12 ડિસેમ્બરે મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ શપથ લેશે. અન્ય મંત્રીમંડળના શપથ માટે અન્ય દિવસ નક્કી કરાશે. ગુજરાતમાં ભવ્ય જીત બાદ ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં નવી સરકારની શપથવિધિની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં 12 ડિસેમ્બરે શપથવિધિ સમારોહ યોજાશે.
તો બીજી તરફ મોટી સંખ્યામાં શપથવિધિ સમારંભમાં અન્ય રાજ્યમાંથી પણ મહેમાનો ઉપસ્થિત રહેવાના હોવાથી બેઠક વ્યવસ્થાનું અલગ આયોજન કરાયું છે. કુલ 8 તબક્કામાં બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં સાંસદો, વિજેતા ધારાસભ્યો, CMના મહેમાનો, ઉદ્યોગપતિ, કલાકારો, સંતો, વીવીઆઈપી અને સામાન્ય જનતા બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
Published On - 11:49 am, Sun, 11 December 22