ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામો આવવાની શરૂઆત થઈ ચુકી છે અને વલણો જે રીતે ચાલ્યા તે પ્રમાણે તો ખરેખર ભાજપનું ઝાડુ ચાલ્યુ અને જેનું ચાલું જોઈતુ હતું તે મુખ્ય પક્ષ સહિતના પડકાર આપનારા પક્ષના પીંછા ઉડી ગયા છે. ગુજરાત ચૂંટણી પહેલા જ મોરબીની બેઠક પર મોટો અપસેટ સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યુ હતું. મોરબીનો બ્રિજ ધરાશાય થવાની ઘટનાને પગલે ભાજપ પર માછલા ધોવાયા હતા જો કે પાણીમાં ડુબી ગયેલા નિર્દોષો માટે પાણીમાં છલાંગ લગાડનારા કાંતીલાલ જનતાના ‘લાલ’ સાબિત થયા હતા અને ભાજપે તેમને ટિકીટ ફાળવી હતી અને જીત મેળવીને તેમણે લોક પરીક્ષામાં પાસ થયા હોવાનું પણ સાબિત કરી આપ્યું હતું.
કાંતીલાલ અમૃતિયા 25 હજાર કરતા વધારે મતથી આ લખાઈ રહ્યું છે ત્યારે આગળ ચાલી રહ્યા છે. એમ કહેવાઈ રહ્યું હતું કે ભાજપને મોરબીની બેઠક ગુમાવવી પડે તેવી સ્થિતિ બની શકે છે. જો કે રાજકારણમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે તેમ કાંતી અમૃતિયાએ મોરબી દુર્ઘટના સમયે લોકોના જીતેલા દિલ કામ કરી ગયા હતા અને તેમની સાથે ભાજપ માટે જનતાનો ભરોસો કાયમ હોવાનું સાબિત થયું છે.
મોરબીમાં મચ્છુ નદી પર બનેલો ઝુલતો પુલ 30 ઓક્ટોબરે દુર્ઘટનાગ્રસ્ત થયો હતો જેમાં 130 થી વધુ લોકોના મોત નિપજ્યા હતા. ત્યારે કાંતિલાલ અમૃતિયા ત્યાં હાજર હતા. એ સમયે તેમને મદદની રાહ જોયા વિના પોતે જ નદીમાં કૂદીને લોકોના જીવ બચાવ્યા હતા. જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ત્યારે લોકોએ પણ તેમના આ કાર્યના ખુબ વખાણ કર્યા. જ્યારે લોકો જીવ બચાવવા માટે વલખા મારી રહ્યા હતા ત્યારે એક નેતાનું આ રીતે પાણીમાં કુદીને મદદ કરવી એ સરહાનીય છે. કાંતિલાલ અમૃતિયા મોરબીથી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે પરંતુ તેમને ગત ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
પાટીદાર પ્રભુત્વ ધરાવતી મોરબીની આ સીટ આમ તો ભાજપનો ગઢ મનાય છે. પરંતુ વર્ષ 2017 ની વિધાનસભા ચૂંટણીમાં સતત પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાતા કાંતિલાલ અમૃતિયાને બ્રિજેશ મેરજાએ હરાવ્યા હતા ત્યારે બ્રિજેશ મેરજા કોંગ્રેસમાં હતા પરંતુ ત્યાર બાદ તેઓ ભાજપમાં જોડાઈને કેબિનેટ મંત્રી બન્યા હતા. કાંતિલાલ અમૃતિયા મોરબી વિધાનસભાથી વર્ષ 1995 માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. અને 2012 સુધી ધારાસભ્ય રહ્યા હતા.
Published On - 12:54 pm, Thu, 8 December 22