Rajkot : ‘જાન જોડાય એટલે ગીત ગવાય’, કડવા પાટીદાર સંમેલનમાં ઈટાલિયા પર જેરામ પટેલનો કટાક્ષ
ઉમિયાધામ સીદસરના ચેરમેન જેરામ પટેલે કડવા પાટીદાર સંમેલનમાં AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાના નિવેદન પર આકરા પ્રહાર કર્યા છે.
રાજકોટમાં આયોજીત કડવા પાટીદાર સમાજના (Patidar Community) સંમેલનમાં ગોપાલ ઇટાલીયાના (Gopal Italia) નિવેદન પર ઉમિયાધામ સીદસરના ચેરમેન જેરામ પટેલે (jeram patel) કટાક્ષ કર્યો છે. જેરામ પટેલે કટાક્ષ કરતા કહ્યું, જાન જોડાય એટલે ગીત ગવાય. વિધાનસભાની ચૂંટણી આવે છે એટલે દરેક જગ્યા પર આવી વાતો થાય છે. વધુમાં કહ્યું, ચૂંટણીલક્ષી સંમેલન નથી. શતાબ્દી મહોત્સવના તૈયારીના ભાગરૂપે કડવા પાટીદાર સમાજનું સંમેલન યોજાઈ રહ્યું છે.
ચૂંટણી પહેલા જ્ઞાતિ આધારિત રાજકારણ પ્રબળ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું (Gujarat Election) કાઉન્ટ ડાઉન શરૂ થયું છે, ત્યારે પાટીદાર સમાજે ચૂંટણી પહેલા રાજકીય પક્ષો પાસે ટિકિટની માંગણી કરતા રાજકારણ ગરમાયું છે. રાજ્યમાં પાટીદાર સમાજ (patidar) 15 ટકા વસ્તી ધરાવે છે અને વસ્તીના આધારે પાટીદાર સમાજ હવે ટિકિટની માંગણી પણ શરૂ કરી દીધી છે. આ સંમેલન અગાઉ રાજકોટ (Rajkot) ખાતે લેઉવા પટેલ અને કડવા પટેલ સમાજની એક મહત્વની બેઠક મળી હતી, જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી.
વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ગણિતમાં જાતિગત સમીકરણોની ચર્ચા થતી હોય છે. વસ્તીની ગણતરીએ જોઇએ તો લેઉવા પાટીદાર સમાજ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને સુરતમાં વર્ચસ્વ ધરાવે છે. તો સૌરાષ્ટ્રના રાજકોટ,અમરેલી,જુનાગઢ,જામનગર જિલ્લામાં પણ તેનુ અમુક અંશે પ્રભુત્વ છે. આ ઉપરાંત કચ્છ અને ભાવનગર બેઠક પર પણ અસર કરી શકે છે. તો મધ્ય ગુજરાતની અમદાવાદની કેટલીક બેઠકો અને સુરત વિધાનસભાની બેઠકો મળીને કુલ 50 જેટલી બેઠકોમાં તેઓ વર્ચસ્વ ધરાવે છે. કડવા પાટીદાર સમાજ પણ સૌરાષ્ટ્રમાં મોરબી,રાજકોટ બેઠક પર પ્રભાવ ધરાવે છે. તો ઉત્તર ગુજરાતની બેઠકો મળીને કુલ 50 થી વધારે બેઠકો પર તેઓનું વર્ચસ્વ છે તેમ કહી શકાય.