વિધાનસભા ચૂંટણીમાં (Assembly elections) આમ આદમી પાર્ટીએ (AAP) ગુજરાતની જનતાનો વિશ્વાસ જીતવા માટે કમર કસી લીધી છે. જે અંતર્ગત આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવવાના છે. અરવિંદ કેજરીવાલ આવતીકાલે એટલે કે 20 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ વડોદરામાં શિક્ષકો અને વાલીઓ સંવાદ કાર્યક્રમ કરવાના છે. જે દરમિયાન તેઓ શિક્ષણને લઇને કોઇ મોટુ વચન આપે તેવી તેવી શક્યતા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના મહિનાઓ બાકી છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણીલક્ષી તૈયારીઓમાં લાગી ગયા છે, જેમાં અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતની વારંવારની મુલાકાતે આવી રહ્યા છે અને એક બાદ એક શહેરોની મુલાકાત પણ કરી રહ્યા છે. આ જ સિલસિલામાં આમ આદમી પાર્ટી(AAP)ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલે ફરીથી ગુજરાત પ્રવાસે છે. અરવિંદ કેજરીવાલ મંગળવારે એટલે કે 20 સપ્ટેમ્બરે વડોદરાની મુલાકાત લેશે. જ્યાં તેમનો શિક્ષકો અને વાલીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાશે.
વડોદરામાં આવતીકાલે હિમાલયા પાર્ટી હોલમાં ટાઉનહોલ કાર્યક્રમ યોજાવાનો છે. અરવિંદ કેજરીવાલ શિક્ષકો અને વાલીઓ સાથે અહીં સંવાદ કરવાના છે. તેઓ સવારે વડોદરામાં પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. સાથે જ શિક્ષણને લઇને પણ તેઓ મોટી જાહેરાત કરી શકે છે.
આ પહેલા અરવિંદ કેજરીવાલ અમદાવાદ અને સુરેન્દ્રનગરના પ્રવાસે હતા. અમદાવાદમાં તેમણે શિક્ષણને લગતુ વચન ગુજરાતીઓને આપ્યુ હતુ. પોતાના અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલે જણાવ્યુ હતુ કે અમારી સરકાર આવશે તો દરેક રિક્ષાવાળાના છોકરા ડોક્ટર અને એન્જીનિયર બનશે. તમારા બાળકને અમે સારી શિક્ષા અપાવીશુ. તમારુ બાળક તમારા ઘરની ગરીબી દુર કરશે. સાથે જ તેમણે મહિલાઓના ખાતામાં દરમહિને એક એક હજાર રૂપિયા આપવાની પણ વાત કરી હતી. તેમણે જો કોઇ પરિવારમાં મા, દીકરી અને પત્ની હોય તો ત્રણેયના એક એક હજાર એમ ત્રણ હજાર રુપિયા ખાતામાં નાખવાની પણ જાહેરાત કરી હતી.
Published On - 3:15 pm, Mon, 19 September 22