Gujarat Election 2022: દાહોદમાં PM મોદીએ આદિવાસી સમાજને કર્યુ સંબોધન, કહ્યું ‘ભાજપ સરકારે આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનાવી દુનિયાને સંદેશ આપ્યો’
દાહોદમાં (Dahod) PMએ કહ્યું, આદિવાસી સમાજની કોંગ્રેસે ચિંતા ના કરી. ચૂંટણી આવે એટલે મોટી મોટી વાતો કરીને જતા રહે. આજે આઝાદીના 75 વર્ષ થયા પણ કોંગ્રેસને ક્યારેય આદિવાસીને રાષ્ટ્રપતિ બનાવવાનો વિચાર ન આવ્યો.
ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022: મહેસાણામાં સભા ગજવ્યા બાદ વડાપ્રધાન મોદીએ આજે દાહોદમાં સભા સંબોધી. જેમાં તેમણે ફરી આદિવાસી સમાજ માટે ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામો જણાવ્યા હતા. તેમણે જણાવ્યુ કે મારા માટે જનતા ઈશ્વરનો અવતાર છે. કોંગ્રેસ અને ભાજપમાં ફરક જ આ છે. કોંગ્રેસ જીત પાકી હોય તો તમારી સામે પણ ન જુએ. ભાજપ જીત 200 ટકા પાકી હોય તોય પગે પડે.ગુજરાતના લોકોએ જે મારુ ઘડતર કર્યુ છે. એમાં વિવેક અને નમ્રતા અમારામાં ભરેલી છે. એટલે જ તમે અમને સત્તા પર નથી બેસાડ્યો. તમે મને સેવાનું કામ સોંપ્યુ છે. હું એક સેવક તરીકે સેવાદાર તરીકે કામ કરુ છુ.
ભાજપ સરકારે આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનાવી દુનિયાને સંદેશ આપ્યો: PM
ગુજરાતમાં ખૂબ મોટો આદિવાસી સમાજ છે. આદિવાસી સમાજની કોંગ્રેસે ચિંતા ના કરી. ચૂંટણી આવે એટલે મોટી મોટી વાતો કરીને જતા રહે. આજે આઝાદીના 75 વર્ષ થયા પણ કોંગ્રેસને ક્યારેય આદિવાસીને રાષ્ટ્રપતિ બનાવવાનો વિચાર ન આવ્યો. એટલું જ નહીં ભાજપે જાહેર કરેલા આદિવાસી મહિલા ઉમેદવાર દ્રોપદી મુર્મૂને સમર્થન પણ ન આપ્યું. ભાજપે જ દેશમાં પ્રથમ વાર મહિલા આદિવાસીને રાષ્ટ્રપતિ બનાવીને દુનિયાની અંદર એક સંદેશ આપ્યો છે.
મેં દાહોદમાં પોલિટેકનિક શરુ કરી ત્યારે લોકોને વિશ્વાસ નહોતો થતો-PM
મેં દાહોદમાં પહેલી પોલિટેકનિક શરુ કરી ત્યારે લોકોને વિશ્વાસ નહોતો થતો કે આ મારુ દાહોદ સિટી સ્માર્ટ સિટી બનશે. એક સમય હતો જ્યારે દાહોદમાં પાણી માટે વલખા પડતા હતા. આજે દાહોદમાં પાણીની ચિંતાની મુક્તિનું કામ કરી દીધુ છે.
કોંગ્રેસ આદિવાસીઓને દેવાના ડુંગરમાં નાખી દેતુ: PM
કોંગ્રેસના જમાનામાં લોન મેળા કરતા અને એમાય પહેલી કટકી નેતાઓની હોય. લોન આપ્યા પછી આદિવાસી માણસ દેવામાં ડુબી જતો. પણ આજે અમે એની જીંદગી બદલી દીધી. મારો આદિવાસી યુવક ડોક્ટર બને, મેડિકલ કોલેજ દાહોદમાં ઊભી થાય એ કામ અમે કર્યુ છે. આ વિકાસની દિશા આપણે પકડેલી છે.
આખા દેશમાં દોડે એવા એન્જીન દાહોદમાં બનશે: PM મોદી
દેશના પ્રધાનમંત્રી કોઇ બને તેને દાહોદની ગલીઓના નામ આવડે તેવુ કોઇએ સાંભળ્યુ નહી હોય. મુખ્યમંત્રીને પણ ખબર ના હોય પણ આ તમારા પ્રધાનમંત્રીને બધુ ખબર છે. પણ હવે તો આખા હિંદુસ્તાનમાં દોડે એવા એન્જીન દાહોદમાં બનાવાના છે. મને ખાતરી છે કે દાહોદમાં એવા એન્જીન બનશે કે વિદેશમાં તે અહીંથી એક્સપોર્ટ થશે. આ મારા દાહોદના લોકોની મહેનત કામ કરવાની છે. તમને તમારા જીવનમાં બધુ મળી રહે તે માટે દિવસ રાત ઉજાગરા કરુ છે.