Gujarat Election 2022: બીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થાય તે અગાઉ આજે ભાજપ અને AAPના દિગગ્જો ઉતરશે પ્રચારના મેદાનમાં
બીજા તબક્કાની ચૂંટણી 5 ડિસેમ્બરના રોજ યોજાવાની છે અને તેનો પ્રચાર તારીખ 3 ડિસેમ્બરના સાંજે 5 વાગ્યાથી બંધ થશે તે પહેલા ભાજપ અને આમ આદમી પાર્ટીના કદાવર નેતાઓ ગુજરાતમાં વિવિધ સ્થળે સભા કરીને મતદારોને પોતાના પક્ષને મત આપવા અપીલ કરશે અને સ્થાનિક ઉમેદવારોનો પ્રચાર પણ કરશે.
ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: ગત રોજ રાજ્યમાં પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન સંપન્ન થયું છે અને રાજ્યમાં કુલ 62.89 ટકા મતદાન થયું છે. ત્યારે બીજા તબક્કાની ચૂંટણી 5 ડિસેમ્બરના રોજ યોજાવાની છે અને તેનો પ્રચાર તારીખ 3 ડિસેમ્બરના સાંજે 5 વાગ્યાથી બંધ થશે તે પહેલા ભાજપ અને આમ આદમી પાર્ટીના કદાવર નેતાઓ ગુજરાતમાં વિવિધ સ્થળે સભા કરીને મતદારોને પોતાના પક્ષને મત આપવા અપીલ કરશે અને સ્થાનિક ઉમેદવારોનો પ્રચાર પણ કરશે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ તો ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે તેની સાથે સાથે સ્મૃતિ ઇરાની , પરષોતમ રૂપાલા જેવા કેન્દ્રીય મંત્રીઓ પણ ગુજરાતમાં સભાઓ ગજવશે. તો કોંગ્રેસના નેતાઓ પણ પ્રચારકાર્યમાં જોડાશે.
ગુજરાત ઇલેક્શન 2022: ઓછા મતદાન બાદ હવે આરપારની પરિસ્થિતિ
રાજ્યમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં સરેરાશ મતદાન થયું છે ત્યારે બીજા તબક્કામાં મતદારો ઉત્સાહ સાથે મતદાન કરે તે માટે આજે અને આવતીકાલે પાંચ વાગ્યા સુધી વિવિધ પક્ષોના ઉમેદવારો અને દિગગ્જ નેતાઓ ચૂંટણી સભાઓ ગજવીને આર પારનો પ્રચાર કરશે. ભાજપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા તબક્કાની ચૂંટણીના પ્રચારની કમાન પોતાના હાથમાં લીધી છે. આજે પણ પીએમ મોદી ઝંઝાવાતી પ્રચાર કરશે. આ વખતનો ચૂંટણીનો માહોલ જોતા લાગી રહ્યું છે કે નેતાઓ અને ઉમેદવારો મતદાતાઓનું મન કળી શકયા નથી ત્યારે ચૂંટણી પરિણામના દિવસે જ સાચી પરિસ્થિતિ સ્પષ્ટ થઈ જશે. જોકે મતદારો નિરાશ હોવાની ચર્ચા પણ ચાલી રહી છે ત્યારે બીજા તબક્કા માટે પૂરજોશમાં મતદાન થાય તે માટે આજથી માંડીને આવતીકાલ સાંજ સુધીમાં તમામ પક્ષોના દિગ્ગજ નેતાઓ છેલ્લી ઘડી સુધી પ્રચાર કરશે.
ગુજરાત ચૂંટણી 2022: પ્રચાર માટે દિગ્ગજ નેતાઓના ધામા
- ભાજપના દિગ્ગજ નેતાઓ ઘમરોળશે મહેસાણા
- મહેસાણાના નુગર ગામમાં ગૃહ મંત્રી અમિત શાહની સભા, બપોરે 2:30 વાગ્યે વિજાપુરમાં પણ અમિત શાહ કરશે સભા
- કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની કડીમાં કરશે રોડ શૉ
- રાત્રે 8 વાગ્યે મહેસાણામાં પરશોત્તમ રૂપાલાની સભા
- મહેસાણાના ગોઝારિયામાં આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની સભા
- કોંગ્રેસના જાણીતા નેતા શક્તિસિંહ ગોહિલ મધ્ય ગુજરાતમાં પ્રચાર કરશે તેઓ બપોરે 1-30 વાગે ડાકોર ખાતે જનસભાને કરશે સંબોધન અને બપોરે સાડા ત્રણ કલાકે માતર ખાતે જનસભાને સંબોધન કરશે.
- હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ હુડ્ડા પણ પત્રકાર પરિષદને સંબોધશે અને સાંજે અસલાલી ખાતે જનસભાને સંબોધન કરશે
5 ડિસેમ્બરે ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણી યોજાશે
રાજ્યમાં બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે.