Gujarat Election 2022 : અબડાસા AAP ઉમેદવારના પક્ષપલટાથી સમીકરણો બદલાયા, નારાજ કાર્યકર્તાઓએ અપક્ષ ઉમેદવારને ટેકો જાહેર કર્યો
ગુજરાત વિધાનસભા ચૂંટણી : આમ આદમી પાર્ટીના ઉમેદવાર વસંત ખેવાણીએ બળવો કરી ભાજપને સમર્થન આપ્યુ હતું. પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવારથી નારાજ કાર્યકર્તાઓએ અપક્ષના ઉમેદવારને ટેકો જાહેર કર્યો છે.
ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ત્યારે કચ્છની અબડાસા બેઠક પર રાજકીય સમીકરણ બદલાયા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર વસંત ખેવાણીએ બળવો કરી ભાજપને સમર્થન આપ્યુ હતું. પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવારથી નારાજ કાર્યકર્તાઓએ અપક્ષના ઉમેદવારને ટેકો જાહેર કર્યો છે. અપક્ષ ઉમેદવારે નલિયામાં તમામ સમાજના આગેવાનો સાથે સંમેલન યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. ત્યારે અબડાસા બેઠકમાં ભાજપ અને કોંગ્રેસ સાથે હવે અપક્ષ વચ્ચે ત્રીપાંખિયો જંગ જામશે.
હવે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે જામશે જંગ
આપને જણાવી દઈએ કે, કચ્છ જિલ્લાના અબડાસામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. અબડાસાના આમ આદમી પાર્ટીના ઉમેદવારે અંતિમ સમયમાં જ પક્ષનો સાથ છોડીને ભાજપને ટેકો આપવાનો નક્કી કર્યુ છે અને ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે. જો કે બીજી તરફ સમર્થકોમાં ભારોભારો રોષ પણ જોવા મળી રહ્યો છે. જેના કારણે વસંત ખેવાણને અંતિમ સમયે કરેલો પક્ષપલટો ભારે પડી શકે છે.
આ પહેલા સુરત પૂર્વના આપના ઉમેદવાર કંચન જરીવાલા બાદ તેના ડમીએ પણ ફોર્મ પરત ખેંચ્યું હતુ. કંચન જરીવાલાના ડમી સલીમ મુલતાની પાસે ચૂંટણી પંચના નિયમ મુજબ મેન્ડેટ ન હોવાથી તેઓ આપના બેનર હેઠળ ચૂંટણી નહીં લડી શકે. આમ સુરત પૂર્વ બેઠક અને અબડાસા બેઠક પર AAP એ ચૂંટણી પરિણામ પહેલા જ બેઠકો ગુમાવી છે.