ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપ એક્શન મોડમાં, જેપી નડ્ડા ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવશે
Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપ(BJP) એક્શન મોડમાં છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા(JP Nadda) 12 ઓકટોબરના રોજથી ગુજરાત ગૌરવ યાત્રાનો બે સ્થળેથી પ્રારંભ કરાવશે. જેમાં તેવો સવારે મહેસાણાના બહુચરાજીથી અને બપોર બાદ દ્વારકાથી યાત્રાનો આરંભ કરાવશે
Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપ(BJP) એક્શન મોડમાં છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા(JP Nadda) 12 ઓકટોબરના રોજથી ગુજરાત ગૌરવ યાત્રાનો બે સ્થળેથી પ્રારંભ કરાવશે. જેમાં તેવો સવારે મહેસાણાના બહુચરાજીથી અને બપોર બાદ દ્વારકાથી યાત્રાનો આરંભ કરાવશે. જેમાં પ્રથમ યાત્રા બહુચરાજીથી કચ્છ માતાના મઢ સુધી ચાલશે. જેમાં અનેક કેન્દ્રીય મંત્રીઓ પણ જોડાશે. જ્યારે 13 ઓક્ટોબરે ગૃહમંત્રી અમિત શાહ ત્રણ જગ્યાએથી ગૌરવયાત્રાનો પ્રારંભ કરાવશે. ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત પ્રથમ યાત્રા સવારે 11 કલાકે બહુચરાજી માતાના મઢથી પ્રારંભ કરવામાં આવશે.
આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહની ત્રણ યાત્રામાંથી એકને ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા નામ આપવામાં આવ્યું છે. આ 9 દિવસોમાં 9 કેન્દ્રીય મંત્રીઓ આ યાત્રામાં જોડાશે અને આખો દિવસ યાત્રામાં વિતાવશે. આ ક્રમમાં 12 ઓક્ટોબરે કેન્દ્રીય મંત્રી રાવ સાહેબ દાનવે ગુજરાત ગૌરવ યાત્રામાં જોડાશે. જ્યારે 13 ઓક્ટોબરે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન યાત્રામાં સામેલ થશે. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા 14 ઓક્ટોબરે યાત્રામાં જોડાશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા 15 ઓક્ટોબરે જોડાશે. 16 ઓક્ટોબરે કેન્દ્રીય મંત્રી સંજીવ બાલ્યાણ યાત્રામાં જોડાશે. 17મીએ સમગ્ર પ્રવાસમાં કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ સામેલ થશે. પ્રહલાદ જોશી 18 ઓક્ટોબરે યાત્રામાં જોડાશે. 19 ઓક્ટોબરે કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ યાત્રામાં જોડાશે અને છેલ્લા દિવસે એટલે કે 20 ઓક્ટોબરે કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજીત સિંહ ગુજરાત ગૌરવ યાત્રામાં જોડાશે.
5734 કિલોમીટરની યાત્રામાં 144 વિધાનસભા થશે, 145 જાહેરસભા થશે
ગુજરાત ગૌરવ યાત્રાની દેખરેખની જવાબદારી ગુજરાત મૂળના 5 કેન્દ્રીય મંત્રીઓ પર રહેશે. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, દર્શના જરદોશ, દેવુસિંહ ચૌહાણ, ડૉ. મહેન્દ્ર મુંજપરા અને પુરૂષોત્તમ રૂપાલા જવાબદારી નિભાવશે. ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા 5734 કિલોમીટરની મુસાફરી કરીને 144 વિધાનસભા મતવિસ્તારોમાંથી પસાર થશે. આ યાત્રા દરમિયાન કુલ 145 જાહેર સભાઓ યોજાશે. પાંચ યાત્રાઓની શ્રેણીમાં પ્રથમ યાત્રા 12 ઓક્ટોબરથી શરૂ થતા 9 દિવસમાં 9 જિલ્લાની 33 વિધાનસભાઓને આવરી લેતી કુલ 1730 કિલોમીટરની યાત્રા કરશે. ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત પ્રથમ યાત્રા 12 ઓક્ટોબરે સવારે 11 કલાકે બહુચરજી માતાના દરબારથી શરૂ થશે.
જ્યારે આ શ્રેણીની બીજી યાત્રા 13 ઓક્ટોબરથી શરૂ થશે, જે 13 જિલ્લાની 35 વિધાનસભાની મુલાકાત લઈને કુલ 990 કિમીનો પ્રવાસ કરશે. ત્રીજી યાત્રા 14 જિલ્લાના 31 વિધાનસભા મતવિસ્તારોમાંથી કુલ 1068 કિલોમીટરનું અંતર કાપશે. ચોથી યાત્રા 876 કિલોમીટરની મુસાફરી કરીને 21 વિધાનસભા મતવિસ્તારોમાંથી પસાર થશે. પાંચમી અને અંતિમ યાત્રા કુલ 1070 કિમી કવર કરશે અને 9 જિલ્લાની 24 વિધાનસભાઓમાંથી પસાર થશે. આ તમામ મુલાકાતો 20 ઓક્ટોબરે પૂરી થશે અને સંભવત વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે દિવસે એક મોટી રેલીને સંબોધિત કરશે. જો કે આ રેલીની સત્તાવાર જાણ કરવામાં આવી નથી, પરંતુ પાર્ટીના સૂત્રો કહે છે કે તે અમદાવાદ અથવા ગાંધીનગરમાં રેલીયોજવામાં આવી શકે છે.