ગુજરાતની ગાંધીધામ બેઠકનું પરિણામ 2022 LIVE Updates : આ સીટ પરથી ભાજપના ઉમેદવાર માલતી મહેશ્વરી જીત્યા છે તેમજ કોંગ્રેસ ઉમેદવાર ભરત સોલંકીને હારનો સામનો કરવો પડ્યો છે. Gujarat Election Result કચ્છની ગાંધીધામ વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ભરત સોલંકી એ ધોરણ 9 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 50,73,162 રુપિયાની જંગમ મિલકત છે. જ્યારે ભાજપના ઉમેદવાર માલતી કિશોર મહેશ્વરી એ બીકોમનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે રૂપિયા 43,73,744ની જંગમ મિલકત છે. જ્યારે આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર બુધા મહેશ્વરી એ બીએ એલ.એલ.બીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે રૂપિયા 16,94,192 ની જંગમ મિલકત છે.
ગાંધીધામ બેઠક પર 1 ડિસેમ્બરના રોજ મતદાન યોજાયુ હતુ.આ વખતે ગાંધીધામ બેઠક પર ફરીથી ભાજપના માલતી મહેશ્વરીને ટિકિટ આપવામાં આવી હતી. જયારે કોંગ્રેસ પાર્ટી તરફથી ભરત સોંલકી અને આપ પાર્ટી તરફથી બીટી મહેશ્વરીને ટિકિટ આપવામાં આવી હતી.
આ બેઠક 2012માં અસ્તિત્વમાં આવી હતી. અસ્તિત્વમાં આવી ત્યારથી આ બેઠક ભાજપના ગઢ ગણાય છે. આ બેઠક પર 2017માં માલતી મહેશ્વરીનો વિજય થયો હતો. તેમને 79,713 મત મળ્યા હતા અને 20,270 મતોના માર્જીનથી વિજય થયો હતો.વર્ષ 2012માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના રમેશ માહેશ્વરી જીત્યા હતા. તેમણે કોંગ્રેસના મહિલા ઉમેદવાર જયશ્રીબેન ચાવડાને 16 ટકા મતોથી હરાવ્યા હતા.
કચ્છ જીલ્લાની એક અતિ મહત્વની બેઠક ગાંધીધામ SC એટલે દલિત ઉમેદવાર માટે અનામત બેઠક છે. આ બેઠકમાં ગાંધીધામ તાલુકો, ભચાઉ તાલુકાના કેટલાંક ગામ અને અંજાર તાલુકાનું એક ગામ વરસાનાનો સમાવેશ થાય છે. આ બેઠક વર્ષ 2008ના નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી હતી. વર્ષ 2008ના નવા સીમાંકનમાં મુંદ્રા SC બેઠક રદ થઈ અને ગાંધીધામ SC બેઠકનું ગઠન થયું હતું.આ બેઠક પર 25 % સવર્ણ, 17 % ઓબીસી, 17 % લઘુમતી, 16 % એસસી અને 12 % અન્ય જાતિના મતદારો છે.
ગાંધીધામ બેઠક પર કુલ 3,14,991 મતદારો છે. મહિલા મતદાતાઓની સંખ્યા 1,48,093 છે, તો પુરુષ મતદાતાઓની સંખ્યા 1,66,892 છે. આ બેઠક પર 6 ટ્રાન્સજેન્ડર મતદાતા પણ છે.
આ બેઠક કચ્છ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક કચ્છ છે. કંડલા બંદરનો વિકાસ થવાથી ગાંધીધામની આસપાસના ઉદ્યોગોને પણ ફાયદો થયો છે. મેરી ટાઈમ, ટ્રાન્સપોર્ટ, શિપિંગ સહિતના ઉદ્યોગોના કારણે ગાંધીધામ રોજગારીનું મહત્વનું કેન્દ્ર છે. કંડલા બંદર ઉપરાંત ગાંધીધામ તાલુકામાં પાતળીયા હનુમાન અને હાજલદાદાનો અખાડો જાણીતા સ્થળ છે.
પાકિસ્તાનથી સિંધી સમાજના લોકો કચ્છના રણમાં આવ્યા અને આ શહેરનું નિર્માણ કર્યું હતુ. ગાંધીજી ગુજરાત આવવાના હતા અને આ શહેરનો પાયો નાંખવાના હતા . પરંતુ તેમની હત્યા થતા આ વાયદો અધૂરો રહ્યો હતો. નવી દિલ્હીથી ગાંધીજીના થોડા અસ્થિ અહીં લાવવામાં આવ્યા હતા અને આ નવા શહેરનું નામ ગાંધીધામ રાખવામાં આવ્યું હતુ. દિલ્હી બાદ આદિપુર એક એવું સ્થળ છે જ્યાં ગાંધીજીની સમાધિ આવેલી છે.
આ પણ વાંચો:
Published On - 12:59 pm, Thu, 8 December 22