ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનને આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દિગ્ગજ નેતાઓ ગુજરાત ખુંદી રહ્યા છે. PM મોદી આજે સુરેન્દ્રનગર, ભરૂચના જંબુસર અને નવસારીમાં જાહેર સભાને સંબોધન કરશે. તો ચૂંટણીના ચાણક્ય ગણાતા અમિત શાહે દક્ષિણ ગુજરાતમાં મોરચો સંભાળ્યો છે. તો વિપક્ષનો રાષ્ટ્રીય ચહેરો એવા રાહુલ ગાંધી પણ આજે રાજકોટ અને સુરતના મહુવામાં પ્રચાર કરશે. ત્યારે આ તમામ વચ્ચે વિરમગામમાં AAPના પૂર્વ હોદ્દેદારો ભાજપમાં જોડાયા છે. ત્યારે આ વચ્ચે આમ આદમી પાર્ટીના પાંચ હોદ્દેદારો ભાજપમાં સામેલ થયા છે.
ભાજપે વિરમગામ બેઠક પરથી હાર્દિક પટેલને ટિકિટ આપી છે. ત્યારે હાંસલપુર ખાતે હાર્દિક પટેલના સમર્થનમાં એક માલધારી સંમેલન યોજવામાં આવ્યુ હતુ. જેમાં 5થી વધુ આમ આદમી પાર્ટીના પૂર્વ નેતાઓ ભાજપમાં સામેલ થયા છે. હાર્દિક પટેલની હાજરીમાં AAPના આ પાંચ પૂર્વ હોદ્દેદારોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આ તમામ હોદ્દેદારો વિરમગામ બેઠક પર આપના ઉમેદવાર બદલાતા નારાજ હતા. જેના પગલે હવે તેઓ ભાજપમાં સામેલ થયા છે.
આમ આદમી પાર્ટીએ વિરમગામ બેઠક પર ભાજપના હાર્દિક પટેલની સામે કુંવરજી ઠાકોરને ટિકિટ આપી છે. તો કોંગ્રેસમાંથી હાર્દિક પટેલની સામે લાખાભાઇ ભરવાડને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે હવે આ હવે ભાજપમાં સામેલ થયેલા AAPના આ પૂર્વ હોદ્દેદારો હાર્દિક પટેલને જીતાડવામાં પ્રચારમાં મદદ કરશે.
બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય અન્ય સ્ટાર પ્રચારકો પણ ગુજરાતમાં સતત પ્રવાસે રહેશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે. પીએમ મોદી, જેપી નડ્ડા, અમિત શાહ, નીતિન ગડકરી, રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, ભૂપેન્દ્ર પટેલ, મનોજ તિવારી, રવિ કિશનના નામ પણ આ યાદીમાં સામેલ છે. સીઆર પાટીલ પુરૂષોત્તમ રૂપાલા પણ પાર્ટીનો પ્રચાર કરશે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) સંપૂર્ણ તાકાત લગાવવાનો પ્રયાસ કરી રહી છે.