ગુજરાત વિધાનસભાની ચૂટંણીને (Gujarat Assembly election) લઈને દરેક પક્ષે તૈયારીઓ શરૂ કરી છે, ત્યારે ગાંધીનગરમાં (Gandhinagar) આજે ભાજપ (BJP) પ્રદેશ કારોબારીની બેઠક મળી. કમલમમાં યોજાયેલી આ બેઠકમાં જયપુરની ચિંતન શિબિરમાં થયેલી ચર્ચા પર મનોમંથન કરવામાં આવ્યુ. ઉપરાંત કારોબારી સભ્યોને શિબિરની ચર્ચા અંગે માહિતી આપવામાં આવી. સાથે જ આગામી સમયના કાર્યક્રમોની પણ માહિતી અપાઇ.
ગુજરાત વિધાનસભા ચૂંટણીનો જંગ જીતવા ભાજપની પ્રદેશ કારોબારીમાં દિગ્ગજ નેતાઓએ મંથન કર્યું. ભાજપના કાર્યકરો અને જનતાના મંતવ્યો સીધા જાણી શકાય તે માટે વિસ્તારક યોજના ઘડવામાં આવી. ગુજરાતની 182 વિધાનસભા બેઠક દીઠ બે વિસ્તારકો સતત છ મહિના સુધી પ્રવાસ કરશે. આ ઉપરાંત આગામી 11, 12 અને 13 જૂન માટે અલ્પકાલીન વિસ્તારક યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં શક્તિ કેન્દ્રો પર પેજ સમિતિના પ્રમુખ, બુથ સમિતિ અને બુથના લાભાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવશે. રાજ્યમાં ભાજપના અત્યારે 60 લાખ પેજ સમિતિના સભ્યો છે. જેમની સંખ્યા વિસ્તારક અભિયાન થકી 75 લાખ કરવાનો લક્ષ્યાંક રખાયો છે. આ અભિયાનમાં રાજ્ય સરકારના પ્રધાનો, વરિષ્ઠ આગેવાનો અને મંડળ સુધીના કાર્યકરો પણ જોડાશે.
ગાંધીનગરમાં ભાજપની કારોબારી બેઠકમાં નિધિ સંગ્રહ મુદ્દે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી. ગુજરાતમાં 200 કરોડથી વધુનો ચૂંટણી સહયોગ મેળવવાનો પ્લાન વરિષ્ઠ નેતાઓએ બનાવ્યો ભાજપના કાર્યકરો, આગેવાનો અને શુભેચ્છકો પાસેથી ચૂંટણી સહયોગ નિધિ ફક્ત ચેક મારફતે જ એકઠી કરવામાં આવશે. જેમાં પ્રદેશ અને જિલ્લા કક્ષાએથી યાદી તૈયાર કરીને નિધિ સંગ્રહનું કાર્ય આગળ વધારવામાં આવશે.
આગામી વિધાનસભા ચૂંટણી પહેલા રાજસ્થાનમાં (Rajasthan) હાલ ભાજપ-કોંગ્રેસ (BJP- Congress) વચ્ચે રાજકીય દંગલ જામ્યું છે. કોંગ્રેસ બાદ ભાજપે પણ ત્રણ દિવસીય ચિંતન શિબિર યોજી હતી.આ શિબિરમાં રાષ્ટ્રીય નેતાઓ રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની (Assembly election) રણનીતિ પર મંથન કરવામાં આવ્યુ હતુ.ઉપરાંત સંગઠન તેમજ મહત્વના રાજકીય મુદ્દાઓ પર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ શિબિરમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ સહિત 150થી વધુ પ્રતિનિધિઓ ભાગ લીધો હતો. તેમજ આ દરમિયાન વડાપ્રધાન મોદીએ (PM Modi) પણ વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતુ.
Published On - 4:35 pm, Mon, 23 May 22