રાહુલ ગાંધીની સરખામણી કમા સાથે કરનારા મધ્યપ્રદેશના મંત્રીને કોંગ્રેસે ગણાવ્યા બુદ્ધિહિન
Ahmedabad: રાહુલ ગાંધીની કમા સાથે સરખામણી કરનારા મધ્યપ્રદેશના ભાજપના નેતા વિશ્વાસ સારંગની માનસિક્તા પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ વિશ્વાસ સારંગને બુદ્ધિહિન ગણાવ્યા છે.
કીર્તિદાન ગઢવીના ડાયરાથી લાઇમલાઈટમાં આવેલ ‘કમો’ હવે ગુજરાતની રાજનીતિમાં પણ કેન્દ્ર સ્થાને છે. મધ્યપ્રદેશ (Madhya Pradesh) સરકારના મંત્રી વિશ્વાસ સારંગે ગુજરાતમાં આવી રાહુલ ગાંધીની સરખામણી ‘કમા’ સાથે કરતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ દિવ્યાંગ બાળકોનું અપમાન અને ભાજપની હેટ સ્પીચની પરંપરાને મુદ્દો બનાવ્યો છે. મધ્ય પ્રદેશના મંત્રી વિશ્વાસ સારંગે રાહુલ ગાંધીની સરખામણી કમા સાથે કરતા કોંગ્રેસે આ મામલે ભાજપ (BJP) પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્મા (Alok Sharma)એ જણાવ્યું કે ભાજપના નેતાઓ ન ફક્ત દિવ્યાંગ કમાની મજાક ઉડાવી રહ્યા છે, પરંતુ તેમના માતાને પણ ટાર્ગેટ કરી રહ્યા છે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. આ પ્રકારની માનસિકતા ધરાવતા લોકોને ગુજરાતની પ્રજા જવાબ આપશે તેમ આલોક શર્માએ જણાવ્યું.
જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાતની રાજનીતિમાં નેતાઓના નિવેદનો નવા વિવાદને જન્મ આપી રહ્યા છે. ચૂંટણીમાં નેતાઓના નિવેદનમાં હવે ડાયરાના કાર્યક્રમમાં જોવા મળતા ‘કમા’ની એન્ટ્રી થઈ છે અને તેના નામે રાજનીતિ શરૂ થઈ છે. હાલમાં જ મધ્યપ્રદેશના મંત્રી વિશ્વાસ સારંગે ગુજરાત પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીને લઈ આપેલ નિવેદન અંગે કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. ભાજપના વિશ્વાસ સારંગે રાહુલ ગાંધીને કમા સાથે સરખામણી કરી હતી. જેને લઈને કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા આલોક શર્માએ કહ્યું કે આ પ્રકારનું નિવેદન તમામ દિવ્યાંગનોનું અપમાન છે. ભાજપ આવ્યા બાદ હેટ સ્પીચનું પ્રમાણ વધ્યું છે. ભાજપના મંત્રીઓ ગુજરાતમાં આવીને ધૃણા વધારવાનું કામ કરે છે. દિવ્યાંગોને તો ચૂંટણીમાંથી દૂર રાખવું જોઈએ. આવી માનસિકતા વાળા લોકોને ગુજરાતની પ્રજા જવાબ આપશે.
મધ્યપ્રદેશના શિવરાજ સરકારના મંત્રી વિશ્વાસ સારંગે શુક્રવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની તુલના ગુજરાતના ડાઉન સિન્ડ્રોમ નામની બીમારીથી પીડિત એવા દિવ્યાંગ બાળક કમા સાથે કરી હતી. જેને લઈને રાજનીતિ ગરમાઈ છે. વિશ્વાસ સારંગે બનાસકાંઠાના અંબાજીમાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા હતા. ત્યારે આ પ્રકારનું નિવેદન આપ્યુ હતુ. ત્યારબાદ એક બાદ એક કોંગ્રેસના નેતાઓએ ભાજપના મંત્રીની માનસિક્તા પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસે પ્રહાર કર્યો છે કે ભાજપ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અભિયાનથી હચમચી ગઇ છે.