ગોપાલ ઈટાલિયાના જૂના વીડિયો મુદ્દે ભાજપ આક્રમક, આપની માનસિકતા પર ઉઠાવ્યા સવાલ
ગોપાલ ઈટાલિયાનો પીએમ વિશે અભદ્ર ટિપ્પણી કરતો વીડિયો સામે આવતા ભાજપે આમ આદમી પાર્ટીને આડે હાથ લીધી છે. આમ આદમી પાર્ટની માનસિક્તા પર સવાલ ઉઠાવતા આપને રાષ્ટ્ર વિરોધી, ગુજરાત વિરોધી અને પ્રજા વિરોધી પાર્ટી ગણાવી છે.

ગુજરાત પ્રદેશ ભાજપ (BJP) દ્વારા ગુજરાત પ્રદેશ મીડિયા સેન્ટર ખાતે આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા (Gopal Italia)ના વાણી વિલાસ, બંધારણના વિરુદ્ધ ઉચ્ચારણ અને હાલમાં જ જાહેર થયેલ તેમના વીડિયોમાં વડાપ્રધાન પદની ગરીમાને લાંછન લાગે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા કે જેમની સો વર્ષની ઉંમર છે તેમને અપશબ્દો બોલતા વીડિયો સામે પ્રદેશ મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસ અને મીડિયા કન્વીનર ડૉ યજ્ઞેશ દવેએ એક સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું કે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાના બેફામ નિવેદનો સામે સમગ્ર ગુજરાત આજે રોષે ભરાયું છે. સમગ્ર ગુજરાતના નાગરિકોએ આ અપશબ્દની નોંધ લીધી છે. ભૂતકાળમાં તેમના વિવિધ વીડિયો નિવેદનમાં હિન્દુ ધર્મના દેવી-દેવતાઓ, ધાર્મિક વિધિઓ બાબતે તેમણે અભદ્ર શબ્દોનો ઉચ્ચારણ કર્યો હતો.
આટલેથી અટકતા, તેમના આભરખા પૂરા ન થતા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે મીડિયામાં ન ચલાવી શકાય, કોઈપણ ન સાંભળી શકે તેવા અભદ્ર શબ્દોનો પ્રયોગ કર્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા કે જેમની સો વર્ષની ઉંમર છે અને જેમને રાજકીય ગતિવિધિઓ સાથે કોઈ જ લેવાદેવા નથી અને તે તેમનું નિવૃત્ત જીવન ગુજારી રહ્યા છે તેવા મહિલાને તેમણે અભદ્ર ટિપ્પણીઓ કરી છે. આ બધી જ બાબતો આમ આદમી પાર્ટીની માનસિકતાને દર્શાવે છે તેમની ગુજરાત વિરોધી, પ્રજા વિરોધી,રાષ્ટ્ર વિરોધી માનસિકતાને દર્શાવે છે. ભૂતકાળમાં ગોપાલ ઈટાલીયાએ રાજ્યના તત્કાલીન પૂર્વ ગૃહ મંત્રી પર જૂતુ ફેંક્યું હતું, હિન્દુધર્મના કથાકારો, સાધુઓ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી હતી એ તેમનું ચરિત્ર દર્શાવે છે.
યમલ વ્યાસે વધુમાં જણાવ્યુ કે ગુજરાતના રાજકારણમાં ઘણા પક્ષોએ ભાગ લીધો છે, ઘણા પક્ષોએ ચૂંટણીઓ લડી છે, પરંતુ ગૌરવશાળી ગુજરાતના ઈતિહાસમાં ક્યારેય પણ આવી અભદ્ર ભાષાઓના ઉપયોગ કોઈપણ રાજકીય પક્ષે કર્યો નથી. ગુજરાતમાં અગાઉ બહુજન સમાજવાદી પાર્ટી, લોક જન શક્તિ પાર્ટી, નેશનલ કોંગ્રેસ પાર્ટી જેવી પાર્ટીઓએ ગુજરાતના રાજકારણમાં ચૂંટણીઓ લડી છે, પરંતુ તેમને ક્યારેય અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો નથી. આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલીયા ગુજરાતને બદનામ કરવાના ષડયંત્ર રચતા હોય તેવા તેમના વીડિયો, એવી તેમની પત્રકાર પરિષદ, તેવા તેમના ફોટાઓ ખૂબ વાયરલ થયા છે, જે લોકો ગુજરાત વિરોધી પ્રવૃત્તિઓ કરે છે તેમની સાથે તેમના મેળાપીપણાના ફૂટેજ વાયરલ થયા છે તે દર્શાવે છે કે તેમની માનસિકતા માત્રને માત્ર ગુજરાત વિરોધી, ગુજરાતની અસ્મિતાને બદનામ કરનારી રહી છે.
યમલ વ્યાસે જણાવ્યુ કે આમ આદમી પાર્ટીએ 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીઓમાં, 2017ની વિધાનસભાની ચૂંટણીમાં તેમજ હાલમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખૂબ પ્રયત્ન કર્યા, પરંતુ તેમને કોઈ જ સફળતા મળી નથી તે માટે આવી મલિન હરકતો કરીને લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે આમ આદમી પાર્ટી આવી નિમ્ન કક્ષાના નિવેદનો કરીને હરકત કરી રહી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વએ આવા નિવેદનોને વખોડવાની જગ્યાએ, લાજવાની બદલે તેઓ ગાજી રહ્યા છે અને ગોપાલ ઈટાલીયાને પૂરેપૂરું સમર્થન કરી રહ્યા છે. તે ગુજરાતની પ્રજા સતત જોઈ રહી છે. ગુજરાતની પ્રજાનો અપમાન, મહિલાઓનો અપમાન ગુજરાતના નાગરિકો ક્યારેય સાંખી નહીં લે તે તેમને ધ્યાનમાં રહેવું જોઈએ.
પ્રદેશ મીડિયા કન્વીનર ડૉ. યજ્ઞેશ દવેએ આકરા આરોપો લગાવતા જણાવ્યું કે ગોપાલ ઈટાલીયા એ પાટીદાર સમાજને પોતાના પાપના ભાગીદાર ન બનાવવા જોઈએ. પોતાનો રાજકીય રોટલો શેકવા માટે સમાજનું નામ વટાવી ખાવું અને સમાજને પોતાના પાપના ભાગીદાર બનાવવા એ ગુજરાતનો પાટીદાર સમાજ જોઈ રહ્યો છે અને પાટીદાર સમાજ ક્યારેય આવા અભદ્ર ટિપ્પણી કરનાર, હિન્દુ ધર્મ વિરોધી માનસિકતા ધરાવનાર વ્યક્તિને માફ નહીં કરે.